મહારાષ્ટ્રના નંદુરબારમાં આદિવાસી યુવાન જય વાળવીની હત્યાના વિરોધમાં નીકળેલી રેલીમાં હિંસા ફાટી નીકળી હતી. નંદુરબાર કલેક્ટર કચેરી પર પથ્થરમારો અને તોડફોડમાં ૧૨ પોલીસકર્મીઓ સહિત 18 લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને 100 થી વધુ લોકોની અટકાયત કરી હતી.
ગઈકાલે ઉત્તર મહારાષ્ટ્રમાં નંદુરબાર કલેક્ટર કચેરી સંકુલમાં એક આદિવાસી યુવકની હત્યાના વિરોધમાં નીકળેલી રેલી દરમિયાન પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ સરકારી મિલકત અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસામાં 12 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સંદર્ભે પોલીસે 100 થી વધુ લોકોની અટકાયત કરી છે.

આ ઘટના ત્યારે બની જ્યારે આદિવાસી સમાજ એક યુવકની હત્યાનો વિરોધ કરી રહ્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો છોડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, અને બાકીના વ્યક્તિઓને ઓળખીને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઘાયલોમાં 6 પ્રદર્શનકારીઓ અને પથ્થરમારાથી ઘાયલ થયેલા 12 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ આદિવાસી મૃતકની અંતિમક્રિયામાં રોડાં નાખ્યા

વિરોધ પ્રદર્શનમાં 8000 લોકોએ ભાગ લીધો હતો
એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સંગઠનોના નેતૃત્વમાં આશરે 8000 આદિવાસીઓએ બપોરે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ સ્થાનિક આદિવાસી કાર્યકર્તા જય વાળવીની હત્યામાં સામેલ લોકોને ફાંસી આપવાની માંગ કરી હતી.
જય વાળવીની 16 સપ્ટેમ્બર હત્યા થઈ હતી
અધિકારીએ જણાવ્યું હતું કે 16 સપ્ટેમ્બરના રોજ જય વાળવીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હત્યા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માર્ચ સમાપ્ત થયા પછી, કેટલાક પ્રદર્શનકારીઓ તેમની માંગણીઓનું આવેદનપત્ર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. દરમિયાન, કેટલાક લોકોએ બેરિકેડ તોડી નાખી અને પથ્થરમારો શરૂ કર્યો હતો અને પરિસરમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.
પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવતા હિંસા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે કલેક્ટર કચેરીએ પહોંચેલા પ્રદર્શનકારીઓને તોછડી ભાષામાં શાંતિ જાળવવા અપીલ કરી હતી. જેના કારણે પ્રદર્શનકારીઓ વિફર્યા હતા અને હિંસા ફાટી નીકળઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, “જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ અધિક્ષકની કચેરી અને કલેક્ટરના સત્તાવાર નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.”
આ પણ વાંચો: Nagpur માં બજરંગ દળની રેલી બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી










