ગુજરાતમાં દલિતો પર સવર્ણ જાતિના લોકો હુમલાઓ કરે તે નવી વાત નથી પરંતુ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે એક દલિત દીકરીના લગ્નમાં 400થી વધુ મુસ્લિમોએ જીવલેણ હુમલો કરી તોફાન મચાવ્યું હતું. ટોળાએ દલિત પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી જાહેરમાં અપમાન કરી હુમલો કર્યો હતો. એટલું જ નહીં મહેમાનો માટે તૈયાર કરેલું ભોજન પણ ઢોળી નાખી દલિત યુવતીઓની છેડતી કરી હોવાના પણ આરોપ લાગ્યા છે.
આ મામલે પોલીસે 400 જેટલા લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલ ગામમાં પોલીસ ખડકી દેવાઈ છે અને અજંપાભરી સ્થિતિ છે.
પાટણના ભીલવણ ગામની ઘટના
આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે 16 મે 2025ના રોજ સુનીતાબહેન મકવાણાના નામની દલિત દીકરીના લગ્ન હોવાથી તેમના ઘર આગળ તારીખ 15/05/25 ની સાંજે ડીજેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું. એ દરમ્યાન મુસ્લિમ સમાજની મહિલાઓએ ડી જે વગાડવાનો વિરોધ કર્યો હતો. એ પછી દલિત પરિવારે ડીજેનું ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું. તેમ છતાં મુસ્લિમ મહિલાઓએ જાતિસૂચક નિવેદનો કરવાનું ચાલું રાખ્યું હતું. કેટલીક મહિલાઓ, “ઢે@# ઓ મુસ્લિમો વચ્ચે રહો છો અને ડીજે વગાડવું છે? આમને મારવા પડશે.” કહીને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જેનો દલિત પરિવારે વિરોધ કર્યો હતો.
400 જેટલા મુસ્લિમોનું ટોળું દલિતવાસમાં ધસી આવ્યું
જો કે, આટલું અપમાન થયા પછી પણ દલિત પરિવારના સભ્યો ઘરે જતા રહ્યા હતા. એ પછી 15 થી 20 મહિલાઓ સહિત 300-400 મુસ્લિમોનું ટોળું દલિતવાસમાં ધસી આવ્યું હતું અને હુમલો કરી દીધો હતો. ટોળાએ 7-8 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો અને લગ્નના મહેમાનો માટે બનાવેલું ભોજન ઢોળી નાખ્યું હતું. દલિત મહિલાઓનો આક્ષેપ છે કે, ટોળાંમાં રહેલા કેટલાક લોકોએ લગ્નમાં આવેલી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરીને તેમના દાગીના લૂંટવા પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: ‘તું દલિત થઈને અમારા ઘર સામેથી ઘોડીએ ચઢીને જઈશ?’
વાગડોદ પોલીસ, એલસીબી, એસઓજી ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વાગડોદ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ સરસ્વતી અને કાકોશી પોલીસ મથકની ટીમો તેમજ પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
500 લોકોના ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
લગ્નના પરિવાર દ્વારા 14-15 નામજોગ વ્યક્તિઓ અને 400-500 લોકોના ટોળા વિરુદ્ધ એટ્રોસિટી, મારામારી અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન કેટલાક આરોપીઓને પકડીને પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને તેમની સઘન પુછપરછ ચાલી રહી છે.
સમગ્ર ગામમાં તણાવભરી સ્થિતિ
ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પોલીસ દ્વારા ગામમાં શાંતિ જાળવવા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે વધુ તપાસ ચાલી રહી છે. સાથે જ, આ ઘટનામાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
પાટણના ભીલવણમાં લગ્નમાં ડીજે વગાડવા બદલ 400 જેટલા મુસ્લિમોએ મળી દલિતવાસ પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી 15 સામે નામજોગ અને 400ના ટોળા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.#Patan #DalitLivesMatter #atrocityact pic.twitter.com/er7S8jh853
— khabar Antar (@Khabarantar01) May 17, 2025
પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો
ગુરુવારે રાત્રે લગ્ન પ્રસંગના દાંડિયારાસમાં ડીજે વગાડવા બાબતે મારામારી અને લૂંટ થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ બીજે દિવસે શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષાના ઘેરામાં દીકરીના લગ્ન પ્રસંગે વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો. હાલ ગામમાં પોલીસ ચુસ્ત રીતે નજર રાખી રહી છે.
આ પણ વાંચો: સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી