વીરમગામમાં સરકારી કામના કોન્ટ્રાક્ટરે દલિતોના સ્મશાનમાં મૃતકની દફનવિધિ કરવાની જગ્યાએ જ દબાણ કરી માલસામાન ઉતારી દેતા હોબાળો મચી ગયો છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે સ્મશાનમાં મૃતકોની દેરીઓ પણ તોડી નાખી છે. જેના કારણે મૃતકોના પરિવારજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
નીલકી ફાટક પાસે દલિતોનું સ્મશાન આવેલું છે
વીરમગામ નગરપાલિકાના વોર્ડ નં ૨ માં આવેલા નીલકી ફાટક વિસ્તારમાં અવધ સોસાયટી સામે દલિત સમાજનું મુક્તિ ધામ આવેલું છે. ગુજરાતમાં દલિતોના મોટાભાગના સ્મશાનોની જેમ આ સ્મશાનમાં પણ સરકારે કોઈ જ વિકાસ કર્યો નથી. જેના કારણે સ્મશાન બદ્દતર હાલતમાં છે અને તેના માટે વીરમગામ નગરપાલિકા જવાબદાર છે.
કોન્ટ્રાક્ટરે દલિતોના સ્મશાન પર કબ્જો જમાવ્યો
હાલમાં વીરમગામના વિકસિત વિસ્તાર પોપટ ચોકડીથી અવધ સુધી આવેલા બહુચરાજી જવાના રોડની સાઈડમાં વરસાદી નિકાલની ગટર બનાવવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર-એજન્સી દ્વારા ઘણા લાંબા સમયથી દલિત મુક્તિ ધામમાં મૃતકોની અંતિમવિધિ-દફન વિધિની જગ્યા ઉપર રેતી, કપચી સહિતનો માલસામાન ઉતારવામાં આવે છે. આ માટે કોન્ટ્રાક્ટરની કંપનીના ભારે વાહનો દલિતોના સ્મશાનમાં આવે છે. જેના કારણે સ્મશાનમાંની મૃતકોની દેરીઓ તૂટી જાય છે.
કોન્ટ્રાક્ટરના ટ્રકોએ મૃતકોની દેરીઓ તોડી નાખી
સરકારી કોન્ટ્રાક્ટરે દલિતોના સ્મશાનમાં દાદાગીરીથી કબ્જો જમાવીને અંદર રેતી,કપચી સહિતનો સામાન નાખવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે દલિત સમાજના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કોન્ટ્રાક્ટરના માણસોને આ બાબતે કશું કહેવા જાય તો તેઓ દાદાગીરી કરે છે. કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ રેતી, કપચી દલિતોના સ્મશાનમાં ઠાલવીને સ્મશાનમાં કબ્જો જમાવી લીધો છે. લુખ્ખી દાદાગીરી કરતા આ તત્વોએ દલિતોના સ્મશાનમાં મૃતકોની યાદમાં તૈયાર કરવામાં આવેલી દેરીઓ પણ તોડી નાખી છે. જેના કારણે મૃતકોના પરિવારજનોની લાગણીને ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો: મધરાતે ડો.આંબેડકરની પ્રતિમા ચોરાઈ, બીજી લગાવી એ પણ ચોરાઈ
નગરપાલિકાના સત્તાધીશોના મૌનથી કોન્ટ્રાક્ટરની દાદાગીરી વધી
નીલકી ફાટક વિસ્તારમાં રહેતા દલિત સમાજના મૃતકોની અંતિમક્રિયા વર્ષોથી આ સ્મશાનમાં થાય છે. પણ કોન્ટ્રાક્ટરે આ સ્મશાનમાં કબ્જો જમાવ્યો હોવાથી દલિતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૃતકોની દેરીઓ ઉપર કપચી રેતીના મોટા ઢગલા કરી મૃતકોની સમાધિઓ પણ તોડી નાખવામાં આવી છે.
વીરમગામમાં દલિતોના સ્મશાનમાં સરકારી કોન્ટ્રાક્ટરે તોડફોડ કરી કબ્જો જમાવી દીધો. નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા દલિત સમાજમાં રોષ.#viramgam #dalitcrematorium #DalitLivesMatter#gujarat pic.twitter.com/m20Mn1m5IO
— khabar Antar (@Khabarantar01) June 21, 2025
આ બાબતે દલિત સમાજના આગેવાનો દ્વારા કોન્ટ્રાક્ટર-એજન્સીના જવાબદાર વ્યક્તિઓને તેમજ નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં દલિતોના સ્મશાનમાં મૃતકોની દેરીઓની તોડફોડ-નુકસાન કરવાની પ્રવૃતિ અટકાવવામાં આવતી નથી.
જેને લઈ એ દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સિદ્ધાર્થ સેવા સમિતિના પ્રમુખ મહેશભાઈ સોલંકીએ આપી છે.
(વિશેષ માહિતીઃ કિરીટભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર, વીરમગામ)
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના ક્રૂ મેમ્બર્સની કહાની તમને રડાવી દેશે!