રાજસ્થાનના બારાં જિલ્લામાં એક શિક્ષક દ્વારા આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી પ્રાર્થના દરમિયાન તરત લાગી હોવાથી પાણી પીવા માટે જઈ રહ્યો હતો. જેને લઈને શિક્ષકે તેને રોકીને રોડ પર પછાડીને ફટકાર્યો હતો. હાલ વિદ્યાર્થિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જો કે પોલીસ દ્વારા આરોપી શિક્ષક પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ઘટના બારાં જિલ્લાના કવાઈ વિસ્તારમાં આવેલી પીએમ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં બની હતી.
શાળાના શારીરિક શિક્ષણના શિક્ષક રવિ બિંદલે આમાપુરાના 15 વર્ષના આદિવાસી વિદ્યાર્થી સુનીલ ભૂરાલાલ મીણાને માર મારીને રસ્તા પર પાડી દીધો હતો અને ઢીંકાપાટુનો માર માર્યો હતો. જોકે, વિભાગે આ કેસમાં શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરી નથી અને પોલીસ હજુ પણ આ મામલાની તપાસ કરી રહી છે.
પાણી પીવા બદલ માર માર્યો
મળતી માહિતી મુજબ, પીએમ શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુનિલ મીણા પાણી પીવા જતો હતો ત્યારે શાળાના શારીરિક શિક્ષણ શિક્ષકે તેને માર માર્યો હતો. શનિવારે જ્યારે સુનીલ શાળાએ પહોંચ્યો ત્યારે તેને તરસ લાગી અને તે પાણી પીવા ગયો. જે શિક્ષક રવિ બિંદલને ગમ્યું નહોતું અને તે હિંસક બની ગયો હતો.
ઘાયલ વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ
શિક્ષક રવિ બિંદલે સુનીલને પાણી પીવા જતો જોયો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને કશું વિચાર્યા વિના તેણે સુનીલને મારવાનું શરૂ કરી દીધું. આ મારપીટ બાદ વિદ્યાર્થી સુનિલ ઘાયલ થયો હતો. સુનીલના મિત્ર વિદ્યાર્થીઓએ તેના પરિવારને આ ઘટનાની અને ઈજા વિશે જાણ કરી હતી. માહિતી મળતાં જ સુનીલ મીણાના પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. ઘટના બાદ પરિવારના સભ્યોએ કવાઈ સાલપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી.
રસ્તા પર પાડી દઈ ઢીંકાપાટુનો માર માર્યો
આ ઘટના અંગે વિદ્યાર્થી સુનિલે જણાવ્યું કે તે પ્રાર્થના સમયે પાણી પીવા જઈ રહ્યો હતો ત્યારે શારીરિક શિક્ષણના શિક્ષકે તેને શાળાની સામેના રસ્તા પર પાડી દઈ લાતો અને મુક્કાઓ માર્યા હતા.
સુનીલના પિતાએ જણાવ્યું કે કવાઈ સાલપુરાથી બારાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છીએ. અમારા છોકરાને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. શિક્ષકે નિર્દયતાથી તેને રસ્તા વચ્ચે પછાડી ઢીંકાપાટુનો માર માર્યો. તેમને જરાય દયા ન આવી. મારા દીકરા સાથે ખોટું થયું છે અને અમને ન્યાય જોઈએ છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ શખ્સે દલિતોના સ્મશાન પર કબ્જો જમાવી ઘઉં વાવી દીધાં