સલૂનમાં વાળ કાપવા ગયેલા દલિત યુવકના વાળ ન કાપવા અને તેને બહાર ધકેલી દેવાના કેસમાં કોર્ટે સલૂન માલિક અને સંચાલકને જેલમાં ધકેલી દીધા છે. આરોપ છે કે બંનેએ તેમની દુકાને વાળ કપાવવા આવેલા એક દલિત યુવક સાથે ગેરવર્તન કર્યું હતું અને જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી.
મામલો બિકાનેરના નોખા સ્થિત ઝાડેલી ગામનો છે. આ ઘટના ૧૩ માર્ચે બની હતી, ત્યારબાદ યુવકની ફરિયાદ પર પોલીસે ૧૪ માર્ચે આરોપીની ધરપકડ કરી હતી અને ૧૫મીએ બંનેને કોર્ટમાં રજૂ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
બીજા જ દિવસે એટ્રોસિટીના કેસમાં ધરપકડ
આ મામલે એસએચઓ સંદીપ કુમારે જણાવ્યું હતું કે આરોપી સીતારામ જાટ (35) અને કિશનલાલ ઉર્ફે કિશનરામ નાઈ (28) ની 14 માર્ચે ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ ઝાડેલી ગામના રહેવાસી છે. પૂછપરછ બાદ તેમને 15 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જાતિગત ભેદભાવ અને SC-ST એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સંચાલક અને સલૂન માલિકે દલિત યુવકને ધક્કો મારી બહાર કાઢ્યો હતો
આ પણ વાંચો: તમિલનાડુમાં દલિતોએ સવર્ણોએ બનાવેલો નિયમ તોડ્યો, પહેલીવાર શેરીમાં ચંપલ પહેરી સ્ટ્રીટ વોક કરી
સંદીપ કુમારે વધુમાં જણાવ્યું હતું કે ઝાડેલી ગામનો રહેવાસી દલિત યુવક 13 માર્ચે ગામના કિશનરામ વાળંદની દુકાને વાળ કપાવવા માટે ગયો હતો. પરંતુ કિશનરામે તેના વાળ કાપવાનો ઇનકાર કરી દીધો હતો. દલિત યુવકે આરોપ લગાવ્યો કે તેને જાતિસૂચક અપશબ્દો કહેવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન દુકાન માલિક સીતારામ જાટ ત્યાં પહોંચ્યો અને બંનેએ મળીને દલિત યુવકને દુકાનમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો હતો.
વીડિયો સામે આવતાં પોલીસે કાર્યવાહી કરી
આ ઘટનાનો વીડિયો 14 માર્ચે સામે આવ્યો હતો. એ પછી નોખા પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી હતી. આ વિડીયો સ્થાનિક ભાષામાં છે. જેમાં દલિત યુવક અને સલૂન માલિક વચ્ચેની વાતચીત સાંભળી શકાય છે. તેમાં દલિત યુવક કહેતો જોવા મળે છે કે, “શું તમે મારી દાઢી અને વાળ નહીં કાપો?” જેના જવાબમાં સલૂન સંચાલક કહે છે કે, “નહીં કાપું”
આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બંને આરોપીઓની એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ધરપકડ કરી હતી.
રાજસ્થાનના બિકાનેરના ઝાડેલી ગામમાં દલિત યુવકના વાળ કાપવાનો ઈનકાર કરી દેવાયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સલૂનના માલિક અને વાળંદની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી છે.#Bikaner_News #Rajasthan #untouchbility pic.twitter.com/3vzOGZy3bS
— khabar Antar (@Khabarantar01) March 17, 2025
ઓબીસી સમાજ સવાયો હિંદુ બનીને ખુશ છે?
ઉલ્લેખનીય છે કે, મનુવાદીઓનું આખું ષડયંત્ર ઓબીસી સમાજ પર ટકેલું છે. તેઓ ઓબીસીને ‘તમે દલિતો કરતા ઉંચા છો’ કહીને પાનો ચડાવી તેમને દલિતો સામે ઉશ્કેરી પાછલા બારણે તેમના હકો પર તરાપ મારતા રહે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સૌથી વધુ કોઈના હકો પર તરાપ પડતી હોય તો તે ઓબીસી સમાજ છે અને તેમ છતાં તે મનુવાદીઓની ચાલ સમજી શકતો નથી. તે હિંદુ બનીને ધાર્મિક યાત્રાઓમાં મશગૂલ રહે છે અને મનુવાદીઓ તેમના હકની નોકરીઓ, રોજગાર અને શિક્ષણ તેમના બાળકોને આપી દે છે. ઓબીસી સમાજ મનુવાદીઓ કરતા સવાયો હિંદુ બની માત્ર દલિતો સાથે અસ્પૃશ્યતા જાળવી, પોતાને તેમનાથી ઉંચા માનીને મનોમન ખુશ રહે છે. તેનું જ પરિણામ છે કે, આજે યુપીની કાવડયાત્રાથી લઈને ડાકોરની પદયાત્રા સુધીમાં મહત્તમ ભાગીદારી ઓબીસી સમાજના લોકોની છે અને સંસદ, કારોબારી, ન્યાયતંત્ર કે બિઝનેસમાં ક્યાંય પણ કોઈ મોટા ઓબીસી આગેવાન જોવા મળતા નથી. આજે સ્થિતિ એ છે કે,
ઓબીસી સમાજમાં જન્મેલા બહુજન મહાનાયક જ્યોતિબા ફૂલેને ઓબીસી કરતા વધુ માન-સન્માન અને ઓળખ દલિતો-આદિવાસીઓ આપે છે. જે દિવસે ઓબીસી પોતાના આ મહાનાયકના વિચારોને આત્મસાત કરશે તે દિવસથી આવી ઘટનાઓનો પણ ધીરેધીરે અંત આવશે.
આ પણ વાંચો: કારમાંથી ઉતરી સીધી દલિત વરરાજાના માથે બંદૂક તાકી દીધી