GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ હવે ખૂલીને સામે આવી ગઈ છે. બે દિવસ પહેલા ગેરરીતિના આક્ષેપો વચ્ચે GPSCએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા ઘોષણા કરી હતી કેમકે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ પટેલ સાહેબ પટેલોની સંસ્થા ખોડલધામમાં ચાલતા કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે હોબાળો થતા જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધા હતા. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા નક્કી કરવામાં આવ્યુ છે.
પ્રો. રાઠોડે શું કહ્યું?
આ દરમિયાન આખું કૌભાંડ બહાર પાડનાર ગાંધીનગર સ્થિત અક્ષર એકેડમીના પ્રો. રાઠોડે વધુ એક ચોંકાવનારી બાબતનો ખુલાસો કર્યો છે. તેમના મતે જીપીએસસીની લેખિત પરીક્ષામાં 370-400 માર્ક્સ મેળવનાર EWS ના 15 સ્પર્ધકોને મૌખિક પરીક્ષમાં વધુ માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યા છે. જ્યારે SC કેટેગરીના 380-400 માર્ક્સ મેળવનાર 23 સ્પર્ધકોમાંથી એક પણ પાસ થયો નથી. જે સ્પષ્ટ કરે છે કે ભરતીમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ છે અને EWS માં સામેલ ચોક્કસ જાતિના યુવાનોને ફાયદો કરાવી અધિકારી બનાવાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની
ચિઠ્ઠી ખેંચી ઈન્ટરવ્યૂ રૂમમાં જવાની વાત ધુપ્પલ સાબિત થઈ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં લેખિતના પ્રથમ નંબરે આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં અન્યાયના કારણે નાપાસ થતાં ભરતી પ્રક્રિયામાં ફેરફારની માગ કરી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ એવો બચાવ કરે છે કે ચિઠ્ઠી ખેંચી અને કોડ નંબરથી ઈન્ટરવ્યૂ રૂમમાં જવાનું હોય એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. પરંતુ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ થતાની સાથે જ આ તર્ક વિનાની દલીલનો પણ છેડ ઉડી ગયો છે.
ઈન્ટરવ્યૂ પ્રથા રદ કરો અથવા ભારાંક ઘટાડો
જે રીતે EWS ના ચોક્કસ જાતિના સ્પર્ધકોને ઈન્ટરવ્યૂમાં ઉંચા માર્ક્સ આપીને પાસ કરવાય છે તે જોતા સ્પર્ધકોમાં ઈન્ટરવ્યૂ પ્રથા રદ કરવાની માંગ ઉઠી છે. કેટલાક બૌદ્ધિકોનું કહેવું છે કે, ઈન્ટરવ્યૂનો ભારાંક 50 ટકાથી ઘટાડી 10 ટકા કરી દેવામાં આવે. પ્રોફેશનલ સંવર્ગની ભરતીમાં ઈન્ટરવ્યૂનો 50%નો ભારાંક ઘટાડી પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી છે.કેમકે, પરીક્ષામાં નંબર મેળવ્યો હોય ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને નાપાસ કરાયાં છે.
સરદાર ધામ સાથે સંકળાયેલા નેતાઓ શંકાના દાયરામાં
ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સપેક્ટરના ઈન્ટરવ્યૂ લેનાર નિષ્ણાત અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક એસ.પી. રીંગ રોડ પર આવેલા સરદારધામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા પટેલ સમાજના યુવકોને માર્ગદર્શન આપવા જતા હતા. જેના કારણે આખા કૌભાંડમાં સરદાર ધામ સાથે સંકળાયેલી પટેલ સમાજની લોબી શંકાના દાયરામાં આવી ગઈ છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ લેનાર નિષ્ણાત બે દિવસ પહેલા જ સરદારધામમાં ઉમેદવારોના મોક ઇન્ટરવ્યૂ લીધા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું. જેમાં તેમણે ઈન્ટરવ્યૂમાં શું પૂછાશે તે પણ કહી દીધું હોવું જોઈએ. હવે પરિણામ પર 50 % ઇન્ટરવ્યૂ ભારાંકની અસર ન થાય તેને મુદ્દાને લક્ષમાં લેતા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ભરતી કૌભાંડ બહાર આવે તે પહેલાં તેને હળવેકથી દબાવી દેવાય છે. કારણ કે તેમાં સરદારધામની પટેલ લોબી શંકાના દાયરામાં આવી ગઈ છે.
આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ
લેખિતના ટોપર ઇન્ટરવ્યૂમાં નાપાસ
સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું કે, રાજ્યનાં સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોપોરેશન, બોર્ડ-નિગમોમાં સીધી ભરતીના નામે 50% ઇન્ટરવ્યૂનો ભારાંક રાખીને લેખિતના ટોપરને અન્યાય કરવામાં આવે છે. બે ઉમેદવાર લેખિતમાં 300 માંથી 208.56 ગુણ મેળવીને પ્રથમ ક્રમે આવે છે પરંતુ ઇન્ટરવ્યૂમાં 100માંથી માત્ર 35 ગુણ આપીને બંનેને નાપાસ કરવામાં આવે છે. આ એક સુનિયોજિત કાવતરું જણાય છે. જે ચોક્કસ જાતિના યુવકોને ફાયદો પહોંચાડે છે.
અનામત નીતિનો ભંગ કરીને વધુ ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા
આજ ભરતીમાં એક ઉમેદવારના લેખિતમાં 90 ગુણ છે પરંતુ ઇન્ટરવ્યૂમાં 65 ગુણ આપવામાં આવ્યા છે. અનામત નીતિનો ભંગ કરીને નિયામાનુસાર ઇન્ટરવ્યૂમા બોલાવવાના હોય તેનાથી વધુ ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં બેસવા દેવામાં આવે છે પરિણામે લેખિતમાં નબળા ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં ઓઠા હેઠળ સિલેક્ટ કરાય છે. ઈન્ટરવ્યૂમાં પેનલ દ્વારા સરેરાશ ગુણ આપવાના બદલે ચર્ચા કરીને ઉચ્ચક ગુણ આપવામાં આવે છે. ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય કે જ્યા લેખિતના પ્રથમ નંબરે આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં અન્યાયના કારણે નાપાસ થાય છે.
GPSC પર કુલ 407 કોર્ટ કેસ થયા છે
વર્ષ 2016 થી 2022 દરમિયાન GPSC પર કુલ 407 કોર્ટ કેસ થયેલ છે અને સરકારી તિજોરીમાંથી વકીલોને 1,51,73,944 ફી ચૂકવાઇ છે. એટલુ જ નહીં, GPSCને અને રૂ.5.60 લાખનો દંડ પણ કરાયો છે. આવી સંસ્થા નિષ્પક્ષ અને પારદર્શી રીતે ભરતી કેવી રીતે કરી શકે તે સવાલ છે. જો કે, હવે ગુજરાતનો દલિત, આદિવાસી, ઓબીસી યુવક EWS અનામત થકી ચોક્કસ જાતિના યુવકોને ફાયદો કરાવાઈ રહ્યો હોવાનું સમજી ચૂક્યો છે અને એટલે જ અવાજ ઉઠાવે છે.
આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો










