કેન્દ્ર સરકારે આજે હિંસાગ્રસ્ત મણિપુર (Manipur) માં રાષ્ટ્રપતિ શાસન લાગુ (President’s rule imposed) કરી દીધું છે. રવિવારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું (CM Biren Singh’s resignatio) આપ્યાના થોડા દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે. બિરેન સિંઘનો આ નિર્ણય ઉત્તરપૂર્વીય પ્રાંતમાં થયેલી જાતીય હિંસાના લગભગ 21 મહિના પછી આવ્યો છે, જેમાં 250 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ તરફથી મળેલા અહેવાલના આધારે રાષ્ટ્રપતિ (President) એવા નિષ્કર્ષ પર પહોંચ્યાં છે કે મણિપુરમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અહીંની સરકાર ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર કાર્ય કરી શકતી નથી, તેથી રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ 356 માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુરનો વહીવટ પોતાના હાથમાં લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભાનું છેલ્લું સત્ર 12 ઓગસ્ટ, 2024 ના રોજ સમાપ્ત થયું હતું.
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારતે આગેવાની લીધી?
આ પહેલા 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી બિરેન સિંહે રાજધાની ઇમ્ફાલમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા (Ajay Kumar Bhalla) ને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા બિરેન સિંહે રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ બજેટ સત્ર રદ કરવામાં આવ્યું હતું. પોતાના રાજીનામા પત્રમાં બિરેન સિંહે કહ્યું હતું કે, “મણિપુરના લોકોની સેવા કરવી એ મારા માટે સન્માનની વાત રહી છે. સમયસર પગલાં લેવા અને મણિપુરની દરેક વ્યક્તિના હિતોનું રક્ષણ કરવા બદલ હું કેન્દ્ર સરકારનો ખૂબ આભારી છું.”
અગાઉ, એક ઓડિયોટેપ બહાર પાડવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિરેન સિંહ મણિપુર હિંસામાં સામેલ હતા. રાજીનામું આપવાના માત્ર 5 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આ લીક થયેલા ઓડિયો ટેપ પર ફોરેન્સિક રિપોર્ટ માંગ્યો હતો. ઓડિયો ટેપમાં બિરેન સિંહને કથિત રીતે એમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે રાજ્યમાં શસ્ત્રોની લૂંટને મંજૂરી આપી હતી, જેના પગલે વિપક્ષે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
દરમિયાન, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસા વચ્ચે મણિપુરમાં રાજકીય અનિશ્ચિતતા ચાલુ છે. શાસક ભાજપના ઉત્તર પૂર્વના પ્રભારી સંબિત પાત્રા અને પાર્ટીના ધારાસભ્યો વચ્ચે અનેક તબક્કાની વાતચીત છતાં, ગતિરોધ ચાલુ રહે તેવું લાગે છે. સંબિત પાત્રા છેલ્લા બે દિવસમાં બે વાર રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા છે. પાત્રાએ ભાજપના અનેક ધારાસભ્યો સાથે પણ બેઠક કરી છે.
આ પણ વાંચોઃ 2035 સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાશે, મહાકુંભમાં જાહેરાત