અમરેલી જિલ્લાના ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં નહાવા પડેલા 4 દલિત યુવકોના ગઈકાલે મોત નીપજ્યા હતા. આટલી મોટી ઘટના હોવા છતાં મનુ મીડિયા દ્વારા તેની જોઈએ તેવી નોંધ લેવાઈ નથી. ચારેય આશાસ્પદ યુવકો 18થી 27 વર્ષની ઉંમરના હતા. ચારેય યુવાનો શેત્રુંજી નદીમાં નાહવા પડ્યા હતા. એ દરમિયાન નદીના ઊંડા પાણી ગરકાવ થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
નદીમાં ડૂબ જવાની ઘટનામાં 4 યુવાનોના મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાને પગલે સંમગ્ર પથંકમાં શોક છવાયો છે. જો કે, સ્થાનિક દલિત સમાજના લોકોનું કહેવું છે કે, આ ઘટનામાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે ચારેય દલિત યુવકોના મૃતદેહ સાથે અમાનવીય વર્તન કર્યું હતું.
યુટ્યુબર નરેશભાઈ વાળાએ વીડિયોમાં તંત્રની પોલ ખોલી
અમરેલીના યુટ્યુબર નરેશભાઈ વાળાએ પોતાની ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ચારેય દલિત યુવકોના મૃતદેહ સાથે તંત્ર દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસે તેમના મૃતદેહોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવાને બદલે તેમને એક ખખડધજ ટ્રેક્ટર ટ્રોલીમાં નાખીને હોસ્પિટલ લઈ ગયા હતા. તંત્રે આવું એટલા માટે કર્યું કારણ કે મૃતકો દલિત સમાજના યુવકો હતા. જો કોઈ સવર્ણ જાતિના યુવકોનું મોત થયું હોત તો શું તંત્ર આ જ રીતે તેમને ટ્રેક્ટર ટ્રોલીમાં નાખીને હોસ્પિટલ લઈ જાત?
શું પૈસાદારના પુત્ર સાથે પણ તંત્ર આવું વર્તન કરત?
નરેશભાઈ વાળા વીડિયોમાં આગળ જણાવે છે કે, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચારેય દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. જો કોઈ પૈસાદારનો દીકરો આ રીતે નદીમાં ડૂબીને મોતને ભેટ્યો હોય તો પોલીસ તેના માટે ખાસ એમ્બ્યુલન્સ બોલાવત અને બધી તૈયારીઓ કરીને પછી કાર્યવાહી કરત. પણ આમાં કેસમાં એવું ન થયું. દલિતો સાથે આજે પણ સવર્ણ હિંદુઓ આખી જિંદગી ભેદભાવ દાખવે છે. આ કેસમાં ચારેય આશાસ્પદ દલિત યુવકોને મર્યા પછી પણ તંત્ર અને પોલીસ સન્માનજનક રીતે વિદાય આપી શકી નથી.
તંત્રના અમાનવીય વર્તન સામે સ્થાનિકોમાં ભારે રોષ
તંત્રના આ પ્રકારના વર્તનને લઈને અમરેલીના સ્થાનિક દલિતોમાં ભારે રોષ છે. સમાજના જાગૃત લોકોએ આ મામલે અવાજ ઉઠાવ્યો છે. ઉનાકાંડ બાદ થયેલા આંદોલનમાં સમાજ માટે જેલવાસ ભોગવીને આવેલા સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળાએ ખબરઅંતર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ” ચાર-ચાર જુવાનજોધ યુવકો મોતને ભેટ્યાં છતાં અમરેલીનો એકેય સ્થાનિક નેતા હોસ્પિટલે ડોકાયો નહોતો.
આ પણ વાંચો: Somnath Suryavanshi ના મોતમાં પોલીસ જવાબદાર, તપાસમાં ખુલાસો
સમાજના નામે ચરી ખાતા કહેવાતા દલિત આગેવાનોએ પણ આ મામલે શું કાર્યવાહી થઈ છે તે જાણવાની તસ્દી લીધી નહોતી. પોલીસ અને તંત્રે ચારેય દલિત યુવકોના મૃતદેહને સન્માનજનક રીતે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચાડવાને બદલે ટ્રોલીમાં લાદીને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડ્યા હતા. આ તેમની નિર્લજ્જતા દર્શાવે છે. તંત્રના અધિકારીઓમાં માણસાઈ મરી પરવારી છે. દલિત સમાજ સાથે જીવતેજીવ તો ભેદભાવ થાય જ છે, પણ અહીં તો જેમના પર કાયદો વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી છે તે તંત્ર-પોલીસે જ આ યુવકોના મૃતદેહ સાથે અમાનવીય વર્તન કર્યું હતું, તેની જવાબદારી કોણ લેશે?”
ઘટના કેવી રીતે બની હતી?
ઉલ્લેખનીય છે કે, અમરેલી તાલુકાના ગાવડકા નજીક આવેલી શેત્રુંજી નદીમાં 4 યુવાનો નાહવા જતાં ડૂબ્યા હતા. નદી કાંઠેથી કપડાં મળી આવતા યુવાનો સ્થાનિક વિસ્તારના હોવાનું સામે આવ્યું હતું. એ પછી ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ચારેય યુવાનોને બહાર કાઢવા ઓપરેશન હાથ ધર્યું હતું.
મૃતક ચારેય યુવકોની યાદી
– ભાર્ગવ રમેશભાઈ રાઠોડ (ઉં.વ. 20, મુ.મીઠાપુર ડુંગરી, તા. ધારી)
– નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા (ઉં.વ. 18)
– કૌશિક મુળજીભાઈ રાઠોડ (ઉં.વ. 21)
– કમલેશ ઉર્ફે સાગર ખોડાભાઈ દાફડા (ઉં.વ. 27)
આ પણ વાંચો: આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા