ફૂલે ફિલ્મે માઉથ ટુ માઉથ પબ્લિસિટી મેળવીને અનેક થિયરોમાં દર્શકોને ખેંચ્યા છે ત્યારે મનુવાદી તત્વો હજુ પણ તેને રોકવા માટે કોઈ કસર બાકી છોડવા તૈયાર નથી. અગાઉ આ ફૂલ્મને થિયેટરો ન ફાળવવાનો વિવાદ શરૂ થયો હતો. હવે તેનો રિવ્યૂ લેવા માટે ગયેલા એક દલિત પત્રકારને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે.
જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પત્રકાર સંજય આંબેડકરને 29 એપ્રિલના રોજ ફિલ્મ “ફૂલે” નો રિવ્યૂ લેવા બદલ PVR કાર્યકરોએ માર માર્યો હતો. દલિત પત્રકારે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ રિલીઝ થઈ હોવા છતાં PVRમાં ફિલ્મના પોસ્ટર અને જાહેરાતો દેખાતી નહોતી. આ ઉપરાંત, જ્યારે તેઓએ ફિલ્મ જોવા આવેલા દર્શકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે PVR કર્મચારીઓ અને બાઉન્સરોએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પીવીઆર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

ઘટના ગત મંગળવારની છે. બપોરે લગભગ 2:30 વાગ્યે, સંજય આંબેડકર, જેઓ “ભીમરાજ દસ્તક” નામની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે, પ્રયાગરાજમાં પીવીઆર સિનેમાના કેમ્પસમાં પહોંચ્યા હતા સિનેમા હોલમાં ફુલે ફિલ્મ ચાલી રહી હતી, પણ ફિલ્મનું કોઈ પોસ્ટર કે જાહેરાત દેખાતી નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, સંજય ત્યાં આવતા મુલાકાતીઓ સાથે વાત કરવાનો આતુરતાથી પ્રયાસ કરે છે પરંતુ PVR કર્મચારીઓ તેને રોકવાનું શરૂ કરે છે.
જો કે એ પછી પણ સંજય ફિલ્મ જોઈને બહાર આવી રહેલા લોકોનો રિવ્યૂ લેવાનો બંધ નથી કરતા ત્યારે થિયેટરના કર્મચારીઓ તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.

પત્રકાર સંજયે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “હું અહીં ફૂલે ફિલ્મ જોઈને આવેલા દર્શકોનો રિવ્યૂ લેવા માટે થઈને આવ્યો હતો. પણ થિયેટરના કર્મચારીઓએ મને રોક્યો હતો અને મારી સાથે મારામારી કરી હતી.
સંજય આંબેડકરે કહ્યું, “અમે બે લોકો ત્યાં હતા. એક હું અને બીજો મારો મિત્ર રવિ હતો. તેમણે પહેલા રવિને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે મેં તેનો બચાવ કરવા પ્રયત્ન કર્યો તો તેમણે મારો પણ પીછો કર્યો અને માર માર્યો. તેઓ અમને ત્રીજા માળે લઈ ગયા અને ત્યાં અમારી સાથે ખરાબ વર્તન કર્યું અને માર માર્યો. જેમતેમ કરીને હું ત્યાંથી બહાર આવી ગયો પણ તેમણે રવિને બંધક બનાવ્યો હતો. મેં બહાર આવીને વહીવટીતંત્રને જાણ કરી એ પછી અડધા કલાક બાદ રવિને છોડી દેવામાં આવ્યો.”
સંજય આંબેડકરે કહ્યું કે આ આખી ઘટના મારા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. આ બધા લોકો પીવીઆરના કર્મચારીઓ અને ત્યાંના બાઉન્સર છે. અમે ફરિયાદ નોંધાવી છે. FIR પણ દાખલ કરવામાં આવી છે. આજે તપાસ થશે.
આ ઘટના પર પોતાનો ડર વ્યક્ત કરતા સંજયે કહ્યું, “દેશભરમાં પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે. ફતેહપુરમાં પત્રકાર દિલીપ સૈનીની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરની હત્યા કરવામાં આવી હતી. સીતાપુરમાં રાઘવેન્દ્ર બાજપાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. યોગી સરકારમાં પત્રકારો સુરક્ષિત નથી. શું ફિલ્મની સમીક્ષા કરવી ગુનો છે?”
આ પણ વાંંચો: યુપીના રામપુરમાં 11 વર્ષની બહેરી-મૂંગી દલિત બાળકી પર બળાત્કાર
આ ઘટનાના વાયરલ વીડિયો પર, ડીસીપી પ્રયાગરાજ સિટીના સત્તાવાર એક્સ હેન્ડલે બુધવારે માહિતી આપી હતી કે, “ઉપરોક્ત કેસના સંદર્ભમાં મળેલી ફરિયાદના આધારે, સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.”
પત્રકાર સંજયના મિત્ર રવિ કુમાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે બુધવારે અજાણ્યા પીવીઆર કર્મચારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ), 2023 ની કલમ 115(2), 352, 351(2), 351(3), 309(4) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ અધિનિયમ), 1989 (સુધારા 2015) ની કલમ 3(2)(v), 3(1)d, 3(1)d હેઠળ કેસ નોંધ્યો છે.
તમને જણાવી દઈએ કે ફૂલે ફિલ્મને લઈને દેશભરમાં તેનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી મનુવાદી તત્વો દ્વારા કોઈને કોઈ રીતે તેને રોકવા પ્રયત્નો થઈ રહ્યાં છે. અગાઉ બ્રાહ્મણ સંગઠનોએ આ ફિલ્મનો બહિષ્કાર કરીને વિરોધ કર્યો છે. એ પછી સેન્સર બોર્ડમાં બેઠેલા બ્રાહ્મણ સભ્યોએ તેમાં 12 જેટલા ફેરફારો કરવાનો આદેશ કરી દીધો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ તેના પોસ્ટરોને થિયટરો બહાર લગાવવામાં આવ્યા નથી. ફિલ્મ સમીક્ષકો તેનો રિવ્યૂ કરતા નથી.
આ બધાં કારણોસર ફિલ્મ જોવા માંગતા બહુજન સમાજના લોકોએ સ્વયં આગળ આવીને બલ્કમાં ટિકિટો બૂક કરીને શોનું આયોજન કરવું પડી રહ્યું છે. ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરોમાં ફૂલે ફિલ્મના શો જ નથી. આટલું બાકી હતું તો હવે ફિલ્મનો રિવ્યૂ કરવા પહોંચેલા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે.
આ પણ વાંંચો: ડૉ.આંબેડકર પાર્કમાં લાગેલી બુદ્ધની પ્રતિમા કોઈએ તોડી નાખી











very good information