ભારતના સવર્ણ હિંદુઓ માટે દેશ, દેશભક્તિ, તેનું સૈન્ય કે સૈનિકો કરતા પણ સૈનિકની જાતિ મહત્વની છે – આવું જો કોઈને કહીએ તો પહેલીવારમાં તે સાચું ન માને. પણ આવી એક ઘટના બની છે, જેણે દેશના સવર્ણોની ખોખલી દેશભક્તિની પોલ ખોલી નાખી છે.
નિવૃત્ત આર્મીમેનનો સવર્ણ હિંદુઓએ બહિષ્કાર કર્યો
ઘટના એવી છે કે, દેશ માટે બહાદુરીથી લડનાર એક સૈનિક આજે તેના જ ગામમાં સવર્ણ હિંદુઓ દ્વારા સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યાં છે. સૈનિક પોતે સવર્ણ હિંદુ હોવા છતાં ગામના સવર્ણોએ તેમની સાથેનો તમામ વ્યવહાર કાપી નાખ્યો છે. તેમને ગામના એકેય પ્રસંગમાં બોલાવાતા નથી. આ સૈનિક અને તેના પરિવારનો વાંક માત્ર એટલો જ હતો કે તેમના પુત્રએ એક દલિત સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા. જે ગામના સવર્ણ હિંદુઓને ગમ્યું નહોતું.
આ પણ વાંચો: ફિલ્મ 12th Fail – વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે
ગામલોકોએ આર્મીમેને કરેલી દેશસેવાની પણ પરવા ન કરી
આ ઘટના એ પણ સાબિત કરે છે કે, ભારતના સવર્ણ હિંદુઓ માટે કોઈ વ્યક્તિ ગમે તેટલા પ્રતિષ્ઠિત હોદ્દા પર કેમ ન હોય, સૌથી પહેલા તેની જાતિ જોવામાં આવે છે, અને એ પછી તેની સાથે કેવો વ્યવહાર કરવો તે નક્કી કરાય છે. આ ઘટનામાં જાતિવાદી તત્વોએ એક નિવૃત્ત આર્મીમેનની દેશસેવાની પણ પરવા કર્યા વિના તેનો સામાજિક બહિષ્કાર કરી નાખ્યો છે.
ઉત્તરાખંડના બાગેશ્વર ધામના બાસ્કુ ગામની ઘટના
મામલો ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના બાસ્કુ ગામનો છે. અહીં ભૂતપૂર્વ સૈનિક ચંદન સિંહ મહેતા અને તેમના પરિવારનો ગામના સવર્ણ હિંદુઓ દ્વારા સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. ચંદનસિંહ મહેતાએ પોતાની આખી જિંદગી દેશની સેવા માટે સરહદો પર ખર્ચી નાખી છે. પરંતુ જાતિવાદી તત્વોએ તેમની આ સેવાની કદર કરવાને બદલે તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરી નાખ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર દેશમાં ફેલાયેલા જાતિ ભેદભાવના કડવા સત્યને ઉજાગર કરી દીધું છે.
આ પણ વાંચો: 35 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 35 આરોપીઓને 5 વર્ષની સજા
નિવૃત્ત આર્મીમેનના પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો
આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે ચંદન સિંહના પુત્રએ એક એવી છોકરી સાથે લગ્ન કર્યા જેની માતા અનુસૂચિત જાતિની હતી અને પિતા ઉચ્ચ જાતિના હતા. બાસ્કુના ગામના લોકોને આ વાતની જાણ થતાં જ ગામલોકોએ ભૂતપૂર્વ સૈનિકના પરિવાર સાથે સંબંધ તોડી નાખવાનું શરૂ કરી દીધું અને મામલો સામાજિક બહિષ્કાર સુધી પહોંચ્યો. હવે પરિસ્થિતિ એવી છે કે સવર્ણ હિંદુ જાતિના હોવા છતાં ચંદનસિંહ મહેતાના ઘરે ન તો કોઈ બામણ તેમના ઘરે પૂજા કરવા આવે છે, ન તો ગામલોક તેમને તહેવારો કે લગ્ન સમારોહમાં આમંત્રણ આપે છે. તેમના પરિવાર માટે ગામના મંદિરોના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ચંદન સિંહને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જેના કારણે તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂને દિલ્હી મોકલી દેવા પડ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટને ન્યાય માટે અરજી કરી
સવર્ણ હિંદુઓએ કરેલા સામાજિક બહિષ્કાર સામે હવે નિવૃત્ત આર્મીમેન ચંદનસિંહ મહેતાએ જિલ્લા મેજિસ્ટ્રેટને ન્યાય માટે અપીલ કરી છે. વહીવટીતંત્રે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં કાર્યવાહીની આશા વ્યક્ત કરી છે.
સવર્ણ હિંદુઓની ખોખલી દેશભક્તિની પોલ ખૂલી
આ મામલો દેશના સવર્ણ હિંદુઓની ખોખલી દેશભક્તિની પણ પોલ ખોલે છે. એકબાજુ તેઓ દેશભક્તિના નામે સૈનિકો પર ફૂલોનો વરસાદ કરે છે, તેમની પ્રશંસા કરે છે પરંતુ બીજી તરફ જ્યારે મામલો જાતિના બંધનો તોડવાનો હોય ત્યારે તેઓ નિવૃત્ત સૈનિકનો સામાજિક બહિષ્કાર કરતા પણ ખચકાતા નથી. આવા જાતિવાદી તત્વોના કારણે જ આ દેશ સતત અઢારમી સદી તરફ પાછો ધકેલાઈ રહ્યો હોય તેમ લાગે છે.
સવર્ણ હિંદુઓ માટે જાતિ જ સૌથી મહત્વની
આ સમસ્યા ફક્ત એક સવર્ણ હિંદુ પરિવારની વ્યક્તિગત નથી, પરંતુ સમગ્ર સમાજ સામે એક ગંભીર પ્રશ્ન પણ ઉઠાવે છે. આ ઘટના એ પણ સાબિત કરે છે ભારતમાં આજે પણ જાતિ ભેદભાવના મૂળ એટલો ઊંડે સુધી ફેલાયેલો છે કે એક દેશભક્ત સૈનિકના પરિવારને પણ અપમાન સહન કરવું પડે છે.
આ પણ વાંચો: કડાણામાં ના. મામલતદારે અડધા દિવસમાં 357 ST પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ