દુનિયા આખી એઆઈના સહારે હરણફાળ ભરી રહી છે, અલગ અલગ પ્રકારનું સંશોધન કરીને માનવજીવનને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તે માટે મહેનત કરી રહી છે. બીજી તરફ આપણો સ્વઘોષિત વિશ્વગુરુ ભારત દેશ જાતિવાદની ગટરમાં વધુને વધુ ખૂંપતો જઈ રહ્યો છે. તદ્દન નજીવી બાબતમાં પણ જાતિવાદી ગુંડાઓ દલિતો પર હુમલો કરવાનું, માર મારવાનું અને હત્યા કરી દેવામાં પણ નાનપ નથી અનુભવતા.
આવી જ એક અત્યંત આઘાતજનક ઘટના કર્ણાટકના ગડગ જિલ્લામાંથી સામે આવી છે. ગડગ જિલ્લાના મુંડરગી તાલુકામાં આવેલા ચિક્કવડ્ડત્તી ગામમાં એક દલિત યુવકે અન્ય જ્ઞાતિના ખેતરમાંથી પાણી પીધું હોવાની બાબતે ગામમાં ભયાનક કોમી જૂથ અથડામણ ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષે ભારે પથ્થરમારો અને હુમલાઓ થયા હતા, જેમાં અંદાજે 32 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે અને સામાજિક સમાનતાના દાવાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.

ખેતરમાંથી પાણી પીવા જેવી બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું
ઘટનાની વિગતો મુજબ, વિવાદની શરૂઆત એક અત્યંત સામાન્ય ગણી શકાય તેવી ઘટનાથી થઈ હતી. ગામનો એક દલિત યુવક ખેતરની આસપાસથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને તરસ લાગતા તેણે નજીકમાં આવેલા બીજા સમાજની (સવર્ણ) વ્યક્તિના ખેતરમાં જઈને પાણી પીધું હતું. આ બાબત ખેતર માલિક અને ત્યાં હાજર અન્ય સવર્ણ જ્ઞાતિના લોકોને ગમી નહોતી. તેમને લાગ્યું કે તેમનું ખેતર અને પાણી બંને અભડાઈ ગયા છે. દલિત યુવક દ્વારા પાણી પીવાને તેમણે પોતાની જ્ઞાતિનું અપમાન ગણ્યું અને યુવક સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી.
આ પણ વાંચો: બ્રાહ્મણવાદ જિંદાબાદ’ના નારા લગાવતી મેઘા લવારિયની બોલતી બંધ!
સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. જ્યારે આ વાતની જાણ દલિત સમાજના લોકોને થઈ, ત્યારે તેઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. સામસામે ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ અથડામણ એટલી ભીષણ હતી કે જોતજોતામાં 32 લોકો લોહીલુહાણ થઈ ગયા હતા. ઘાયલોમાં 15 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે, જેમને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે કહ્યું, જૂની અદાવતમાં હુમલો થયો
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, હિંસા પાછળનું તાત્કાલિક કારણ ભલે પાણી પીવાની ઘટના હોય, પરંતુ તેની પાછળ જૂની અદાવત પણ જવાબદાર છે. ગામના આ બંને સમાજ વચ્ચે લાંબા સમયથી કોઈને કોઈ બાબતે મનદુઃખ ચાલતું હતું. અગાઉ પણ કેટલીક નાની બાબતોમાં બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ તે સમયે મામલો શાંત પડી ગયો હતો. જોકે, આ વખતે પાણી પીવા જેવી ક્ષુલ્લક બાબતે અગાઉની તમામ અદાવતો બહાર આવી ગઈ અને વાત વણસી ગઈ હતી.

પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ચિક્કવડ્ડત્તી ગામમાં તાત્કાલિક અસરથી ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. હાલ ગામમાં શાંતિ છે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ મામલાની બારીકાઈથી તપાસ કરવા માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું
પોલીસે 191 લોકો સામે ફરિયાદ નોંધી
હિંસા આચરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે આ ગુનાહિત હિંસા બદલ કુલ 191 લોકો સામે એફઆઈઆર (FIR) દાખલ કરી છે. આટલી મોટી સંખ્યામાં નામજોગ અને અજ્ઞાત લોકો સામે ગુનો નોંધાતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધીમાં પોલીસે 21 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તપાસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હિંસાના સાચા કારણો અને ઉશ્કેરણી કરનાર મુખ્ય સૂત્રધારોની ઓળખ હજુ બાકી છે. સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ ઘટના બાદ ગામના વડીલો અને શાંતિ સમિતિ સાથે પણ બેઠક યોજવાની પોલીસની યોજના છે જેથી ભવિષ્યમાં આવા બનાવો રોકી શકાય.
આ પણ વાંચો: ‘તારે રૂપિયાની શું જરૂર?’ કહી ભાજપ નેતાએ દલિત યુવકના રૂપિયા લઈ લીધાં











