આરએસએસ અને ભાજપના રાજમાં સતત જાતિવાદને ઉત્તેજન મળી રહ્યું છે, ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર થતા અત્યાચારોમાં ન્યાય નથી મળતો ત્યારે કેટલીક એવી પણ ઘટનાઓ પણ બની જાય છે જે સામાજિક સમરસતાની આશાને જીવંત રાખે છે. આવી જ એક ઘટના જાતિવાદ માટે કુખ્યાત રાજસ્થાનમાં બની ગઈ. અહીં એક ગામમાં જાતિવાદની નાબૂદીનો મેસેજ આપવા માટે ગામના રાજપૂત પરિવારે વાલ્મિકી પરિવારોને પોતાના ઘરે આમંત્રિત કરીને ભોજન કરાવ્યું અને તેમને સોના-ચાંદીના ઘરેણાં ભેટમાં આપ્યાં. રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજના લોકોને જમાડ્યા બાદ પોતે ગામલોકો સાથે ભોજન લીધું. આ ઘટનાએ સમગ્ર પંથકમાં વાહવાહી મેળવી છે.
પહેલા વાલ્મિકી સમાજ જમ્યો પછી સવર્ણો જમ્યાં
ઘટના રાજસ્થાનના મકરાણાના લાડોલી ગામની છે. અહીં સામાજિક સમરસતાની એક અનોખી પરંપરા જોવા મળી. જ્યાં જાતિવાદ અને અસ્પૃશ્યતાની દુષ્ટ પ્રથાઓને તોડીને રાજપૂત સમાજે ગામના વાલ્મીકિ પરિવારોને સંપૂર્ણ આદર અને સન્માન સાથે તેમના ઘરે આમંત્રણ આપ્યું અને તેમને ભોજન કરાવ્યું. જાતિવાદી ભારત દેશમાં સદીઓથી એક વણલખ્યો નિયમ બની ગયો છે કે ગામ આખું જમી લે, પછી જે વધ્યું ઘટ્યું ભોજન હોય તે વાલ્મિકી સમાજને પીરસી દેવામાં આવે છે.
આ પણ વાંચો: ભાજપ-RSS ના ‘મનુવાદી’ ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે
પરંતુ આ ઘટનામાં તેનાથી તદ્દન ઊલટું બન્યું હતું અને સૌથી પહેલા વાલ્મિકી સમાજના લોકોએ ભોજન લીધું હતું અને પછી એ જ જગ્યાએ રાજપૂત સમાજ સાથે ગામના અન્ય સમાજના લોકોએ ભોજન લીધું હતું. આ કાર્યક્રમ ગામના આગેવાદન દિવંગત ભંવર સિંહ રાઠોડની યાદમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભંવર સિંહના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેમણે જીવનભર સામાજિક દુષણો સામે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું.
વાલ્મિકી સમાજ માટે લાલ જાજમ બિછાવાઈ
સ્વ. ભંવર સિંહના પુત્ર દાનવીર સિંહ અને સમગ્ર રાજપૂત સમાજે આ કાર્યક્રમનું આયોજન કરીને સામાજિક એકતાનું નવું ઉદાહરણ રજૂ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન વાલ્મીકિ સમાજના લોકોને તેમના ઘરેથી પૂરા આદર અને સન્માન સાથે અને ખૂબ જ ધામધૂમથી ભંવરસિંહના ઘરે લાવવામાં આવ્યા હતા. રસ્તામાં કાર્પેટ બિછાવવામાં આવ્યા હતા અને તેમના સ્વાગત માટે ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં રાજપૂત સમાજે વાલ્મિકી સમાજના લોકોના પગ ધોયા હતા અને પછી પોતાના હાથે ભોજન પીરસીને જમાડ્યા બાદ તેમનું સન્માન કર્યું હતું. વાલ્મિકી પરિવારોએ જમી લીધાં પછી આખા ગામના લોકોએ ભોજન લીધું હતું.
ઘરેણાં અને રોકડ રકમ ભેટમાં અપાઈ
આ કાર્યક્રમમાં વાલ્મીકિ સમાજના લોકોને માત્ર ભોજન જ આપવામાં નહોતું આવ્યું, પરંતુ રાજપૂત સમાજે તેમને સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ આપીને સન્માનજનક રીતે વિદાય આપી હતી. આ પ્રસંગે દાનવીર સિંહે જણાવ્યું હતું કે તેમના પિતા ભંવર સિંહ રાઠોડે હંમેશા અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવથી દૂર રહીને સામાજિક સમરસતા માટે કામ કર્યું હતું. આવી સ્થિતિમાં, આ વિચારને આગળ વધારવા માટે આ પરંપરા ફરીથી શરૂ કરવામાં આવી છે.
સામાજિક સમરસતા માટે જાતિવાદ હાનિકારક
પૂર્વ સરપંચ રેવત સિંહ રાઠોડ અને ગ્રામજનોએ જાતિવાદને સમાજ માટે ઝેર ગણાવ્યો હતો અને કહ્યું કે રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા જાતિવાદે સામાજિક સમરસતાને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે સમાજમાં કોમી એકતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે, જેથી સમાજમાં ભાઈચારો જળવાઈ રહે. સ્વ. ભંવર સિંહ રાઠોડનો જન્મ ઠાકુર ભવાની સિંહ રાઠોડના પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ સામાજિક કાર્યમાં રસ હતો અને તેઓ જીવનભર સામાજિક દુષણો સામે જાગૃતિ ફેલાવવામાં વ્યસ્ત રહ્યા હતા. તેમને વાલ્મીકિ સમાજના લોકો પ્રત્યે ખાસ પ્રેમ હતો અને તેઓ હંમેશા તેમને પોતાની પાસે બેસાડીને તેમની સાથે સમાન વ્યવહાર કરતા હતા. તેમની આ પરંપરાઓને આગળ ધપાવતા હવે તેમના પુત્ર સહિતના પરિવારે આ પરંપરાને પુનર્જીવિત કરી, જે છેલ્લા 35 વર્ષથી ચાલુ છે.
આ પણ વાંચો: મારો ન્યાય, સરળ અને સમજાય તેવી મારી ભાષામાં કયારે?