ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ બાદ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલા તેના પરિવારના સામાજિક બહિષ્કારને લઈને હોબાળો મચ્યો છે, ત્યારે હવે કિંજલ દવેએ જાતિવાદી તત્વોને સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો છે. કિંજલ દવેએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા સમાજના નામે પોતાની જાતિવાદની દુકાનનો ઠેકો ચલાવતા તત્વોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને જરૂર પડ્યે આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે તેમ કહ્યું છે.
કિંજલ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેમના સગપણને લઈને મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ તેઓ અત્યાર સુધી શાંત હતા કારણ કે વાત માત્ર તેમના સુધી સીમિત હતી. જોકે, હવે જ્યારે વાત તેમના પરિવાર અને પિતાના સ્વાભિમાન પર આવી છે, ત્યારે એક દીકરી તરીકે સહન કરવું મુશ્કેલ છે અને એટલે જ તેમણે આજે બોલવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા સામાજિક બહિષ્કાર કરાયો
સમાજના કહેવાતા ઠેકેદારો પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, ‘આધુનિક જમાનામાં પણ અમુક અસામાજિક તત્ત્વો દીકરીઓ માટેના નિયમો નક્કી કરવા નીકળ્યા છે. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, પણ તેને કાપવાની વાતો થઈ રહી છે’. કિંજલે બાળ લગ્ન, સાટા પ્રથા અને દીકરીઓના પૈસા લેવા જેવા કુરિવાજો સામે પણ આક્રોશ વ્યક્ત કરી ઉમેર્યું હતું કે એક તરફ દીકરીઓ આર્મી, નેવી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે બીજી તરફ તેમને ઘુંઘટમાં રાખવાની અને દબાવવાની માનસિકતા દુઃખદ છે.

કિંજલે પોતાના જૂના સંબંધો અને સગાઈ તૂટવા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જ્યારે મુસીબત આવી ત્યારે તેણે નિર્ણય લીધો કે તેઓ એ સંબંધમાં નહીં રહે.
આ પણ વાંચો: વડોદરામાં 14 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
તેમણે પોતાના પરિવાર માટે સ્ટેન્ડ લીધું છે અને જ્યારે પરિવાર પર વાત આવે ત્યારે તે કોઈને પણ છોડવા તૈયાર નથી. તેમણે પોતાના નવા સાસરિયાં પક્ષને ભક્તિમય અને સંસ્કારી ગણાવી, ત્યાં મળતા આદર અને પ્રેમ બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.
વીડિયોના અંતમાં કિંજલે ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવે પછી જો કોઈ અસામાજિક તત્વો બ્રહ્મ સમાજના આગેવાનની આડમાં તેના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કે અભદ્ર કમેન્ટ કરશે, તો તેમની સામે કાયદેસરના પગલાં લેશે. કિંજલે સમાજને અપીલ કરી હતી કે તે દીકરીઓના શિક્ષણ અને પ્રગતિમાં રોડાં નાખતા આવા તત્વોને સમાજમાંથી દૂર કરે
આ પણ વાંચો: ‘દીકરી લિવ ઈનમાં રહે તે નહીં ચાલે, દીકરો વાંઢો મરવા દેજો’











મહાનાયક ડૉ.બાબાસાહેબ આંબેડકર ના સંઘર્ષ બલિદાન અને અથાગ પ્રયત્નો ના પરિણામો ધીમી ગતિએ જોવા મળી રહ્યા છે જય ભીમ