Shankar Bigha massacre: બિહારના જહાનાબાદ જિલ્લાના શંકર બિઘા (Shankar Bigha) ગામમાં 25 જાન્યુઆરી 1999 ની રાત્રે જે બન્યું તે ભૂલી જવું હજુ પણ મુશ્કેલ છે. તે રાત્રે 24 દલિતોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ 24 લોકોને ખ્યાલ પણ નહોતો કે આ તેમની જિંદગીની આખરી રાત હશે. પણ હત્યારાઓએ એ તેમની અંતિમ રાત બનાવી દીધી હતી. આખા ગામમાં ભયનો માહોલ અને ડરામણી શાંતિ હતી, ફક્ત ચીસો અને રડવાના અવાજો આવી રહ્યા હતા.
સામૂહિક હત્યાકાંડનો દૌર હતો
આ ઘટના બિહારમાં કોમી હિંસાના કાળા પ્રકરણોમાંની એક બની ગઈ. આ એ સમય હતો જ્યારે બિહારમાં જાતીય નરસંહાર ચરમસીમા પર હતો. કથિત ઉંચી જાતિના લોકો અને દલિતો-પછાત જાતિઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ સામાન્ય બની ગયો હતો. પછાત અને દલિત સમુદાયોનું નેતૃત્વ CPI(ML) કરી રહ્યું હતું, જ્યારે ઉચ્ચ જાતિઓ વતી આખો મોરચો રણવીર સેના (Ranveer Sena) નામના સંગઠને સંભાળ્યો હતો. આ સમયગાળો બિહારમાં બેલચી હત્યાકાંડ (૧૯૭૭) થી શરૂ થયો હતો અને મિયાનપુર હત્યાકાંડ (૨૦૦૦) સુધી ચાલુ રહ્યો. તેની પણ વાત કરીશું. પણ હાલ શંકર બિઘા હત્યાકાંડ વિશે જાણીએ.
24 દલિતોની હત્યાના ઘા આજેય તાજા છે
શંકર બિઘા હત્યાકાંડ(Shankar Bigha massacre)ના ઘા હજુ પણ રૂઝાયા નથી અને આજેય તાજા છે, કેમ કે 26 વર્ષ પછી પણ તેમાં ન્યાય નથી મળ્યો. આ ગામ બે ભાગમાં વહેંચાયેલું છે. દલિતો શંકર બિઘામાં રહે છે જ્યારે કથિત સવર્ણો ધોબી શંકર બિઘા ગામમાં રહે છે. બંને વચ્ચેનું અંતર લગભગ 1 કિલોમીટર છે. આ હત્યાકાંડમાં આરોપ હતો કે ધોબી બિઘાના લોકોએ શંકર બિઘાના 22 દલિતોની હત્યા કરી હતી. તે સમયે 24 લોકોને તાત્કાલિક આરોપી બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ચકચારી પ્રણય હત્યા કેસમાં 1ને ફાંસી, 6 ને આજીવન કેદની સજા
બધા આરોપીઓ નિર્દોષ છૂટ્યા
આ કેસ 16 વર્ષ સુધી ચાલ્યો. ઘણી તારીખો પડી. પરંતુ જે લોકોએ અગાઉ હત્યાકાંડમાં જુબાની આપી હતી તેઓ સમયની સાથે ફરી ગયા અને ૧૩ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ જહાનાબાદ જિલ્લા અદાલતે પુરાવાના અભાવે તમામ ૨૪ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. એવું કહેવાય છે કે કેસ દલિતોનો હોવાથી કોર્ટમાં તેમના વતી મજબૂત દલીલો રજૂ કરવામાં આવી ન હતી. દલિતોના નબળા પક્ષ અને સવર્ણોની ધાકધમકીઓના કારણે સાક્ષીઓ ફરી ગયા અને તમામ આરોપીઓ નિર્દોષ છુટી ગયા હતા.
૧૬ વર્ષ સુધી કેસ ચાલ્યો
૨૨ દલિતોની હત્યાનો કેસ ૧૬ વર્ષ સુધી ચાલ્યો છતાં કોર્ટમાં એ સાબિત ન થઈ શક્યું કે આ હત્યાકાંડ પાછળ કોણ હતું. ૨૫ જાન્યુઆરી ૧૯૯૯ના શંકર બિઘા હત્યાકાંડનું નજીકથી કવરેજ કરનાર વરિષ્ઠ પત્રકાર રામશંકર મિશ્રા આ બાબતે વિસ્તારથી વાત કરતા કહે છે, મને આ ઘટના વિશે ૨૬ જાન્યુઆરીએ માહિતી મળી હતી. ઘટના 25મી જાન્યુઆરીની રાત્રે બની હતી. ખૂબ ઠંડી હતી. વહેલી સવારે માહિતી મળી કે શંકર બિઘામાં મોટો હત્યાકાંડ થયો છે અને અનેક દલિતોની હત્યા કરવામાં આવી છે.
રામશંકર મિશ્રા કહે છે કે, “જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જવાનો માટે સારો રસ્તો પણ નહોતો. અમે લગભગ એક કે બે કિલોમીટર ચાલીને ગયા હતા. ત્યાં મહેંદિયા પોલીસ સ્ટેશન છે. તે સમયે જહાનાબાદ અને અરવલનું વિભાજન થયું નહોતું. તે સમયે આ ગામ જહાનાબાદમાં હતું. પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મેં જે દ્રશ્ય જોયું તે ખૂબ જ હૃદયદ્રાવક હતું. કોઈને ગોળી વાગી હતી, કેટલાકના હાથ કાપી નાખવામાં આવ્યા હતા, કેટલાકની આંખો કાઢી નાખવામાં આવી હતી, બધા દલિત સમાજના લોકો હતા. જ્યારે અમે પૂછપરછ કરી, ત્યારે અમને ખબર પડી કે તેઓ કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી રહ્યા હતા અને તેના માટે ભેગા થયા હતા. ત્યારે જ 100 થી વધુ સશસ્ત્ર સવર્ણોનું ટોળું આવ્યું અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. જે જ્યાં હતા ત્યાં જ માર્યા ગયા.”
આ પણ વાંચોઃ Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા
કુલ 24 લોકોના મોત
રામશંકર કહે છે, “મને યાદ છે કે ભૈરવ રાજભર નામની એક વ્યક્તિ હતી. જેણે પોતાના પરિવારના પાંચ સભ્યો આ હત્યાકાંડમાં ગુમાવ્યા હતા. જેમાં તેની બે પુત્રીઓનું પણ મોત થયું હતું. જ્યારે અમે તેને પૂછ્યું કે તે કેવી રીતે બચી ગયા. ત્યારે તેણે કહ્યું કે તે એક છાપરાવાળા ઘરની છત પર છુપાઈ ગયો હતો એટલે બચી ગયો. જ્યારે ઊંઘી રહેલા બધા લોકો માર્યા ગયા હતા. તે ઘટનામાં ક્રૂરતાની બધી હદો પાર થઈ ગઈ હતી. તે સમયે કહેવાતી રણવીર સેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ હત્યાકાંડમાં 22 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને બાકીના બે લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા.”
જમીન હત્યાકાંડનું કારણ બની
ગામડાઓમાં સ્થાયી અને મોટી આવકનું એકમાત્ર સાધન ખેતીની જમીન છે અને એટલે જ તસુભાર પણ ખેતીની જમીન દલિતો, પછાતોના હાથમાં ન જાય તે માટે ગામની માથાભારે કોમના ગુંડા તત્વો પુરી તાકાત લગાવી દે છે. એ ત્યાં સુધી કે આ તત્વો હત્યા કરવા સુધી જતા પણ અચકાતા નથી. આ ઘટનામાં પણ આવું જ બન્યું હતું.
વરિષ્ઠ પત્રકાર રામશંકર મિશ્રા (Ramshankar mishra) કહે છે કે, તે સમયે ડાબેરી કાર્યકરો અને રણવીર સેના વચ્ચે લડાઈ ચાલી રહી હતી. દલિતોને સરકારી રાહે જમીનો મળી હતી પણ ગામની માથાભારે કોમના લોકોની બીક એટલી હતી કે તેઓ દલિતોને તેમની જ માલિકીની જમીનમાં પગ મૂકવા દેતા નહોતા. તેમને ખેતી કરવાની મંજૂરી નહોતી. જેના કારણે સોના જેવા ખેતરો ઉજ્જડ બની રહ્યા હતા. આ સમયગાળો બહુ લાંબો ચાલ્યો. તે હત્યાકાંડનો સમય હતો. 15 વર્ષમાં લગભગ 300 લોકો અલગ અલગ હત્યાકાંડમાં માર્યા ગયા હતા.
નિર્દોષ લોકોને મોહરા બનાવવામાં આવ્યા.
આ પણ વાંચોઃ Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે
રામશંકર મિશ્રા (Ramshankar mishra) આગળ કહે છે, શંકર બિઘા હત્યાકાંડમાં જે આરોપ મૂકવામાં આવ્યો હતો તે ધોબી બિઘાના કથિત સવર્ણ જાતિના લોકો પર લગાવવામાં આવ્યો હતો. ધોબી બિઘાના 24 લોકોના આ હત્યાકાંડમાં નામ આવ્યા હતા. ધોબી બિઘા એક કથિત ઉચ્ચ જાતિનું પ્રભુત્વ ધરાવતું ગામ છે. શરૂઆતમાં તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા. પણ જ્યારે હત્યાકાંડ થયો એ પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમને મહોરું બનાવવામાં આવ્યા છે. એ પછી તેઓ ઢીલા પડી ગયા હતા. સમાજના અન્ય લોકો પણ સજાગ થયા અને સરકાર પણ કડક બની.
ડરના કારણે સાક્ષીઓ ફરી ગયા
આ ઘટનામાં સૌથી અગત્યની વાત એ રહી કે, જે લોકોની હત્યા થઈ હતી તેમને કોઈની સાથે કોઈ લેવાદેવા નહોતી. ન તો રણબીર સેના સાથે, ન તો ડાબેરી પક્ષો સાથે. તેમ છતાં તેઓ મોતને ભેટ્યા હતા. આ કેસની ટ્રાયલ 2013માં શરૂ થઈ હતી અને પુરાવાના અભાવે તમામ 24 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે કોઈની સામે કોઈ પુરાવા મળ્યા નથી. અગાઉ કેસ સમય નિવેદનના આધારે ચલાવવામાં આવતા હતા. કોઈ વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવતી નહોતી. ઘણા લોકોએ ડરના કારણે જુબાની આપી નહીં અને પોતાનું નિવેદન ફેરવી તોળ્યું.
ન્યાયની આશા ધૂંધળી પડવા લાગી છે
શંકર બિઘા હત્યાકાંડ બિહાર જ નહીં પરંતુ ભારતના ઇતિહાસમાં સાંપ્રદાયિક હિંસાની સૌથી દુ:ખદ ઘટનાઓમાંની એક બની ગઈ છે. ૨૬ વર્ષ પછી પણ આ પરિવારોનું દુઃખ જેમનું તેમ છે. બસ હવે તેમની આશા ધૂંધળી પડવા માંડી છે. પ્રશ્ન એ છે કે શું આ ન્યાય અધૂરો જ રહેશે, કે પછી તેમને કોઈ દિવસ ન્યાય મળશે?
નિર્દોષ જાહેર થયેલા લોકો
૧. બુટન સિંહ ૨. કૌશલ કુમાર ૩. ભગવાન સિંહ ૪. વીરેન્દ્ર સિંહ ૫. મનોજ સિંહ ૬. બબન સિંહ ૭. ગોપાલ શર્મા ૮. નવલ કિશોર ૯. નવલ સિંહ ૧૦. સહેન્દ્ર કુમાર શર્મા ૧૧. અશોક કુમાર ૧૨. ઉમેશ શર્મા ૧૩. રાધા રમણ ૧૪. ઓમ પ્રકાશ ૧૫. ધર્મેન્દ્ર શર્મા ૧૬. મરેન્દ્ર શર્મા ૧૭. શિવ શર્મા ૧૮. ગૌરી શર્મા ૧૯. મન્ટુ શર્મા ૨૦. મન્ટુ કુમાર ૨૧. બિહારી શર્મા ૨૨. વિજેન્દ્ર શર્મા ૨૩. ધરમ શર્મા ૨૪. ગોવિંદ શર્મા.
આ પણ વાંચોઃ Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા