સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક નિવેદન મુદ્દે જરાય નમતું જોખવાના મૂડમાં નથી. મુંબઈના હેબિટેટ સ્ટુડિયોમાં કામરાના તાજેતરના શોમાં ગવાયેલા એક વ્યંગાત્મક ગીતે રાજકીય તોફાન મચાવ્યું છે, જેના કારણે હિંસા, પોલીસ કેસ અને રાજકીય ધમકીઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તેમ છતાં, કામરાએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે અને પોતાના નિવેદન પર અડગ રહેવાનું નક્કી કર્યું છે. કુણાલ કામરાએ કહ્યું, “હું આ ટોળાથી ડરતો નથી, અને ન તો હું મારા પલંગ નીચે છુપાઈને આ મામલો શાંત થાય તેની રાહ જોઈશ.”
આખો વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે કૃણાલ કામરા(Kunal Kamra) એ તેના શોમાં “દિલ તો પાગલ હૈ” ના ગીતનું એક પેરોડી ગીત રજૂ કર્યું, જેમાં 2022 માં અવિભાજિત શિવસેનાથી એકનાથ શિંદેના અલગ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમાં કથિત રીતે એકનાથ શિંદેને “દેશદ્રોહી” તરીકે ઓળખવામાં આવ્યા હતા. આનાથી શિવસેના(એકનાથ શિંદે)ના નેતાઓ ગુસ્સે ભરાયા હતા.
શિવસેના સાંસદ નરેશ મ્હસ્કેએ ચેતવણી આપી હતી કે, “તમારે ભારત છોડીને ભાગી જવું પડશે.” રવિવારે સાંજે, ગુસ્સે ભરાયેલા શિવસેનાના કાર્યકરોએ હેબિટેટ સ્ટુડિયો અને નજીકની એક હોટલ પર હુમલો કર્યો હતો, જેમાં ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને બાદમાં માત્ર ત્રણ કલાકમાં બાંદ્રા કોર્ટે જામીન આપ્યા હતા. મંત્રી પ્રતાપ સરનાઈકના જણાવ્યા મુજબ, કામરા હાલમાં પુડુચેરીમાં છે.
આ પણ વાંચો: બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે – કૌશિક શરૂઆત
બીજી તરફ કુણાલ કામરા(Kunal Kamra)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે ટોળાના આ પગલાની ટીકા કરતા લખ્યું, “કોઈ કોમેડિયનના શબ્દો મુદ્દે કોઈ જગ્યા પર હુમલો કરવો એ એટલો જ વાહિયાત છે, જેટલું બટર ચિકન પસંદ ન આવતા ટમેટાં ભરેલા ટ્રકને ઉથલાવી દેવું વાહિયાત છે.”
કામરાએ સ્પષ્ટતા કરી કે હેબિટેટ જેવા મનોરંજન સ્થળોને તેમની કોમેડી સાથે કોઈ લેવાદેવા નથી. “આ તમામ પ્રકારના શો માટેનું પ્લેટફોર્મ છે, તે મારી કોમેડી માટે જવાબદાર નથી અને ન તો તેનું મારા કશા કહેવા કે કરવા પર નિયંત્રણ છે.”
કામરાએ એવા રાજકારણીઓને પણ જવાબ આપ્યો જેઓ તેને “પાઠ ભણાવવા”ની ધમકી આપી રહ્યા છે. તેણે કહ્યું કે, અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યનો આપણો અધિકાર ફક્ત શક્તિશાળી અને ધનિકોની ખુશામત કરવા માટે નથી, ભલે આજનું મીડિયા આપણને ગમે તેટલું એવું વિચારવા માટે મજબૂર કરે. એક શક્તિશાળી જાહેર હસ્તી પર મજાક સહન ન કરી શકવાની તમારી અસમર્થતા મારા અધિકારની પ્રકૃતિને નહીં બદલી શકે. જ્યાં સુધી હું જાણું છું, આપણા નેતાઓ અને આપણી રાજકીય વ્યવસ્થાના આ સર્કસની મજાક ઉડાવવી એ કાયદાની વિરુદ્ધ નથી.
આ પણ વાંચો: દુનિયાને સુધારતાં પહેલાં ઘરના લોકોને સુધારવા જરૂરી છે?
તેણે આગળ કહ્યું, તેમ છતાં, મારી સામે કોઈપણ કાનૂની કાર્યવાહી માટે હું પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છું. પણ શું કાયદો એ લોકો સામે પર નિષ્પક્ષ અને સમાન રીતે લાગુ થશે, જેમણે એક મજાકથી નારાજ થઈને તોડફોડને યોગ્ય પ્રતિક્રિયા માની લીધી? અને BMC ના તે ચૂંટાયા વિનાના સભ્યો સામે, જેઓ આજે કોઈપણ સૂચના વિના હેબિટેટ આવ્યા અને હથોડાથી એ જગ્યા તોડી નાખી, તેમની સામે પણ કાર્યવાહી થશે? કદાચ મારો આગામી શો હું એલ્ફિન્સ્ટન બ્રિજ અથવા મુંબઈની કોઈ એવી ઇમારત પર કરીશ જેને ટૂંક સમયમાં તોડી પાડવાની જરૂર છે.
પોતાનો નંબર લીક કરનારા અને સતત ફોન કરનારાઓ વિશે કામરાએ કહ્યું, “મને ખાતરી છે કે તમને હવે ખબર પડી ગઈ હશે કે બધા અજાણ્યા કોલ્સ મારા વોઇસમેઇલ પર જાય છે, જ્યાં તમારે એ જ ગીત સાંભળવું પડશે જેનાથી તમને નફરત છે.”
My Statement – pic.twitter.com/QZ6NchIcsM
— Kunal Kamra (@kunalkamra88) March 24, 2025
કામરાએ ભારતમાં પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સનું રેન્કિંગ ૧૫૯ હોવાનું ટાંકીને મીડિયા પર પણ પ્રહારો કર્યા. મીડિયાને આપેલા સંદેશમાં કામરાએ કહ્યું: યાદ રાખો કે ભારતનો પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ 159 છે. હું માફી નહીં માંગુ. મેં જે કહ્યું તે અજિત પવાર (પ્રથમ નાયબ મુખ્ય પ્રધાન) એ એકનાથ શિંદે (બીજા નાયબ મુખ્ય પ્રધાન) વિશે જે કહ્યું તે જ છે. હું આ ટોળાથી ડરતો નથી, અને હું મારા પલંગ નીચે છુપાઈને આ મામલો શાંત થવાની રાહ જોઈશ નહીં.
વિવાદ વચ્ચે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કામરાએ કંઈ ખોટું કર્યું નથી, પરંતુ સત્ય કહ્યું છે અને જાહેર અભિપ્રાય વ્યક્ત કર્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓએ હેબિટેટ સ્ટુડિયોમાં ગેરકાયદેસર બાંધકામ શોધી કાઢવા માટે નિરીક્ષણ કર્યું, જ્યાં કુણાલ કામારાની સ્ટેન્ડ-અપ કોમેડીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા શેડની ગેરકાયદેસર સ્થિતિ વિશે જાણ થયા પછી મેનેજમેન્ટે પોતે જ તેને દૂર કર્યું હતું.
આ પણ વાંચો: Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા