ગઈકાલે સમગ્ર દેશમાં ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલેની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ મોટાભાગના શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ શિક્ષણ જ્યોતિર્ધર જ્યોતિબા ફૂલેને તેમના જન્મદિને યાદ કરવામાં આવ્યા હતા. આવો જ એક કાર્યક્રમ ગાંધીનગરમાં પણ યોજાયો હતો.
ભારતના મહાન ક્રાંતિકારી આગેવાન, સમાજસુધારક અને ભારતીય નારી કલ્યાણના ઉદઘોષક મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિના અવસરે ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ ગાંધીનગરના ઉપક્રમે, ગાંધીનગર સ્થિત ડો.આંબેડકર હોલ ખાતે ત્રણ વિદ્વાન વક્તાઓના વક્તવ્યો યોજાયા હતા.

આ પણ વાંચોઃ મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?
અભ્યાસુ વક્તા અને અધ્યાપક શ્રી સંજય ભાવે, દુરદર્શન અમદાવાદના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમાર અને મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો. મિતાલી સમોવા – એમ ત્રણેય વક્તાઓએ મહાત્મા ફૂલેના જીવનકર્મ વિશે અભ્યાસપૂર્ણ વિગતો સાથે મનનીય વક્તવ્ય આપ્યાં હતાં.
આ વક્તવ્ય એવાં હતા કે મહાત્મા ફૂલે વિશે વિશેષ ન વાંચનાર અને ન જાણનારને, આ મહાન સમાજસુધારક વિશેની અનેક વણકહી – વણસાંભળી હકીકતો જાણવા મળી. ત્રણેય વક્તાઓને અને આયોજક સંસ્થા ‘ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ – ગાંધીનગરને અભિનંદન.