12 જૂન 2025ના રોજ, અમદાવાદમાં ટાટા કંપનીના પેસેન્જર પ્લેન બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ટેકઓફ થતાં થોડીવારમાં મેઘાણીનગરમાં મેડિકલ સ્ટુડન્ટ હોસ્ટેલ પર તૂટી પડ્યું અને અનેક લોકોના જીવ ગયાં. આ ઘટનાને કવર કરતું ગોદીમીડિયા લોકોને સાચી માહિતી આપવાને બદલે ચમત્કારોની વાત કરવા લાગ્યું હતું.
ઈન્ડિયા ટુડેમાં શ્વેતા સિંહ નામની પત્રકાર છે. તેણે 13 જૂન 2025ના રોજ, દુર્ઘટના સ્થળેથી રિપોર્ટિંગ કર્યું કે “આટલા લોકો સળગીને મરી ગયા, લોખંડ ઓગળી ગયું; પરંતુ ભગવદ ગીતાને કંઈ ન થયું!”
241 મુસાફરો અને 75 કરતા વધુ નાગરિકોના જીવ લેનારી અત્યંત ગોઝારી ઘટના સમયે આપણું મેઈનસ્ટ્રીમ મીડિયા-નેશનલ મીડિયા તંત્રને સવાલ પૂછવાને બદલે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે! આ બહુ શરમજનક છે!
સામાન્ય રીતે ધાર્મિક શ્રદ્ધાળુઓને આવું ગમતું હોય છે અને તેમાંથી દિવ્ય તાર જોડતા હોય છે, આધ્યાત્મિક ચર્ચા કરતા હોય છે. પણ આ કોઈ ચમત્કાર નથી. આવી ઘટના વખતે કોઈપણ ધર્મનો ધર્મગ્રંથ સળગી જ જાય. ગીતા/કુરાન/બાઇબલ આગમાં બચી શકે નહીં! આગ ધર્મ મુજબ કામ કરતી નથી, આગ સેક્યુલર છે, અને બિનસંવેદનશીલ છે. ઘરમાં આગ લાગે ત્યારે બાળકો ભસ્મ થઈ જાય છે. જંગલમાં આગ લાગે ત્યારે પ્રાણીઓ/જીવજંતુ મોટાપાયે ભસ્મીભૂત થઈ જાય છે.
આ દુર્ઘટનામાં પેસેન્જર વિશ્વાસકુમાર રમેશ પ્લેન તૂટતા મોકો મળતા કૂદી ગયા; એટલું જ નહીં, તે ચાલતાં ચાલતાં અકસ્માત સ્થળેથી બહાર આવ્યો હતો. આ આશ્ચર્યજનક ઘટના છે. પરંતુ કેટલાંકે કહ્યું કે ‘જાકો રાખે સાઈયાં, માર સકે ન કોય!’ મતલબ કે જેની રક્ષા ઈશ્વર કરે છે એને કોઈ નુકસાન કરી શકે નહીં. આ કહેવત ઈશ્વરની શક્તિ અને કૃપા પર વિશ્વાસ વ્યક્ત કરે છે. પરંતુ આપણે એ વિચારતા નથી કે પ્લેનમાં નાના-નાના બાળકો પણ હતા; એમને ઈશ્વરે કેમ બચાવ્યા નહીં હોય? ‘જાકો રાખે સાઈયાં, માર સકે ન કોય!’ આવી કહેવતોનો ઉપયોગ લોકાચારમાં આશ્વાસન આપવા થાય છે; આશ્ચર્યજનક ઘટનાઓના વર્ણન માટે થાય છે. તેમાં ઈશ્વરની કૃપા કરતા અકસ્માતનું તત્વ છે, તે સમજવાની જરૂર છે.
આ દુર્ઘટનાનો ઉપયોગ લેભાગુઓ પોતાના ભક્તો વધારવામાં પણ કરી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભક્તે ફેસબૂક પર લખ્યું કે “જે પ્લેન ક્રેશ થયું તેમાં ટિકિટ બુક કરાવી હતી પણ પ્રબોધ સ્વામીએ જણાવ્યું કે બુક કરાવેલ ટિકિટ કેન્સલ કરાવો અને દુબઈ હોલ્ડ કરીને જઈ શકાય તેવી ફ્લાઈટની ટિકિટ કરાવો. પ્રબોધ સ્વામીની આજ્ઞા પાળવામાં લાભ છે!”
આ પણ વાંચો: ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ
‘નિર્ભય’ ન્યૂઝ ચેનલે 13 જૂન 2025ના રોજ, નિકોલમાં રહેતા સવજીદાદાનો ઈન્ટરવ્યૂ લીધો. તેમણે બુક કરાવેલી ટિકિટ અંતિમ સમયે રદ્દ કરાવી અને બચી ગયા. પત્રકાર મેડમ કહે છે કે “પુણ્ય કરેલું હોય તે ક્યારેક કામ આવી જાય છે!” સવજીદાદાએ કહ્યું કે “હું સ્વામિનારાયણનો પાક્કો ભગત છું. મને તરત જ સદ્દબુદ્ધિ સૂઝી કે મારે આ ફ્લાઈટમાં જવું નથી. મેં ટિકિટ કેન્સલ કરાવી.”
આ સંયોગની વાત છે. આમાં નથી પ્રબોધ સ્વામીનું ચાલતું કે નથી સ્વામિનારાયણના ભગવાન- પ્રગટ બ્રહ્મસ્વરુપનું ચાલતું. કેમકે એવા હરિભક્ત પણ હશે જેમણે બીજી ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવી હશે અને ક્રેશ થઈ તે ફ્લાઈટમાં બેઠા હશે! સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો પણ આ ફ્લાઈટમાં બેઠા હશે, છતાં સૌ મોતને ભેટ્યા! ‘પુણ્ય કરેલું હોય તે ક્યારેક કામ આવી જાય છે’ આ થિયરી પણ કામ કરતી નથી. કેમકે ક્રેશ થઈ તે ફ્લાઈટમાં નાના બાળકો પણ હતા, સ્વાભાવિક છે કે તેમણે કોઈ પાપ કર્યું ન હોય છતાં મોત મળ્યું! વળી ક્રેશ થયેલ ફ્લાઈટમાં કોઈએ પુણ્ય કર્યુ જ નહીં હોય? મેડિકલ સ્ટુડન્ટ્સે ક્યા પાપ કર્યા હતા કે તેમને મોત મળ્યું? રાહદારીઓને પણ કારણ વિના મોત મળ્યું!
ક્રેશ થયેલા પ્લેનની ટિકિટ બૂક કરાવી હતી પરંતુ ટ્રાફિકને કારણે આ ફ્લાઈટ ચૂકી જનાર એક યુવતી કહે છે કે, ‘ગણપતિ બાપાએ બચાવી લીધી.’ એક યુઝરે યુવતીના સમાચારની લિંક સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગણપતિની મૂર્તિને વંદન કરતા હોય તેવો ફોટો મૂકીને સવાલ કર્યો હતો કે, ‘તો પછી ગણપતિ બાપાએ વિજયભાઈને કેમ ન બચાવ્યા?’ અન્ય એક વીડિયો ફરતો થયો છે, જેમાં કેપ્શન લખેલું છે કે, સબ ચલે ગયે લેકિન લડ્ડુ ગોપાલ કો કુછ નહીં હુઆ.
જ્યાં આ પ્લેન તૂટી પડ્યું તે હોસ્ટેલના કેટલા મેડિકલ સ્ટુડન્ટસના મોત થયા? કેટલાં રાહદારીઓના-રહેવાસીઓના મોત થયા? સરકારે શા માટે રાહતની જાહેરાત કરી નથી? આપણું Disaster Management અસરકારક કેમ પૂરવાર થયું નથી? 75 મેડિકલ સ્ટુડન્ટના મોત થયાની ખબર ‘X’ ઉપર છે, (આ આંકડો ખોટો હોય એવું ઈચ્છીએ) પરંતુ સરકાર ચૂપ કેમ છે? આ સ્થિતિમાં મીડિયા; લોકોને માહિતગાર કરવાને બદલે અંધશ્રદ્ધામાં વધારો કરે તેવી સ્ટોરી-રીપોર્ટ આપી શકે? સરકારને સવાલ પૂછવાને બદલે ભળતી સ્ટોરી આપવાનો શો અર્થ?
રમેશ સવાણી (લેખક પૂર્વ IPS અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચો: પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતા 1 નું મોત, 16 ઈજાગ્રસ્ત