સુરતના માંડવી અરેઠ વિસ્તારના તડકેશ્વરમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ જતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે. રૂ. 21 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી પાણીની ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થતા એક મહિલા સહિત ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. ટાંકી ધરાશાયી થતા 9 લાખ લિટર જેટલુ પાણી વહી જતા ગામમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી.
ટાંકી ધરાશાયી થતા રૂ. 21 કરોડ પાણીમાં ગયા
સુરતના માંડવીના તડકેશ્વરમાં ગાય પગલાં પાણી પુરવઠા યોજના હેઠળ 21 કરોડના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 11 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીના ટેસ્ટિંગ માટે 9 લાખ લિટર પાણી ભરતા જ સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું. આ ઘટના બાદ 33 ગામોને પીવાનું પાણી પૂરૂં પાડવાના લક્ષ્યાંકને મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: ‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’
33 ગામોને પીવાનું પાણી નહીં મળી શકે?
સ્થળ પર કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ટાંકીના સ્ટ્રક્ચરની હલકી ગુણવત્તા છતી થઇ છે. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે જે ગામમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લોખંડ અને સિમેન્ટના વપરાશમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવી છે. પાણીની ટાંકી ધરાશાયી થતા 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાના લક્ષ્યાંકને ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: સવર્ણ બોયફ્રેન્ડે કહ્યું, ‘તું દલિત છો, હું તારી સાથે લગ્ન નહીં કરું’
ગામમાં પૂરની જેમ પાણી ફરી વળ્યાં
મોડે મોડે ઘટનાસ્થળે પહોંચેલા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જય ચૌધરીએ જણાવ્યું હતું કે, “ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ હતી. સમગ્ર મામલે SVNIT(સુરત)ના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”
ગામલોકોએ ભષ્ટ્રાચાર થયાનો આક્ષેપ લગાવ્યો
રૂ. 21 કરોડના ખર્ચે બનેલી ટાંકી તૈયાર થાય એ પહેલા જ તૂટી પડતા આસપાસના 33 ગામોના લોકોને પીવાનું પાણી પહોંચાડવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ગામલોકોએ ટાંકીના કામકાજમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’












