મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નગવાડા ગામના અને હાલ બહુચરાજી ખાતે રહેતા એડવોકેટ શ્રી પ્રવીણભાઈ શંકરભાઈ શ્રીમાળીની આશાસ્પદ દીકરીએ કોલેજ અને સંચાલક મંડળના શારીરિક,માનસિક ત્રાસના કારણે તારીખ-29/01/2025 ના રોજ આત્મહત્યા કરી લીધી. આ બનાવે આખા મહેસાણામાં ચકચાર જગાવી છે ત્યારે મરચન્ટ કોલેજ અને તેના સંચાલક મંડળ ઉપર સવાલો ઉભા થાય છે. આખા બનાવ બાદ આ કોલેજમાં વિદ્યાર્થીઓ એ ભયંકર પ્રતિક્રિયા આપી છે, અનેક વિદ્યાર્થીઓએ કોલેજમાં તોડફોડ કરી, મીડિયામાં પ્રતિક્રિયા આપી છે. વિદ્યાર્થીઓ માં મોટો આક્રોશ છે, મરચન્ટ કોલેજ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવે છે એવું અનેક વિધાર્થીઓ બોલ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મહેસાણાના એડવોકેટ કૌશિક પરમારે વિસ્તૃત માહિતી આપી છે.
ઘટના શું હતી?
મહેસાણા જિલ્લામાં બાસણા ગામે આવેલ મરચન્ટ કોલેજ જેનો કેટલોક રેવન્યુ વિસ્તાર બાસણામાં તો કેટલોક પિલુદરા સીમમાં પડે છે. આ કોલેજમાં પાટડીના નગવાડા ગામના પ્રવીણભાઈ શ્રીમાળીની દીકરીએ વર્ષ 2024 માં હોમિયોપેથીક (MBBS) માં પ્રવેશ લીધો હતો અને હાલ પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરતી હતી. મરચન્ટ કોલેજમાં બી.એચ.એમ.એસ., આયુર્વેદ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગમાં જી.એન.એમ, એ,એન.એમ તથા બીએસ.સી પણ ચાલે છે. સાથોસાથ એન્જીનીયરીંગ અને ડિપોલોમાં પણ સંચાલક મંડળ ચલાવે છે. વિવિધ વિદ્યાર્થીઓ પાસેથી મળેલ માહિતી મુજબ કોલેજ માત્ર પૈસા કમાવવાનો અડ્ડો છે, આ લોકોને શિક્ષણથી કોઈજ નિસબત નથી, બીજા રાજ્યમાંથી નોન ગુજરાતીઓને ફેકલ્ટી તરીકે બોલાવે છે. આ પ્રોફેસરો વિદ્યાર્થીઓને ખૂબ જ ત્રાસ આપે છે. પ્રવીણભાઈ શ્રીમાળીની દીકરી પણ આનો ભોગ બની હતી જેથી તે માનસિક તણાવમાં રહેતી હશે, અવાર નવાર જ નહીં પણ રેગ્યુલર આવું બને છે એવું વિદ્યાર્થીઓ કહે છે. પ્રવીણભાઈની દીકરીએ પ્રવીણભાઈ ને આ બાબતે વાત કરેલી જેમાં તેઓએ થોડા દિવસમાં કોલેજ આવશે એવું આશ્વાસન પણ આપેલું.
29 જાન્યુઆરી 2025ની ઘટના
તારીખ 29/01/2025 ના રોજ પ્રવીણભાઈ ઉપર કોલેજમાંથી કોઈનો ફોન આવે છે અને તેમની દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું કહેવામાં આવે છે. જેમાં તે બચી ગઈ છે અને તેને મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યાં છીએ. આથી પ્રવિણભાઈ તરત ત્યાં જવા નીકળી ગયા હતા. લગભગ 3.30 વાગ્યાની આસપાસ પ્રવીણભાઈ સહિત કુટુંબીજનો મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ત્યારે તેમની દીકરી મૃત હાલતમાં હતી. મહેસાણાથી પણ મોટી સંખ્યામાં દલિત સમાજના કાર્યકરો મહેસાણા સિવિલ ખાતે પહોંચી ગયેલા હતા,કોલેજના લોકો દીકરીને સિવિલ હોસ્પિટક મૂકીને જતા રહેલા હતા જે મુદ્દે પોલીસ અને કાર્યકરો વચ્ચે રકઝક થઈ હતી.
મરચન્ટ કોલેજની સ્થિતિ
સિવિલ હોસ્પિટલ ખાતે જુદી જુદી માહિતી આવતી હતી, ભોગ બનનારના સગા કોલેજ ઉપર પણ હતા જયાંથી અલગ અલગ માહિતી આવતી હતી. દીકરીની આત્મહત્યા ના મુદ્દે કોલેજમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયું હતું, વિધાર્થીઓએ કોલેજમાં તોડફોડ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓનો આક્રોશ હતો, અનેક જુદી જુદી ચેનલો ઉપર વિદ્યાર્થીઓ પ્રતિભાવ આપતા હતા જેમાં એક યુવતીએ મૃતક દલિત દીકરી સાથે થયેલા દુર્વ્યવહાર વિશે વાત કરી હતી. ઘણા સમયથી દબાયેલા રહેલા વિદ્યાર્થીઓઓ હવે સહન કરવા માંગતા નથી સહિત મરચન્ટ કોલેજ હાય,હાય ના નારા લગાવતા હતા.
પોલીસ ફરિયાદ બાબતે માથાકૂટ અને અંતે ફરિયાદ
સાંજે 4 વાગે એક પી.એસ.આઈ. નિવેદન લેવા આવેલા તેમણે જણાવેલ કે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીએ છીએ. જેમાં અમે તમામ કાર્યકરે ભેગા મળીને સીધી એફ.આઈ.આર થશે એવી માગણી કરતા ત્રણ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પાંચ પોલીસ સબ ઇસ્પેક્ટર અને એક ડીવાયએસપી સહિત મોટો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો, એ પછી અમે અમારી માંગણી મુજબ જો ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો લાશ સ્વીકારીશું નહીં એવી ચીમકી આપતા મોટી લડાઈ બાદ ફરિયાદ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સીધી ફરિયાદ દાખલ કરવાનો એક વ્યાજબી કારણ એવું પણ હતું કે પ્રવીણભાઈની દીકરીએ પ્રવીણભાઈને દરેક પ્રોફેસરે કરેલી પજવણી બાબતે ફરિયાદ કરી હતી. આ મામલે પિતા પ્રવીણભાઈએ દીકરીને પોતે બે થોડા દિવસમાં જ કૉલેજ આવશે તેવી હૈયાધારણ આપી હતી. પરંતુ એ પહેલા જ આ ઘટના બની હતી. અનેક વિદ્યાર્થીઓ આ બાબત ને સમર્થન આપેલ હતું.
આ પણ વાંચો: દેશની પહેલી દલિત હિરોઈન PK Rosy ની કરૂણ કહાની
ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં જ ફરિયાદ અંગે નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું જોકે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં કોમ્યુટર ટાઈપના પ્રશ્નો અને ધીમી ગતિના કારણે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા જવાનું નક્કી કરેલ જેથી ફરિયાદી, તેના પરિવારજનો અને કાર્યકરો તાલુકા પોલીસ મથકે ગયા જ્યા મોડી રાત સુધી ફરિયાદ લેવાનું ચાલુ રાખી આખી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદમાં 1. ડો.વિપક્ષી સુરેશરાવ વાસનીક 2. ડો.પ્રશાંત ચાંદમલજી નુવાલ 3. ડો.વાય.ચંદ્રાબોસ 4. ડો.સંજય રિથે 5. ડો.કૈલાશ ઝીંગા પાટીલ સામે આત્મહત્યાના દુષપ્રેરણ અને એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. ભોગ બનનાર અને કાર્યકરોની માગ મુજબ પેનલ પી.એમ.કરવાનું હોય અને રાત્રે પેનલ પી.એમ.કરવામાં આવતું ન હોય બીજા દિવસે સવારે પી.એમ. કરવાનું નક્કી કરેલ હતું.
પોસ્ટમોર્ટમ બાદ કલેક્ટરને રજૂઆત અને હલ્લાબોલ
સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ પી.એમ શરૂ કરવામાં આવ્યુ હતું અને આસરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ પીએમ પૂરું થયું હતું. જોકે સિવિલ હોસ્પિટલ ખાતે 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ ધસી આવ્યા હતા અને મર્ચન્ટ કોલેજ હાય હાય ના નારા બોલાવવા લાગ્યા. જેથી વાતાવરણ ગરમાયું હતું. વિદ્યાર્થીઓએ પ્રવીણભાઈ શ્રીમાળી સાથે વાતચીત કરીને આ બનાવમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયેલ હોઈ, અને અનેક વિદ્યાર્થીઓ એ મીડિયા સમક્ષ આપવીતી રજૂ કરેલ હોય કોલેજ દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થીને હેરાન ન કરવામાં આવે તથા કોઈના ભવિષ્ય સાથે ચેડાં ન કરવામાં આવે તેવી માંગ સાથે મહેસાણા કલેક્ટર શ્રીને રજૂઆત કરવી છે એમ જણાવતા કેટલીક માગણીઓ તૈયાર કરીને કલેકટર શ્રીને આવેદનપત્ર આપવા માટે તમામ લોકો એક સાથે ગયા હતા.
સિવિલ હોસ્પિટલમાં કૉલેજના પ્રતિનિધિનો વિરોધ અને ઝપાઝપી
કલેકટરને આવેદન આપ્યા બાદ તમામ લોકો હોસ્પિટલ પી.એમ.રૂમ ખાતે પરત આપેલા હતા,જ્યાં મરચન્ટ કોલેજ વતી બે પ્રતિનિધિ આવ્યા હતા. આખા બનાવને લઈને દુઃખ વ્યક્ત કરી આ અંગે કડક કાર્યવાહી થશે તેમજ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે જેવી વાતો કરી હતી. જોકે વિદ્યાર્થીઓનો રોષ મોટાપાયે ભભૂકયો હતો અને મરચન્ટ કૉલેજ હાય હાય ના નારા લગાવ્યા હતા. તો કેટલાક કાર્યકરોએ બંને પ્રતિનિધિઓ સાથે ટપલીદાવ કરતા અને હો હલ્લો થતા પોલીસે બંને પ્રતિનિધિને કોર્ડન કરી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, રોષ એટલો હતો કે લોકો મારવા પાછળ દોડ્યા હતા જેથી જીવ બચાવી બંને પ્રતિનિધિ એ ભાગવું પડ્યું હતું.
30 જાન્યુઆરીએ કૉલેજમાંથી દીકરીની સ્યુસાઈટ નોટ મળી
તારીખ-30/01/2025 ના રોજ કોલેજમાંથી દીકરીની સ્યુસાઇડ નોટ મળી છે અને પોલીસે કબજો કરી મહેસાણા આવતા હોવાના સમાચાર વહેતા થતા મહેસાણા એસ.સી.એસ.ટી.સેલ ખાતે કાર્યકરો ભેગા થયા હતા જ્યાં કેટલાક લોકોને નિવેદન તેમજ સ્યુસાઇડ નોટ મળેલ છે તેની ખાતરી કરી ત્યાંથી નીકળેલ હતા. બીજી બાજુ પ્રવીણભાઈ શ્રીમાળી પોતે એડવોકેટ હોઈ અને મહેસાણા બાર એડવોકેટ એસોસિયેશનના મેમ્બર હોઈ તેમજ મહેસાણા કોર્ટમાં પ્રેક્ટિસ કરેલ હોઈ આરોપીઓ તરફે કોઈ વકીલ રોકાશે નહીં તેવી વિનંતી મહેસાણા એડવોકેટ એસોસિએશન વતી કરવામાં આવી હતી.
1 જાન્યુઆરીએ 4 આરોપીઓને મહેસાણા સ્પેશ્યિલ કોર્ટમાં રજૂ કરાયા
તારીખ-01/02/2025 ના રોજ 4 આરોપીઓ ને મહેસાણા સ્પે.કૌર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં મહેસાણાના વિવેક બ્રહ્મભટ્ટ નામના વકીલ આરોપીઓ તરફે આવતા હોબાળો થયો હતો. જોકે આરોપીઓને સબ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. મહેસાણા બારની વિનંતી હોવા છતાં મહેસાણા ના વકીલ આરોપીઓ તરફે આવતા વકીલ આલમમાં મોટો ઉહાપોહ થયો હતો, જેથી કેટલાક વકીલોએ તાત્કાલિક ધોરણે લેખિત રજુઆત કરી આવા વકીલ સામે પગલા ભરવાની માંગ કરતા આવતી કાલ મહેસાણા બાર એસોસિયેશન દ્વારા જનરલ મિટિંગ બોલવાવવા માં આવેલ છે. બાસણા મરચન્ટ કોલેજમાં દલિત સમાજની યુવતીના આત્મહત્યા ના બનાવમાં બુધવાર તા. 5 ફેબ્રુઆરીના રોજ મહેસાણા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનું હોઇ તેની મિટીંગ કસ્બા આંબેડકર ચોક ખાતે મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં બહુજન સમાજ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજર આપી આગળની રણનીતિ નક્કી કરી હતી.
અહેવાલઃ એડવોકેટર કૌશિક પરમાર, મહેસાણા
આ પણ વાંચો: Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો