અમરેલીના જરખીયામાં જાતિવાદી ભરવાડો દ્વારા દલિત યુવક નિલેશ રાઠોડની હત્યા કરી નાખ્યાના ઘા હજુ તાજા છે ત્યાં વધુ એક ગામમાં ભરવાડો દ્વારા દલિત યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. દલિત યુવકે તેના ઘરે ઘૂસી આવેલી ભરવાડની ગાયને તગેડતા ભરવાડોએ “મારી ગાયને કેમ તગેડી?” એમ કહીને દલિત યુવક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં દલિત યુવકના બંને પગ ભાંગી ગયા છે.
હાલ પીડિત યુવકનું અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેઓ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે હજુ સુધી એકપણ આરોપીઓની ધરપકડ કરી નથી. એટલું જ નહીં, એફઆઈઆરમાં અનેક વિગતો નોંધવામાં આવી નથી, જેના કારણે હવે સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે આગળ આવીને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. આ ઘટનામાં તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ જાણ કરી છે અને તેમણે પણ જરૂર પડે ત્યાં આવીને ઉભા રહેવાની ખાતરી આપી છે.
ઘટના શું છે?
આ ઘટનાની એફઆઈઆરમાં નોંધાયેલી વિગતો મુજબ 47 વર્ષના રાજરત્ન હરખાભાઈ નાગવંશી પાટડી તાલુકાના પાનવા ગામમાં રહે છે અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 19-5-2025 સોમવારના રોજ સવારે 9.30 વાગ્યે તેઓ પોતાના ઘરેથી દૂધ લેવા માટે બહાર નીકળ્યા હતા. એ દરમિયાન તેમના ઘરની બહાર એક ગાય બરાબર રસ્તો રોકીને ઉભી હતી. રાજરત્નભાઈને બહાર જવાનું હોવાથી તેમણે ગાયને ત્યાંથી તગેડી હતી. એ દરમિયાન ગાયનો માલિક રમેશ મફા ભરવાડ ત્યાં આવ્યો હતો અને “મારી ગાયને કેમ તગેડી?” એમ કહીને બેફામ જાતિસૂચક ગાળો ભાંડવા લાગ્યો હતો અને હાથમાં રહેલી લાકડી રાજરત્નભાઈના ડાબા પગના સાથળ પર મારી દીધી હતી. હોબાળો થતા વાસના અન્ય લોકો રાજરત્નભાઈને છોડાવવા માટે આવી પહોંચ્યા હતા તેમને વધુ માર મારથી બચાવ્યા હતા.
આ પણ વાંચો: GPSCએ જે યુવતીને ફેઈલ કરી તેણે UPSCમાં ૮૨મો રેન્ક મેળવ્યો
15 મિનિટ પછી 5 લોકોને લઈને આવી હુમલો કર્યો
આટલી બબાલ કર્યા પછી પણ આરોપી અટક્યો નહોતો. એ પછી રમેશ મફા ભરવાડ ઘરે જતો રહ્યો હતો અને 15 મિનિટ બાદ તેના સંબંધીઓ કરશન ભરવાડ, દશરથ કરશન ભરવાડ, ધીરુ ભરવાડ અને જયપાલ ભરવાડને લઈને પાછો રાજરત્નભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને ફરીથી તેમના પર લાકડીઓ અને લોખંડની પાઈપથી હુમલો કરી દીધો હતો. આ તમામ આરોપીઓએ ભેગા મળી રાજરત્નભાઈના બંને પગ પર આડેધડ લાકડીઓના ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન જયપાલ ભરવાડે લોખંડના પાઈપથી હુમલો કરતા રાજરત્નભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપીઓએ તેમના બંને પગ ભાંગી નાખ્યા હતા. આ મારામારીમાં રાજરત્નભાઈના ખિસ્સામાં રહેલા રૂ. 300 અને તેમનો મોબાઈલ પણ પડી ગયા હતા. જે પણ આરોપીઓ લઈ ગયા હતા અને હજુ સુધી પરત નથી કર્યા.
દલિતવાસના લોકોએ વચ્ચે પડી છોડાવ્યા
મારામારી અને દેકારો થતા વાસના લોકો ભેગા થઈ ગયા હતા અને રાજરત્નભાઈને વધુ મારથી બચાવ્યા હતા. એ પછી પણ પાંચેય આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે, “આજે તો તને જીવતો જવા દઉં છું. પણ હવે પછી તારા ઘરે અમારી ગાય આવે અને તેને તગેડી તો જાનથી મારી નાખીશું.”
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી
એ પછી દલિતવાસના લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને રાજરત્નભાઈને સારવાર માટે દસાડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમના બંને પગે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે વીરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં રિફર કર્યા હતા. પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેમની યોગ્ય સારવાર કરી નહોતી. તેમને છાતીની ડાબી બાજુ અને બંને પગ ઘૂંટણથી નીચે ફ્રેક્ચર થઈ ગયા હોવાનું જણાવી ઓપરેશન કરવાનું હોવાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ રાજરત્નભાઈ સોલા સિવિલ હોસ્પિટલની સારવાર હેઠળ છે અને તેમના બંને પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
દસાડા પોલીસે FIR માં અનેક બાબતો નોંધી નહીં
રાજરત્નભાઈ પર થયેલા હુમલા બાદ તેમણે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસે આરોપીઓને છાવરતા હોય તેમ અનેક મહત્વની બાબતો FIRમાં નોંધી નથી. જેને લઈને ફરિયાદીએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે.
જિલ્લા એસપીને રાજરત્નભાઈએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, દસાડા પોલીસે એટ્રોસિટી એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ જે ફરિયાદ નોંધી છે તે તેમના કહ્યા મુજબ નોંધી નથી. આરોપીઓએ તેમના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કર્યો, તેમની મિલકતને નુકસાન પહોંચાડ્યું, આખી ઘટના જે મોબાઈલમાં રેકોર્ડ કરેલી હતી તે મોબાઈલ ઝૂંટવી લઈ તોડી નાખી પુરાવાનો નાશ કર્યો છે- આમાંની એકેય બાબત પોલીસને એફઆઈઆરમાં નોંધવા માટે કહ્યું હોવા છતાં નોંધી નથી.
આ પણ વાંચો: થાનગઢમાં ઝાડ કાપતા દલિત યુવક પર ચાર શખ્સોનો હુમલો
એટલું જ નહીં, પોલીસે રાજરત્નભાઈને ફરિયાદનું લખાણ વાંચી સંભળાવ્યા વિના, વાંચવા આપ્યા વિના તેમની સહી કરાવી લીધી હતી. તેમને દુઃખાવો થતો હોવાથી સોલા સિવિલમાં સારવાર માટે જવાનું હતું. જ્યારે તેઓ સારવાર લઈને પરત ઘરે આવ્યા ત્યારે તેમને એફઆઈઆરમાં આ બાબતો નોંધાઈ ન હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમનું કહેવું છે કે પોલીસે જાણીજોઈને કેસની આ તમામ મહત્વની નોંધી નથી. તેમને એફઆઈરથી ભારોભાર અસંતોષ છે. આથી તેમણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને આ તમામ બાબતો તેમની એફઆઈઆરમાં ઉમેરવા માટે વિનંતી કરી છે. સાથે જ તેમને અને તેમના પરિવારને જીવનું જોખમ હોવાથી પોલીસ સુરક્ષા પુરી પાડવા અપીલ કરી છે. હજુ સુધી ડીવાયએસપી દ્વારા તેમનું નિવેદન નોંધવામાં આવેલ નથી. તેથી વિશેષ નિવેદન લઈને પુરતી વિગતો ઉમેરીને કાર્યવાહી કરવા અરજી કરાઈ છે.
વીરમગામની ભાગ્યોદય હોસ્પિટલે મા કાર્ડ હેઠળ સારવાર ન કરી
રાજરત્નભાઈની આ ઘટનામાં વીરમગામની ભાગ્યોદય ઓર્થોપેડિક હોસ્પિટલની મનમાની પણ સામે આવી છે. હુમલા બાદ તેમને દસાડાથી પ્રાથમિક સારવાર બાદ આ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમને બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા હોવાથી તાત્કાલિક સારવારની જરૂર હતી. પરંતુ ભાગ્યોદય ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, “પોલીસ કેસ કરવો હોય તો મુખ્યમંત્રી અમૃતમ યોજના- મા કાર્ડમાં સારવાર મળશે નહીં.”
ભાગ્યોદય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા આરોગ્યમંત્રીને પત્ર લખાયો
ફરિયાદ કરવી હોય તો મા કાર્ડમાં સારવાર ન થાય એવો કોઈ નિયમ નથી. તેમ છતાં ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટરોએ પોતાની મનમાની ચલાવીને રાજરત્નભાઈની સારવાર કરી નહોતી. આ હોસ્પિટલ મા યોજના હેઠળ સરકારના આરોગ્ય વિભાગમાં નોંધાયેલી હોવા છતાં તેણે યોજના હેઠળ સારવાર આપી નહોતી. જેના કારણે રાજરત્નભાઈને ગંભીર હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. હવે તેમણે વીરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડની મદદથી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભાગ્યોદય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે.
વીરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ મદદે આવ્યા
રાજરત્ન નાગવંશીને ન્યાય અપાવવા માટે હાલ વીરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ સતત દોડધામ કરી રહ્યાં છે. તેમણે જ એફઆઈઆરમાં પોલીસે ન નોંધેલી બાબતો અને ભાગ્યોદય હોસ્પિટલની મનમાનીને ખૂલ્લી પાડી છે. તેમની મદદથી આ આખો મામલો ન્યાયના રસ્તે આગળ વધી રહ્યો છે. તેમણે જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આખી ઘટનાની જાણ કરી છે. દલિત-બહુજન સમાજને આવા વધુને વધુ કિરીટ રાઠોડ અને જિગ્નેશ મેવાણીની જરૂર છે.
આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી
Sadhu sadhu sadhu