વર્ષ 2025ને બે મહિના વીતી ગયા છે પરંતુ આ નવા વર્ષમાં પણ દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોમાં જરાય ઓટ આવી નથી. ઉલટાનું હિંદુત્વવાદીઓની વધતી તાકાતને કારણે આવી ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થયો જાય છે. આભડછેટ જેવી બદ્દીઓ નાબૂદ થવાને બદલે સતત વધતી જઈ રહી છે. મનુસ્મૃતિના નિયમો લાગુ કરવા એક આખો વર્ગ ધમપછાડા મારી રહ્યો છે અને ખુદ સત્તાધારીઓ તેમને પાછળથી મજબૂત સહકાર આપી રહ્યાં છે. આવી સ્થિતિમાં દલિતો પાસે બુદ્ધના રસ્તે ચાલવા સિવાય છુટકો નથી. દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો-આદિવાસીઓ જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.
આવી જ એક ઘટના હાલ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાસમ ગામે બની છે, જ્યાં 16 પરિવારોએ જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.તા. 28 ફેબ્રુઆરી 2025ને શુક્રવારના રોજ બાવળા તાલુકાના રાસમ ગામે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં ધોળકા, બાવળા અને અમદાવાદ જિલ્લાના કુલ 16 પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
આ પણ વાંચો: બહુજન વિચારધારાના પ્રચાર-પ્રસારમાં મહત્વનો ભાગ ભજવી રહેલા – બહુજન કેલેન્ડરો
દીક્ષા સમારોહની શરૂઆતમાં ગામની શેરીઓમાં બેનર સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવ્યા હતા. એ પછી તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.
ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ સાથે સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.
આ તમામ દીક્ષાર્થીઓને મહાગુજરાત બૌદ્ધ સંઘના દીક્ષાદાયક આયુષ્યમાન સિંહલ બોધિધર્મનજી દ્વારા બૌદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી. એ રીતે આ 16 પરિવારોએ પોતાના પૂર્વજોના ઘરમાં વાપસી કરી હતી. આ કાર્યક્રમમાં ઉનાકાંડમાં સમાજ માટે જેલ ભોગવીને આવેલા ભીમયોદ્ધા કાંતિભાઈ વાળા અને સમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પી.એલ. મારુ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
દીક્ષાદાયક સિંહલ બોધિધર્મનજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ભારત બુદ્ધની ભૂમિ છે, જ્યાં પણ તમે ઈશ્વરની શક્તિની શોધ કરવા માટે જમીન ખોદશો ત્યાં તમને બુદ્ધ જ મળશે. જાતિવાદ, આભડછેટ જેવી બદ્દીઓ વર્તમાનમાં ભારે ફૂલીફાલી છે. એ સ્થિતિમાં એકમાત્ર બૌદ્ધ ધર્મ જ લોકોને સમાનતા અને સદ્દભાવના શીખવે છે. બુદ્ધમ શરણં ગચ્છામિ અર્થાત બુદ્ધના શરણમાં જવા સિવાય આપણી પાસે વર્તમાનમાં કોઈ વિકલ્પ નથી. એ રીતે આ દીક્ષાર્થીઓ વાસ્તવમાં તો ઘરવાપસી કરી રહ્યાં છે. હાલ એકબાજુ મહાબોધિ ગયામાં બૌદ્ધોનું આંદોલન ચાલી રહ્યું છે, વધુને વધુ લોકો ત્યાં જમા થઈ રહ્યાં છે, બીજી તરફ દેશભરમાં ધીમી પણ મક્કમ ગતિએ ધર્મનો અસલ મર્મ સમજતા લોકો બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યાં છે, તે નાની વાત નથી. આગામી દિવસોમાં હજુ વધુ લોકો જાતિવાદી ધર્મ છોડીને બૌદ્ધ બનશે તો મને એમાં જરાય નવાઈ નહીં લાગે.”
આ પણ વાંચો: હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin