ઉત્તર પ્રદેશના આગ્રાના ચકચારી પનવારી કેસમાં ૩૪ વર્ષ પછી કોર્ટનો ચુકાદો આવ્યો છે. આ ઐતિહાસિક ચુકાદામાં આગ્રાની SC/ST સ્પેશિયલ કોર્ટે ૩૬ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે ૧૫ લોકોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. આ કેસ ૧૯૯૦ માં થયેલી જાતિ હિંસા સાથે સંબંધિત છે. આ કેસમાં સંડોવાયેલા ૨૭ લોકોના મોત થયા છે.
21 જૂન 1990 ના રોજ પનવારીમાં ચોખેલાલ જાટવની પુત્રી મુંદ્રાના લગ્ન હતા. વરરાજા રામદીન જાન લઈને નાગલા પદ્મા ગામથી આવ્યા હતા. એ દરમિયાન ગામના જાટ સમાજના લુખ્ખા તત્વો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને તેમના ઘર સામેથી દલિતની જાન પસાર થવા દીધી નહોતી.
આ ઝઘડો એટલો વધી ગયો કે તેણે મોટી હિંસાનું સ્વરૂપ લીધું. બીજા દિવસે, 22 જૂને પોલીસની હાજરીમાં દલિત વરરાજાની જાન નીકળી હતી. પરંતુ જાટોને જાણે કાયદો વ્યવસ્થાની કોઈ બીક જ નહોતી. એ પછી 5-6 હજાર લોકોના ટોળાએ જાનને ઘેરી લઈને તેને પસાર થતી અટકાવી હતી. એ દરમિયાન પોલીસે બળપ્રયોગ કર્યો, ગોળીબાર પણ થયો જેમાં સોની રામ જાટનું મોત નીપજ્યું. આ ઘટના પછી, આગ્રામાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા અને ઘણી જગ્યાએ જાટવ સમાજના લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા. આગ્રામાં 10 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ
તત્કાલીન વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી આગ્રા પહોંચ્યા હતા અને પીડિતોને મળ્યા હતા. એ દરમિયાન આગ્રાના સાંસદ અજય સિંહે બંને પક્ષો સાથે વાતચીત કરીને મામલાને શાંત પાડવા પ્રયત્નો કર્યા હતા.
આ કેસમાં, 22 જૂન 1990 ના રોજ, સિકંદરા પોલીસ સ્ટેશનના તત્કાલીન સ્ટેશન ઇન્ચાર્જે 6000 અજાણ્યા લોકો સામે રમખાણો, ખૂની હુમલો, SC-ST એક્ટ, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ચૌધરી બાબુલાલ પણ આ કેસમાં આરોપી હતા, જેને વર્ષ 2022 માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ‘અનિરુદ્ધે મને પ્રેગનન્ટ કરી, મામાએ ગન બતાવી ગર્ભપાત કરાવ્યો’
આ કેસમાં, ભારતીય દંડ સંહિતાની કલમ 148, 149, 323, 144, 325, 452, 436, 427, 504, 395 અને SC/ST એક્ટની કલમ 3/2/5 લાગુ કરવામાં આવી હતી. 2017 માં જ્યારે SC-ST કોર્ટની રચના કરવામાં આવી ત્યારે કેસની સુનાવણી અહીં થઈ હતી. આ કેસમાં 80 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 27 લોકો મૃત્યુ પામ્યા છે. 53 જીવિત છે.
બુધવારે સુનાવણી દરમિયાન 31 લોકોની જુબાની બાદ કોર્ટે 32 દોષિતોને જેલ મોકલી દીધા છે. એક સગીર આરોપીનો કેસ જુવેનાઇલ કોર્ટમાં છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણ લોકો હાજર થયા ન હતા, જેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે દોષિતોને 30 મેના રોજ(આવતીકાલે) સજા ફટકારવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ જિલ્લા સરકારી વકીલ (ક્રિમિનલ) બસંત ગુપ્તાએ આ કેસમાં જણાવ્યું હતું કે, “આ કેસની તપાસ બાદ, 72 લોકો સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસની ટ્રાયલ દરમિયાન, 22 લોકો મૃત્યુ પામ્યા હતા. પુરાવાના અભાવે 15 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને 36 લોકોને દોષી જાહેર કરાયા છે, જેમને આવતીકાલે સજા સંભળાવાશે.
આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી