ભારતમાં સરકારી કચેરીઓમાં પોતાની જાતિની કથિત સર્વોપરિતાને કારણે ઉચ્ચ હોદ્દા પર બેસી ગયા તત્વો દલિતો સાથે કેવો અને કેટલો અત્યાચાર કરે છે તેના દાખલા એટલા બધાં છે કે ફાઈલો ભરાઈ જાય તેમ છે. અનેક કિસ્સામાં જાતિવાદી તત્વો દલિત કર્મચારીઓને સરકારી નોકરીમાંથી બેદખલ કરવા માટે જાતભાતના હથકંડાઓ અપનાવતા હોય છે. તેમ છતાં પારિવારિક જવાબદારીની મજબૂરીને કારણે જો દલિત કર્મચારી નોકરી ન છોડે તો આવા હલકટ તત્વો તેને મરવા મજબૂર કરી દેતા પણ ખચકાતા નથી. આવી જ એક જાતિવાદની વરવી ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં એક દલિત યુવકે સરકારી કચેરીના ડિરેક્ટરના ત્રાસથી કંટાળીને ઓફિસના જ રૂમમાં આપઘાત કરી લીધો હતો.
જાતિવાદી ડાયરેક્ટરના ત્રાસે નિર્દોષ દલિત યુવકનો ભોગ લીધો
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં રહેતો રોહિત ભાદરકા આશ્રમ રોડ પર આવેલી આરોગ્ય અને પરિવાર કલ્યાણની પ્રાદેશિક કચેરીમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. ગઈકાલે રોહિતે કચેરીના ડાયરેક્ટર ડૉ. અમોલ પાટીલના અસહ્ય ત્રાસથી કંટાળીને ઓફિસના રૂમમાં જ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.
આપઘાત કરતા પહેલા રોહિતે ઓફિસના જાતિવાદી ડાયરેક્ટર ડૉ. અમોલ પાટીલના ત્રાસ અંગેની આપવીતીનો વિડીયો શુટ કરીને તેના મિત્રને મોકલી આપ્યો હતો. જેના કારણે આખી ઘટનામાં ડાયરેક્ટર અમોલ પાટીલના ત્રાસનો ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમોલ પાટીલ સતત ત્રાસ આપતો હતો
ગીતામંદિરમાં આવેલી પઠાણની ચાલીમાં રહેતા રોહિત ભાદરકાએ ગઈકાલે આશ્રમ રોડ પર નેચર વ્યૂ બિલ્ડીંગમાં આવેલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રાદેશિક કચેરીના રૂમમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. રોહિત આ ઓફિસમાં છેલ્લાં છ વર્ષથી પટાવાળા તરીકે નોકરી કરતો હતો. પણ કચેરીના મનુવાદી માનસિકતા ધરાવતા ડાયરેક્ટર અમોલ પાટીલ તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપીને હેરાન કરતા હતા. જેનાથી રોહિત કંટાળી ગયો હતો. જો કે ઘરપરિવારની જવાબદારી માથે હોવાથી તે ડાયરેક્ટરનો ત્રાસ સહન કરીને નોકરી કરતો હતો.
ડો.અમોલ પાટીલને જીગીશા મેડમ સાથે પ્રેમસંબંધ હતો
ગુરૂવારે આત્મહત્યા કરતા પહેલા તેના એક મિત્રને મોબાઇલનો પાસવર્ડ અને એક વિડીયો મોકલ્યો હતો. સાડા છ મિનિટના આ વીડિયોમાં રોહિતે આક્ષેપ કર્યો હતો કે તેની ઓફિસમાં ડાયરેક્ટર તરીકે કામ કરતા ડૉ.અમોલ પાટીલ અને જીગીશા મેડમ વચ્ચે પ્રેમ સંબંધ હતો. જ્યાં સુધી જીગીશા મેડમ ચાર્જમાં હતા ત્યાં સુધી અમોલ પાટીલ તેને કંઈ કહેતા નહોતા. પરંતુ જેવો ડાયરેક્ટરનો ચાર્જ તેના હાથમાં આવ્યો કે તરત અમોલ પાટીલનું જાતિવાદી સ્વરૂપ સામે આવી ગયું હતું અને તેણે રોહિતને માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
રોહિત સવારે આઠ વાગે આવીને ઓફિસમાં સફાઇ કરીને બાકીનું કામ પણ કરતો હતો. તેમ છતાં અમોલ પાટીલ તેને ધમકાવીને “તારે બેસી નથી રહેવાનું, ઓફિસે કામ કરવા આવો છો” કહીને ત્રાસ આપતો હતો.
અમોલ પાટીલ રોહિત પાસે 11 કલાક કામ કરાવતો
રોહિતે સ્યુસાઈડ વીડિયોમાં જણાવ્યા પ્રમાણે અમોલ પાટીલ તેને અનેક રીતે હેરાન કરતો હતો. તે જમીન પર કચરો નાખીને રોહિતને વાળવાનું કહેતો, તે બાથરૂમ જાય તો ફ્લશ પણ ચાલુ ન કરી ગંદકી ફેલાવતો, લાત મારતો, સોફા નીચે પાડી દેતો. નોકરીનો સમયગાળો 8 કલાક હોવા છતાં અમોલ પાટીલ રોહિત પાસે ૧૦ થી ૧૧ કલાક કામ કરાવતો હતો.
એટ્રોસિટી એક્ટ અને દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધાયો
ચોંકાવનારી વાત એ છે કે, ત્રણ વર્ષ પહેલા બજેટ ન આવ્યાનું જણાવીને અમોલ પાટીલે રોહિત પાસે આઠ મહિના સુધી મફતમાં કામ કરાવ્યું હતું. જાતિવાદી માનસિકતા ધરાવતો ડાયરેક્ટર રોહિત જાણે તેનો નોકર હોય તેમ ઘરના કામ માટે બોલાવતા અને ગાડીની સાફસફાઇ પણ કરાવતો હતો. આમ, સતત માનસિક ત્રાસથી કંટાળીને રોહિતે જીવન ટૂંકાવ્યું હતું.
વીડિયો પુરાવાર તરીકે ઉપયોગમાં લેવાશે
આ મામલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડાયરેક્ટર ડૉ.અમોલ પાટીલ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સ્ટાફના નિવેદન લેવાની સાથે આત્મહત્યા પહેલાનો વિડીયો પુરાવા તરીકે લેવામાં આવશે.
આ પણ વાંચો: ઓઢવ ચર્ચ ગુંડાગીરી મામલે પોલીસનું ‘જૂઠ્ઠાણું’ પકડાયું?
*આત્મહત્યા એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ!
દરેકને વહેલાં કે મોડા મરવાનો વારો આવશે, કોઈ વ્યક્તિ જીવન જીવવા માટે અમર પાટો બાંધીને કૂખેથી પેદા થયો નથી તે પણ દિવા જેવું સત્ય છે. સાધુવાદ!