દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે મળી આવેલી રોકડ રકમના કેસની તપાસ કરી રહેલી સુપ્રીમ કોર્ટની સમિતિનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે જસ્ટિસ વર્મા સામે એ બાબતના પુરતા પુરાવા છે કે તેમણે ભ્રષ્ટાચાર કર્યો છે અને તેમને પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવી જોઈએ.
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સરકારી નિવાસ સ્થાનમાં અચાનક આગ લાગવાથી આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. માર્ચ ૨૦૨૫ માં, તેમના ઘરમાં આગ લાગવાની માહિતી મળતાં દિલ્હી ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ હતી, જેમાંથી ઘણી બધી અડધી બળી ગઈ હતી. બાદમાં, આ સ્થળનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બળી ગયેલી નોટો જોવા મળી હતી.
આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ત્રણ ન્યાયાધીશોની એક સમિતિ બનાવી હતી અને તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ સમિતિના રિપોર્ટના આધારે, હવે જસ્ટિસ વર્માને તેમના પદ પરથી દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ શકે છે.
તપાસ સમિતિએ ૧૦ દિવસમાં ૫૫ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા, ઘણી બેઠકો યોજી અને ૧૪ માર્ચે રાત્રે ૧૧.૩૫ વાગ્યે જ્યાં આગ લાગી હતી ત્યાં જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. સમિતિએ દરેક નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું, જેથી તેમની સત્યતાને પાછળથી પડકારી શકાય નહીં. ૬૪ પાનાના તપાસ સમિતિના અહેવાલના અંતે બે ફકરાનું તારણ એ છે કે ૩૦ તુઘલક ક્રિસેન્ટ, નવી દિલ્હી ખાતેના સ્ટોર રૂમમાંથી રોકડ મળી આવી હતી.
આ પણ વાંચો: જ્યારે જજે કહ્યું, ‘પીડિતા પાસે રાખડી બંધાવે તો જામીન આપું’
તપાસ સમિતિએ સ્પષ્ટતા કરી છે કે સ્ટોર રૂમ સત્તાવાર રીતે જસ્ટિસ વર્માના કબજામાં હતો અને સ્ટોર રૂમ સુધી પહોંચ જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યોના ગુપ્ત અથવા સક્રિય નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તપાસ અહેવાલ મુજબ, મજબૂત પુરાવાના આધારે એ સ્થાપિત થાય છે કે બળી ગયેલી રોકડ ૧૫ માર્ચની વહેલી સવારે નવી દિલ્હી ખાતેના સ્ટોર રૂમમાંથી દૂર કરવામાં આવી હતી. રોકડનો જથ્થો એટલો મોટો હતો કે તેને જસ્ટિસ વર્મા કે તેમના પરિવારજનોની ગુપ્ત અથવા સક્રિય સંમતિ વિના સ્ટોર રૂમમાં મૂકી શકાય તેમ નહોતો. સમિતિ સમક્ષ ૧૦ સાક્ષીઓએ બળી ગયેલી કે અડધી બળી ગયેલી નોટો જોઈ હોવાની કબૂલાત કરી છે.
ઉદાહરણ તરીકે, સમિતિ સમક્ષ એક સાક્ષીએ કહ્યું કે હું અંદર ગયો કે તરત જ મેં જોયું કે જમણી બાજુ અને સામે ફ્લોર પર ફક્ત ૫૦૦ રૂપિયાની નોટોનો એક મોટો ઢગલો પડ્યો હતો. હું ચોંકી ગયો. ફ્લોર પર આટલી મોટી રોકડ રકમ વેરવિખેર પડી હતી, જે મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ.
તપાસ સમિતિએ ન્યાયાધીશ વર્માના અંગત સચિવ રાજિન્દર સિંહ કાર્કી અને તેમની પુત્રી દિયા વર્મા દ્વારા પુરાવાનો નાશ કરવામાં અથવા આગની જગ્યા સાફ કરવામાં કથિત રીતે ભજવવામાં આવેલી શંકાસ્પદ ભૂમિકાની પણ તપાસ કરી.
કાર્કીએ કથિત રીતે આગ બુઝાવનારા ફાયરમેનને તેમના રિપોર્ટમાં નોટો સળગાવવાનો ઉલ્લેખ ન કરવા અને બીજા દિવસે રૂમ સાફ કરવા સૂચના આપી હતી, જેનો તેમણે ઇનકાર કર્યો હતો. પરંતુ અન્ય સાક્ષીઓના નિવેદનો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ તેનાથી વિપરીત સાબિત થયા.
તમને જણાવી દઈએ કે તત્કાલીન CJI એ ૨૨ માર્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનની બનેલી એક સમિતિની રચના કરી હતી. જસ્ટિસ યશવંત વર્માની દિલ્હીથી અલ્હાબાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં નવી OBC યાદી પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે