બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં મધ્યપ્રદેશથી પેટિયું રળવા આવેલા અનેક નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 18 શ્રમિકોના મોત થયા હતા. પણ હવે વધુ 3 શ્રમિકોના મૃતદેહો મળી આવતા કુલ મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા.
આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે.
બીજી તરફ આ દુર્ઘટનામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.
સિવિલ હોસ્પિટલે મંત્રીઓ-અધિકારીઓને બેઠક યોજાઈ
આ ઘટનાની જાણ થતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને મંત્રી બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓને બેઠક યોજાઈ હતી. બીજી તરફ ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે ‘આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.’
ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે.
આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 1, 2025
ઉચ્ચ કમિટી બનાવવા માટે રજૂઆત કરીશ: ગેનીબેન ઠાકોર
સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’
સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ: શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા.
अत्यंत दुःखद समाचार प्राप्त हुआ है कि बनासकांठा के डीसा में एक पटाखा फैक्ट्री में विस्फोट होने से 17 मजदूरों की मौत हो गई है। गुजरात में ऐसी घटनाएं बार बार हो रही हैं। चाहे वह सूरत में तक्षशिला अग्निकांड हो या राजकोट की भीषण आग कि घटना । कई लोगों की जान चली गई, यह दुःख की बात है… pic.twitter.com/L3NBg9CsoJ
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) April 1, 2025
ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુઃખ.’ જાણકારી અનુસાર ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી. એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ જરૂરી છે.
આ પણ વાંચો: ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગઃ 17નાં મોત