IPS Y Puran Kumar Suicide Case માં દરરોજ નવા ફણગા ફૂટી રહ્યાં છે. હવે IPS અધિકારી વાય. પૂરણ કુમારના પત્ની અમનીત પી. કુમારે ચંદીગઢ SSP ને પત્ર લખીને FIR માં SC-ST Act ની યોગ્ય કલમો લગાવવામાં ન આવી હોવાનું કહીને FIR માં સુધારાની માંગ કરી છે.
અમનીત પી. કુમાર દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “FIR માં આરોપીઓના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. SC/ST એક્ટની જે કલમો દાખલ થવી જોઈતી હતી તે કલમો દાખલ કરવામાં આવી નથી. મને FIR ની સહી વગરની નકલ આપવામાં આવી છે, જેમાં અધૂરી માહિતી છે. પોલીસે હજુ સુધી મને પૂરણ કુમારના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટની નકલ આપી નથી. એફઆઈઆરમાં આ આત્મહત્યા માટે જવાબદાર બે લોકો DGP શત્રુઘ્ન કપૂર અને રોહતકના SP નરેન્દ્ર બિજરાણિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બધા આરોપીઓના નામ કોલમ 7 માં સૂચિબદ્ધ કરવા જોઈએ. તેથી, FIR માં તાત્કાલિક સુધારો કરવો જોઈએ.”
આ પણ વાંચો: IPS પૂરણ કુમારની સુસાઈડ નોટ મળી, 10 IPS અધિકારીઓ પર ગંભીર આરોપ
ચંદીગઢ પોલીસે ગુરુવારે FIR નોંધી હતી
અગાઉ ગુરુવારે, ચંદીગઢ પોલીસે વાય. પૂરણ કુમારના પત્ની અમનીત પી. કુમારની ફરિયાદના આધારે FIR નોંધી હતી. ચંદીગઢના IG પુષ્પેન્દ્ર કુમારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, “FIR નોંધવામાં આવી છે અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે.” ચંદીગઢ પોલીસે જણાવ્યું હતું કે વાય. પૂરણ કુમારની અંતિમ નોંધમાં નામ આપવામાં આવેલા આરોપીઓ સામે POA (SC/ST) એક્ટની કલમ 108 RW 3(5) BNS અને 3(1)(r) હેઠળ UT ચંદીગઢના પોલીસ સ્ટેશન સેક્ટર 11 માં FIR નંબર 156 નોંધવામાં આવી છે.
FIR માં DGP સહિત આ અધિકારીઓ સામે આરોપો લગાવાયા
FIR માં હરિયાણાના DGP શત્રુજીત કપૂર સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. FIR મુજબ, જ્યારે IPS પૂરણ કુમારે તેમના પગારના બાકી પૈસા માંગ્યા ત્યારે તેમનું અપમાન કરવામાં આવ્યું અને તેમના બાકી પૈસા રોકી દેવામાં આવ્યા હતા. ADGP સંજય કુમાર, IGP પંકજ નૈન, કલા રામચંદ્રન, સંદીપ ખિરવાર, સિબાશ કવિરાજ, મનોજ યાદવ, પીકે અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો પણ યાદીમાં સમાવેશ થાય છે. તેમના પર ખોટી ફરિયાદો દાખલ કરવાનો, રિપોર્ટ સાથે ચેડાં કરવાનો અને તેમને સતત માનસિક ત્રાસ આપવાનો આરોપ છે.
IAS અધિકારીઓ સામે પણ ગંભીર આરોપો
FIRમાં ફક્ત IPS અધિકારીઓ જ નહીં, પરંતુ બે IAS અધિકારીઓ (TVSN પ્રસાદ અને રાજીવ અરોરા) પણ સામેલ છે. FIR મુજબ, પૂરણ કુમારે લખ્યું છે કે રાજીવ અરોરાએ તેમના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન રજા આપી નહોતી, જેના કારણે તેઓ તેમના અંતિમ દર્શન પણ કરી શક્યા ન હતા. આ તેમના જીવનની સૌથી મોટી દુઃખદ ઘટના હતી. પ્રસાદ પર જાતિ આધારિત માનસિક અત્યાચારનો આરોપ છે.
આ પણ વાંચો: ફાયનાન્સ કંપનીની ધમકીઓથી દલિત મજૂરે ટ્રેન આગળ કૂદી આપઘાત કર્યો
DGP અને રોહતકના SP સામે ફરિયાદ
અગાઉ, IAS અમાનિત પી. કુમારે ચંદીગઢ પોલીસના સેક્ટર 11 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં હરિયાણાના DGP શત્રુજીત સિંહ કપૂર અને રોહતક SP નરેન્દ્ર બિજારણિયા પર તેમના IPS પતિ વાય. પૂરણ કુમારને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના પતિની આઠ પાનાની સુસાઇડ નોટનો ઉલ્લેખ કરીને, અમાનિત પી. કુમારે ઉત્પીડન, જાતિ ભેદભાવ અને તેમને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) અને SC/ST કાયદાની કલમ 108 હેઠળ FIR નોંધવાની પણ માંગ કરી હતી.
મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ સુપરત કરવામાં આવી
આપઘાત સમયે અમાનિત પી. કુમાર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે જાપાનના પ્રવાસે હતા. પ્રવાસ પરથી પાછા ફર્યા બાદ, IAS અમાનિત પી. કુમારે પણ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ સુપરત કરી. તેમાં તેમણે લખ્યું, “વારંવાર કહેવામાં આવી રહ્યું છે છતાં, 48 કલાક પસાર થયા બાજ પણ ચંદીગઢ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ફરિયાદ અને સુસાઇડ નોટમાં નોંધપાત્ર ગુનો જાહેર કરવા છતાં, આજ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. હરિયાણા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આ કેસમાં આરોપી છે અને ચંદીગઢ પોલીસને પ્રભાવિત કરી રહ્યા છે. આ ફરિયાદ બાદ, આ ‘ઉચ્ચ અધિકારીઓ’ મને અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરશે અને વિભાગીય અથવા અન્ય માધ્યમો દ્વારા મને ફસાવવાનો પ્રયાસ કરશે.”
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?













Users Today : 1747