રાજસ્થાનના જોધપુરમાં એક સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શીવ તાંડવ ભજવતી વખતે આઠ છોકરીઓના ચહેરા દાઝી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વિદ્યાર્થીનીઓઓ શીવ તાંડવ રજૂ કરવાનું હતું. જે વધુ વાસ્તવિક લાગે તે માટે તેમણે ચહેરા પર ભસ્મ લગાવવાનું નક્કી કર્યું હતું. જો કે, ભસ્મના કારણે તેમના ચહેરાને ગંભીર અસર પડી હતી અને બળતરા થવા લાગી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ઘટના બની
આ ઘટના જોધપુરના સિવાંચી ગેટ પર સ્થિત મહેશ સ્કૂલમાં મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત ‘શિવ શક્તિ’ સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન ઘટી હતી. આ સાંસ્કૃતિ સંધ્યામાં ભગવાન શિવ પર આધારિત શીવ તાંડવની લાઇવ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. એ દરમિયાન પર્ફોમન્સ આપતી છોકરીઓએ વાસ્તવિક દેખાવા માટે મોં પર ભસ્મ લગાવી હતી. પરંતુ ભસ્મમાં રહેલા રાસાયણિક તત્વોને કારણે છોકરીઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી
કેમિકલ પરસેવાના સંપર્કમાં આવતા ચહેરા પર બળતરાં થઈ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર શીવ તાંડવની રજૂઆત વખતે ભગવાન શિવના પોશાકમાં સજ્જ છોકરીઓએ મેકઅપની સાથે તેમના ચહેરા પર ભસ્મ લગાવી હતી. એવી આશંકા છે કે ભસ્મમાં રહેલું રસાયણ માણસના પરસેવાના સંપર્કમાં આવ્યા પછી પ્રતિક્રિયા આપે છે, જેના કારણે જ આ છોકરીઓની ત્વચા બળી ગઈ હતી. મોટાભાગની છોકરીઓી ઉંમર 15 થી 22 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.
5 છોકરીઓને બર્ન યુનિટમાં દાખલ કરવામાં આવી
ઘટના પછી તરત જ બધી દાઝી ગયેલી છોકરીઓને મહાત્મા ગાંધી હોસ્પિટલ (MGH) લઈ જવામાં આવી હતી. હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે કુલ 8 છોકરીઓમાંથી 3 ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 5 છોકરીઓને બર્ન યુનિટમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, દાખલ કરાયેલી છોકરીઓની હાલત હાલમાં સ્થિર છે અને તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી
આ મામલે પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શિવ તાંડવ દરમિયાન ભસ્મ ફેંકવામાં આવી હતી અને તે છોકરીઓના ચહેરા પર લગાવેલા મેકઅપને કારણે તેમની ત્વચા સાથે ચોંટી ગઈ હતી, જેના કારણે તેમને બળતરા ઉપડી હતી. હાલમાં, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે કે વપરાયેલી ભસ્મમાં કયા રાસાયણિક તત્વો હાજર હતા અને આયોજકો દ્વારા સલામતીના ધોરણોનું કેટલું પાલન કરવામાં આવ્યું હતું.
જોધપુરના મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા મહેશ નવમી 2025 ના કાર્યક્રમો રવિવારે સમાપ્ત થવાના હતા. સમાપન સમારોહના દિવસે, શિવ અને શક્તિના જોડાણ પર આધારિત સાંસ્કૃતિક સંધ્યામાં શીવ તાંડવ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં આ ઘટના બની હતી.
આ પણ વાંચો: નદીમાં પડવાથી એક સાથે ચાર દલિત દીકરીઓના મોત