‘હવે શહેરોમાં ક્યાં આભડછેટ જેવું કશું રહ્યું છે?’ એમ કહીને પોતાની જાતિવાદી માનસિકતાને સતત ઢાંકવાનો પ્રયત્ન કરતા મનુવાદીઓની આ ચાલને ખૂલ્લી પાડતો એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરા એ જ કહેવાતી ‘સંસ્કારી નગરી’ છે જેણે મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરને પણ તેની જાતિવાદી માનસિકતાથી હેરાન પરેશાન કરીને છેવટે શહેર છોડવા મજબૂર કર્યા હતા. બાબાસાહેબ સાથે જેવું વર્તન આ શહેરના જાતિવાદીઓએ કર્યું હતું એવું જ વર્તન આજે પણ આ શહેરમાં વસતા દલિતો સાથે થઈ રહ્યું છે અને તેનો પુરાવો આ ઘટના છે.
દલિત દંપતીનું પડોશીએ જાહેરમાં અપમાન કર્યું
મામલો વડોદરાના ગોત્રી વિસ્તારનો છે. અહીં એક દલિત દંપતીને તેમની પડોશમાં રહેતા પટેલ દંપતી અને તેમના પુત્રે “તમે નીચી જાતિના છો. તમારી અહીં રહેવાની ઔકાત નથી” એમ કહીને જાતિસૂચક અપશબ્દો બોલીને જાહેરમાં અપમાન કર્યું હતું. આ મામલે દલિત પરિવારે પડોશી સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ ઘટનાની મળતી માહિતી મુજબ, વડોદરાના ગોત્રીમાં રહેતી દલિત મહિલા તથા તેમના પતિને પાડોશમાં રહેતા પટેલ દંપતી અને તેમના પુત્ર વચ્ચે ગંદકી કરવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં માથાભારે પટેલ પરિવારે દલિત પરિવારને જાતિસૂચક ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગોત્રી પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
પડોશી રસ્તા વચ્ચે હિંચકો મૂકી ત્યાં બેસી દારૂ પીતો
વડોદરાના ગોત્રી રોડ પર આવેલા જાનકી ડુપ્લેક્સમાં રહેતા દિવ્યાબેન અશોકભાઈ સોલંકીએ ફરીયાદ નોંધાવી છે કે, તેમની સોસાયટીમા સાત મકાનો આવેલા છે. જેમાં તેમના મકાનની બાજુમા કૌશીક નગીન પટેલ તેમના પત્ની વૃંદાબેન તથા દિકરા માનવ સાથે રહે છે. કૌશિક પટેલ તેમના ડુપ્લેક્ષને અડીને પોતાની કાર પાર્ક કરી દાદાગીરી કરે છે. એટલું જ નહીં, તેઓ રસ્તા વચ્ચે પોતાનો હિંચકો મુકી રાખે છે અને હિંચકાની સાથે કુતરો બાંધેલો હોય છે.

આ પણ વાંચો: પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે?
ઘર બદલી નાખવાની ધમકી આપી
કૌશીકભાઈ આ હીંચકા પર બેસીને ઘણી વાર દારૂ પીને જોર જોરથી અપશબ્દો બોલતા હોય છે. છેલ્લા ચારેક વર્ષથી તેમના આવા વર્તનથી કંટાળીને દિવ્યાબેન તથા તેમના પતિ તેમને સમજાવવા માટે ગયા હતા. જેથી તેઓ દલિત દંપતી પર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને ગાળો બોલી “તમે નીચી જાતીના છો, તમારી અહીંયા રહેવાની શું ઔકાત છે. અહીંથી બીજે રહેવા માટે જતા રહો” તેમ ક્હીને જાહેરમાં જાતિસૂચક અપશબ્દો બોલવા લાગ્યા હતા.
ત્રણ લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ
એટલું જ નહીં, આરોપી કૌશિકભાઈ, તેમના પત્ની વૃંદાબેન અને દીકરા માનવે દિવ્યાબેન તથા તેમના પતિને ધમકી આપી જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા. જેથી દલિત દંપતીએ ગોત્રી પોલીસ સ્ટેશને જઈને કૌશિક પટેલ, તેમના પત્ની વૃંદાબેન અને પુત્ર માનવ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સરકારે શાળા બંધ કરી દેતા રસોઈયા શિક્ષક બની બાળકોને ભણાવે છે!











*કહેવાતાં જાતિવાદી ઓને ભણતર ઘડતર અને સંસ્કાર સાથે કશી લેવાદેવા નથી હોતી અને છેવટે પોતાની જાતિની ઔકાત દેખાદે છે, ભારતની જાતિવાદી માનસિકતાને કારણે વિશ્વનાં અન્ય દેશોમાં જાતિનું મેલું પોટલું લઈને જાય છે…! હવે હદ આવી ગઈ છે!
Bilkul બીલકુલ સાચી વાત છે. મનુવાદીઓ આઝાદીના 79 વર્ષ પછી પણ તેમની જાતિવાદી માનસિકતા ભૂલતા નથી.તેઓ પોતાની જાતને જન્મ થી જ મહાન સમજે છે.પછી ભલેને સાંજના મટન ખાતા હોય અને દારૂ પીતા હોય.દલિતોને 79 વર્ષ પછી પણ જાતિવાદ બાબતે આઝાદી મળી નથી.