મહારાષ્ટ્ર(Maharashtra)ના બીડ જિલ્લા(Beed District)માં પોલીકર્મી(Police)ઓને તેમની વર્દી (Dress code) પરની નેમ પ્લેટ (Name Plate) પર તેમની અટક ન લખવાનો (Remove Surname) આદેશ આપવામાં આવ્યો છે. જેથી તેમની જાતિ કઈ છે તેનો ખ્યાલ ન આવે. રાજ્યમાં આ પ્રકારનો નિર્ણય પહેલી વાર લેવામાં આવ્યો છે. પોલીસકર્મીઓને એવી સૂચના આપવામાં આવી છે કે તેમની વર્દી પર પોતાનું પૂરું નામ ન લખો. માત્ર નામ લખો, અટક ન લખો. એટલું જ નહીં, પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ અધિકારીઓના ડેસ્ક પર અટક વગરની નેમપ્લેટ લગાવવામાં આવશે. પોલીસનું કહેવું છે કે જાતિગત તણાવને (Caste Tension in Beed) ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીડના પોલીસ અધિક્ષક (SP) નવનીત કંવતે (SP Navneet Kawath) આ આદેશ જારી કર્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં માસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કરવામાં આવી હતી. આ કારણે આ વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટના પછી એસપી તરીકે કંવતે જાન્યુઆરી મહિનામાં કાર્યભાર સંભાળ્યો.
શું છે સંતોષ દેશમુખ હત્યા કેસ?
પોલીસકર્મીઓની વર્દી પર તેમની અટકનો ઉલ્લેખ ન કરવા પાછળ સંતોષ દેશમુખ હત્યા કેસ રહેલો છે. સંતોષ દેશમુખ મરાઠા હતો. તેની હત્યાના કેસમાં મોટાભાગના આરોપીઓ ઓબીસી વણજારી સમાજ છે. આ ઘટના પછી ઓબીસી અને મરાઠાઓ વચ્ચે કડવાશ ઉભી થઈ. અનામતના મુદ્દા પર બંને સમાજ વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ પરિસ્થિતિ હતી. આ હત્યા બાદ NCP (અજીત પવાર) ના નેતા ધનંજય મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
આ પણ વાંચોઃ દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC-ST-OBC
બીડ પોલીસના પ્રવક્તા અને સહાયક પોલીસ નિરીક્ષક સચિન ઇંગલેએ આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે બીડના એસપીએ જિલ્લાના તમામ પોલીસકર્મીઓને એકબીજાને તેમના પહેલા નામથી બોલાવવા સૂચના આપી છે.
પોલીસની નેમપ્લેટ પર અટક પરથી જાતિ ભેદભાવ?
પોલીસને પડતી સમસ્યાઓ વિશે વાત કરતાં ઇંગલે કહે છે કે, જો મરાઠા સમાજની કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ટ્રાફિક પોલીસ તેને પકડી લે છે, તો તે વ્યક્તિ પહેલા યુનિફોર્મ પર પોલીસકર્મીનું નામ જુએ છે. જો પોલીસકર્મી OBC સમાજનો હોય, તો ઉલ્લંઘન કરનાર આરોપ લગાવે છે કે મરાઠા હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે OBC સમાજનો કોઈ વ્યક્તિ પકડાય છે ત્યારે પણ આવું જ થાય છે. અટકને કારણે બિનજરૂરી ચર્ચા ચાલી રહી છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
લોકો શું કહે છે?
મરાઠા સમાજે પોલીસના આ નિર્દેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું છે કે તેનો અમલ સમગ્ર મહારાષ્ટ્રમાં થવો જોઈએ. જ્યારે ઓબીસી સમાજે કહ્યું છે કે તેની સાથે પોલીસની માનસિકતામાં પણ પરિવર્તન આવવું જોઈએ.
વિનોદ પાટિલ ‘મરાઠા ક્રાંતિ મોરચા’ના સભ્ય છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં પોતાના સમાજ માટે અનામતની માંગણી કરતો કેસ લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, “પોલીસ વિભાગ એકમાત્ર એવો વિભાગ છે જ્યાં કોઈ ગ્રુપ કે જૂથવાદ નથી. અમે એ પણ ઇચ્છીએ છીએ કે પોલીસ તટસ્થ રહે અને ગુનેગારો સાથે ગુનેગાર તરીકે વ્યવહાર કરે, કોઈ ચોક્કસ સમાજના લોકો તરીકે નહીં. જ્યારે પોલીસ સ્વતંત્ર બનશે અને તેની ઓળખ તેની જાતિ કે ધર્મથી નહીં થાય, ત્યારે તે યોગ્ય નિર્ણયો લેવામાં અને આપણા બંધારણને જાળવી રાખવામાં મદદ કરશે. અમે બીડ એસપીના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરીએ છીએ કે તેઓ તમામ પોલીસ અધિકારીઓની નેમ પ્લેટ અને વર્દી પરથી પોલીસકર્મીઓની અટક દૂર કરાવે.”
આ પણ વાંચોઃ Telangana caste survey : 46.25 ટકા OBC છતાં રાજકારણમાં સવર્ણોનું વર્ચસ્વ
Beed, Maharashtra: SP Navneet Kawath says, “In the police force, once we join, we are given the khaki uniform, which symbolizes impartial service. Our primary duty is to serve everyone without bias, regardless of their caste or religion. Often, due to societal influences, police… https://t.co/7E5soNueCK pic.twitter.com/i4sVhXYdoh
— IANS (@ians_india) March 13, 2025
આ મામલે ઓબીસી નેતા હરિભાઉ રાઠોડે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “બીડ એસપીનો ઈરાદો સારો છે, પરંતુ આ અધૂરા મનથી લેવાયેલું પગલું લાગે છે. પોલીસકર્મીના પ્રથમ નામનો ઉપયોગ કરવો બરાબર છે, પણ પોલીસની માનસિકતા કેવી રીતે બદલવી? કેટલાક પોલીસકર્મીઓ એવા છે જે ગુનેગારોને જાતિના ચશ્માથી જુએ છે. ખાખી વર્દી પહેરતી વખતે પોલીસે પોતાની જાતિ ઘરે છોડી દેવી જોઈએ. તેણે થર્ડ અમ્પાયરની જેમ વર્તવું જોઈએ અને સંપૂર્ણપણે સ્વતંત્ર નિર્ણયો લેવા જોઈએ, કોઈનો પક્ષ લેતા જોવા ન જોઈએ.” રાઠોડે સૂચન કર્યું કે પોલીસને તાલીમ સત્રો દ્વારા આ મુદ્દા વિશે જાગૃત કરવા જોઈએ.
આ આખી ઘટના પરથી એટલું તો સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્રમાં પોલીસ વિભાગમાં પોલીસકર્મીઓને પણ તેમની જાતિના આધારે મૂલવવામાં આવે છે. આવી સ્થિતિમાં કઈ રીતે તેઓ કાયદાનો યોગ્ય અમલ કરાવી શકે તે સવાલ છે. આમ જોવા જોઈએ તો દેશભરમાં પોલીસ વિભાગમાં આ જ સ્થિતિ છે. પોલીસ સ્ટેશનોમાં ચોક્કસ જાતિના લોકો જ બહુમતીમાં છે અને તેઓ અન્ય સમાજ સાથે ન્યાયપૂર્ણ વર્તન કરે છે કે નહીં તે સવાલ ચોક્કસ શંકાના દાયરામાં છે.
આ પણ વાંચોઃ ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી