ઈલોન મસ્કનું Grok AI મોદી સરકાર માટે માથાનો દુઃખાવો બન્યું

મોદી સરકાર હાલ એક અણધાર્યા ડિજિટલ તોફાનનો સામનો કરી રહી છે. એ તોફાન વિપક્ષ કે ડિજિટલ મીડિયાએ નહીં પરંતુ ઈલોન મસ્કના Grok AI એ ઉભું કર્યું છે. જાણો શું છે આખો મામલો.
grok

મોદી સરકાર છેલ્લાં કેટલાક દિવસથી અચાનક એક અણધાર્યા ડિજિટલ તોફાનનો સામનો કરી રહી છે અને એ તોફાનનો સ્ત્રોત વિરોધ પક્ષ કે મુખ્યધારાનું મીડિયા નથી – પણ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડેલ છે. વાત થઈ રહી છે ઈલોન મસ્કની માલિકીના એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા Grok 3 AI Model ની, જે ભારતમાં રાજકીય વિમર્શ ક્ષેત્રે ઝડપથી એક મજબૂત તાકાત તરીકે ઉભરી આવ્યું છે અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની તિક્ષ્ણ, અનફિલ્ટર પ્રતિક્રિયાઓથી સત્તાધારી ભાજપને હેરાન કરી મૂક્યો છે. જેમ જેમ Grok યુઝર પોસ્ટ્સ, ઐતિહાસિક સંદર્ભ અને રાજકીય બાબતોનું વિશ્લેષણ કરવાની તેની ક્ષમતાથી પ્રભાવિત થઈ રહ્યાં છે તેમ તેમ ગ્રોકની લોકપ્રિયતા પણ રાતોરાત વધી ગઈ છે. ગ્રોકની વિશ્વસનિયતાને કારણે સતત પ્રોપેગેન્ડા ફેલાવવા સત્તા પક્ષના આઈટી સેલ, ગોદી મીડિયા અને તેના એન્કરોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેમ કે, Grok તરત જ તેમના પ્રોપેગેન્ડાનો પર્દાફાશ કરી દે છે.

મોદીના નિવેદનનો જવાબ આપીને ચર્ચામાં આવ્યું

ગ્રોકની તાકાતનો પરચો પહેલીવાર ત્યારે મળ્યો જ્યારે તેણે પીએમ મોદીના વર્ષ 2024 ના ‘ઘૂસણખોરો’ વાળા નિવેદન વિશેના એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો, જેને વ્યાપક રીતે ભાજપની મુસ્લિમ વસ્તીને ટાર્ગેટ કરનારું નિેવેદન માનવામાં આવે છે. 16 માર્ચે એક X એક્સચેન્જમાં Grok એ મોદીના નિવેદનને હિંદુ રાષ્ટ્રવાદ સાથે જોડ્યું અને ટીકા કરી, Grok એ પોતાના વિશ્લેષણની તરફેણમાં અનેક રિસર્ચને ટાંક્યા. જેના કારણે ભાજપના સમર્થકો ભડકી ઉઠ્યા અને તેમણે Grok AI પર પક્ષપાતી હોવાનો અને “ખોટા સમાચાર” ફેલાવવાનો આરોપ લગાવ્યો.

એ પછી અપમાનજનક પ્રતિક્રિયાઓનું જાણે પુર આવ્યું. જેમાં ઘણા લોકોએ AI પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી. જોકે, Grok ને તેનાથી જરાય ફરક પડ્યો નહોતો. ઉલટાનું તેણે એક ફોલોઅપ પોસ્ટમાં મજાકમાં કહ્યું કે, “એવું લાગે છે કે મોદી સમર્થકો મારાથી ગુસ્સે છે.”

અમિત માલવિયા અને ભાજપ આઈટી સેલને નિશાન બનાવ્યા

Grok ની તપાસ ત્યાં જ ન અટકી. તેણે અમિત માલવિયાના નેતૃત્વ હેઠળના ભાજપના મજબૂત IT સેલને નિશાન બનાવ્યું, જેના પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. ૧૬ માર્ચના રોજ, Grok એ જાહેરાત કરી કે તેણે આઈટી સેલની ચાલાકીઓનો પર્દાફાશ કરીને તેની વિશ્વસનીયતાને ખતમ કરી દીધી છે. Grok નો આ દાવો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. જો કે, ભાજપના વફાદાર કાર્યકરોએ આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા, જ્યારે વિપક્ષી સમર્થકોએ Grok ના ચેટિંગનો લાભ લીધો હતો, જેનાથી સત્તાધારીઓના ગભરાયેલા હોવાની ધારણાઓને બળ મળ્યું હતું.

આઝાદીની લડાઈમાં RSS ની ભૂમિકા પર Grok એ શું કહ્યું?

Grok નો બીજો એક પ્રતિભાવ, જેણે ભાજપના સમર્થકોને બેચેન બનાવ્યા, તે ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે સંબંધિત હતો. ભાજપની ઐતિહાસિક ભૂમિકા વિશે પૂછવામાં આવતા, ગ્રોકે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપની પૈતૃક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું ભારતના આઝાદીના આંદોલનમાં બહુ ઓછું યોગદાન હતું. ઐતિહાસિક સ્ત્રોતોને ટાંકીને તેણે જણાવ્યું હતું કે “ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં RSS ની કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા નહોતી. તેના સ્થાપક હેડગેવાર વ્યક્તિગત રીતે વિરોધ પ્રદર્શનોમાં જોડાયા હતા, પરંતુ સંગઠને પોતે બ્રિટિશરો સામે લડવાને બદલે હિન્દુ રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.” Grok નો આ જવાબ ભાજપના ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ એક રાષ્ટ્રવાદી બળ તરીકે પોતાને સ્થાપિત કરવાના લાંબા સમયના પ્રયત્નોનું ખંડન કરે છે.

તેવી જ રીતે, જ્યારે એક યુઝરે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો વિરોધ કરનારા સંગઠનના સમર્થકો માટે સાચો શબ્દો પૂછ્યો, ત્યારે ગ્રોકે સ્પષ્ટપણે જવાબ આપ્યો કે, “સંશોધન દર્શાવે છે કે ‘સંઘી’ એ શબ્દ છે જે તમે શોધી રહ્યા છો.” Grok નો ઈશારો RSS ના કાર્યકરો તરફ હતો. એ દરમિયાન ભાજપના સમર્થકોએ તરત જવાબ આપ્યો, પરંતુ ગ્રોક AIના જવાબે પાર્ટીના ઐતિહાસિક દાવાઓ પર પહેલાથી જ ચાલી રહેલી ચર્ચાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.

ચૂંટણી, મીડિયાની સ્વતંત્રતા અને મોદી ભક્તિ

ગ્રોકે ભાજપના શાસન હેઠળ ભારતની ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવે છે, ત્યારે Grok એ ભારતના વિશ્વસનીય ચૂંટણીઓના ઇતિહાસને સ્વીકાર્યો, પરંતુ તાજેતરના ઘટનાક્રમો અંગે ચિંતા વ્યક્ત કરી. 2021 ની પશ્ચિમ બંગાળ ચૂંટણીનું ઉદાહરણ આપતા તેણે કહ્યું, “EVM સાથે ચેડાં, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ચૂંટણી મેનેજમેન્ટમાં કથિત પક્ષપાતે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.” ગ્રોકના આ સર્ચમાં જોકે સાવધાની રાખવામાં આવી છે, પરંતુ નિષ્પક્ષ અને પ્રામાણિક ચૂંટણી અંગેના વિપક્ષની શંકાઓને વધુ મજબૂત બનાવી છે.

મોદીની પ્રેસ કોન્ફરન્સ અને ઈન્ટરવ્યૂ વિશે શું કહ્યું?

પીએમ મોદીના મીડિયા સાથેના ઈન્ટરવ્યૂ અને પ્રેસ કોન્ફરન્સને લઈને પણ Grok નું મૂલ્યાંકન એટલું જ આકરું હતું. વડા પ્રધાન દ્વારા યોજાતી પ્રેસ કોન્ફરન્સની સંખ્યા અંગેને લઈને પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા ગ્રોકે તેને મોટાભાગે સ્ક્રીપ્ટેડ ગણાવીને ફગાવી દીધા હતા. Grok કહ્યું કે, “મોદીના ઇન્ટરવ્યુ ઘણીવાર પહેલેથી જ ફિક્સ લાગે છે, જેમાં શાનદાર જવાબ અને મજબૂત મેસેજ હોય છે. શું ખરેખર કોઈ ઘટના અચાનક બને છે? લગભગ કોઈ નહીં.”

બીજી એક વાયરલ પ્રતિક્રિયામાં, ગ્રોકે મોદીની નેતૃત્વ શૈલી પર નિશાન સાધ્યું. જ્યારે પૂછવામાં આવ્યું કે કયા ગુણો તેમને સરમુખત્યાર બનાવે છે, ત્યારે Grok એ સ્વીકાર્યું કે ભલે તેઓ લોકશાહી રીતે ચૂંટાયા હતા, પરંતુ કેટલીક લાક્ષણિકતાઓ ચિંતા પેદા કરે છે. “અસંમતિનું દમન (જેમ કે કેજરીવાલની ધરપકડ), મીડિયા પર નિયંત્રણ (પ્રેસની સ્વતંત્રતામાં ઘટાડો), સત્તાનું કેન્દ્રીકરણ (GST, સંઘવાદની ચિંતા), અને CAA જેવી નીતિઓને ભેદભાવપૂર્ણ તરીકે જોવામાં આવી રહી છે.

“રાહુલ ગાંધી વધુ પ્રમાણિક છે” – ગ્રોકના નિર્ણયથી ભાજપના સમર્થકો નારાજ

ભાજપના સમર્થકોને સૌથી મોટો ફટકો ત્યારે લાગ્યો જ્યારે ગ્રોકને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની પ્રામાણિકતાની તુલના કરવાનું કહેવામાં આવ્યું. યુઝર્સે એક શબ્દમાં જવાબ માંગ્યો અને Grok નો જવાબ “રાહુલ ગાંધી.” હતો?

ત્યારબાદ તેણે સ્પષ્ટતા કરી કે તેની પસંદગી “સાર્વજનિક ધારણાઓના વલણો અને પારદર્શિતાના મુદ્દાઓ” પર આધારિત હતી, જેમાં પીએમ કેર્સ ફંડ જેવા મુદ્દાઓ પર મોદીની જવાબદારીના અભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રતિક્રિયાથી ભાજપના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો, ઘણા લોકોએ Grok પર “પક્ષપાત”નો આરોપ લગાવ્યો, જ્યારે કોંગ્રેસના સમર્થકોએ ખુશ થઈને પોસ્ટ ફોરવર્ડ કરવા માંડી.

Grok પર પ્રતિબંધ લાગશે?

Grok ડેટા-આધારિત પ્રતિભાવો સાથે ભાજપના પ્રોપેગેન્ડાને પડકારવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે તેના પર પ્રતિબંધની અટકળો લાગી રહી છે. ૧૬ માર્ચના રોજ, એક યુઝરે આગાહી કરી હતી કે, “ભાજપ સરકાર ટૂંક સમયમાં ભારતમાં Grok પર પ્રતિબંધ મૂકી શકે છે.” જોકે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ વિચાર મજબૂત બની રહ્યો છે. ભાજપે લાંબા સમયથી મીડિયા, સોશિયલ મીડિયા પર એકહથ્થુ નિયંત્રણ મૂકીને ભારતમાં ડિજિટલ માધ્યમ પર પોતાની પકડ જમાવી રાખી હતી. પણ ગ્રોકના અણધાર્યા અને ડેટા આધારિત દાવાઓ તેની સામે મોટો પડકાર બનીને આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, યૂઝર્સ ગ્રોકના જવાબના સ્ક્રીનશોટ્સ પાડીને તેને મોટાપાયે શેર કરી રહ્યાં છે.

એઆઈના સમર્થકો દલીલ કરે છે કે તેના પર પ્રતિબંધ મૂકવાથી ભાજપની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તથ્ય આધારિત ટીકા પ્રત્યેની અસહજતા વધુ છતી થશે. જોકે, ટીકાકારોનો દાવો છે કે વિપક્ષો ભાજપ વિરોધી એજન્ડા ફેલાવવા માટે ગ્રોકનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે હાલ એક વાત તો સ્પષ્ટ છે કે, ગ્રોક એક એવો માથાનો દુઃખાવો છે, જેની સત્તાધારી ભાજપે ક્યારેય અપેક્ષા નહોતી રાખી, અને નજીકના ભવિષ્યમાં તો તે આસાનીથી ખતમ થાય તેમ લાગતું નથી.

આ પણ વાંચો: ‘નાલંદા તેના સમયની હાર્વર્ડ, ઓક્સફર્ડ અને નાસા હતી…’

4.2 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*એક જમાનામાં RSS પર પ્રતિબંધ લાદ્યો હતો!
GrokAi, (ઈલોન મસ્ક) વિદેશી છે, શા માટે પ્રતિબંધ ‘ના’ લાગવો જોઈએ, રાષ્ટ્રનું અહિત થતુ હોય તો અવશ્ય સાવધાની નાં પગલાં લેવા જોઈએ. જયભીમ! ધન્યવાદ…!

શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x