રાજકોટમાં ભૂઈમાનો પર્દાફાશ: રાજકોટના નાનામવા રોડ પર આવેલા મેઘમાયાનગરમાં મોટાભાગે દલિત સમાજના લોકોની વસ્તી છે. અહીં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા કરી, જોવાના ધતિંગ કરતી ભુઈમા નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી ભુઈએ લોકોની માફી માંગી કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધ કરવાની જાહેરાત કરવી પડી છે. પોલીસે ભુઈ સામે અટકાયતી પગલા લીધા હતા.
મળતી માહિતી મુજબ વિજ્ઞાન જાથાના કાર્યાલયે ઘણા સમયથી ભુઈ ચકુમાના ધતિંગ સંબંધી માહિતી આપવામાં આવી હતી. થોડા દિવસ પહેલા મેઘમાયાનગરના રહીશો રૂબરૂ આવી ભુઈના કરતુતો સંબંધી માહિતી આપી હતી કે કેવી રીતે ભૂઈમા છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરે છે.
જાગૃત નાગરિકોનું કહેવું હતું કે, આ પરિવારના લોકો મોંઘી કાર, વ્યાજ વટાવ સાથે જમીન સંબંધી કામ કરે છે. દોરા-ધાગા, મંત્ર-તંત્ર, માતાજીનો ખૌફ બતાવી ડરાવી-ધમકાવી રૂપિયા પડાવે છે. અમાસ, ભારે દિવસો, કાળી ચૌદશે કાળા કપડા પહેરી લોકોને ડરાવે છે. લીંબુ-મરચા, લોટના પૂતળા, ઉતારની વિધિ કરી ગમે તેના આંગણે ફેંકી ડરાવે છે. ધનોતપનોત, ખરાબ વાણી બોલી વારંવાર ધમકાવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચોઃ મંદિર માટે બે સાધુઓ બાખડ્યા, અંતે બંનેને બાબાસાહેબનું બંધારણ યાદ આવ્યું!
ચાર ચોકમાં વિધિ-વિધાન કરાવી મોટી રકમ પડાવે છે. અંદરોઅંદર ઝઘડાઓ કરાવવા, ખોટા નામો આપી શંકા-કુશંકા કરાવી સંસાર તોડવાનું કામ કરે છે. ઉંચા વ્યાજે નાણાનો ધીરધાર કરી સોનાના દાગીના પડાવે છે. વ્યાજે આપેલા નાણામાંથી મકાન, મિલ્કતની ખરીદી કરે છે. ભૂઈનો પતિ સાયકલ ઉપર કેમીકલ વેચવા જાય છે. ઘર પાસે ઝથડાઓ રોજિંદા બની ગયા છે. ભુઈના ત્રાસ સંબંધી હકિકત આપવામાં આવી હતી. જાથાના જયંત પંડયાએ ભૂઈના મઢે પહોંચી પરિચય આપી દોરા-ધાગાના ધતિંગ કાયમી બંધ કરાવવા આવ્યા છીએ.
શરૂઆતમાં ભુઈમાએ તાડુકીને અમે દોરા-ધાગા કરતા નથી, તેના પતિ દિનેશભાઈ સુર પુરાવતા જાથાએ ધતિંગની વિડીયો કલીપ બતાવી ભૂઈ અને તેનો પરિવાર ટાઢો પડ્યો હતો. દિકરો ઉંચેથી બોલવાનું શરૂ કરતાં પોલીસે કાયદાની ભાષામાં સમજાવતા શરણાગતી સ્વીકારી લીધી. ધતિંગ સંબંધી કબૂલાત આપી દીધી. રૂપિયા લીધા હતા તે પરત આપી દીધા. મઢમાં ભુઈ પરિવારે કાયમી બંધની જાહેરાત કરતાં પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું હતું. આ રીતે દલિત સમાજને ડરાવીને પોતાનો ધંધો સેટ કરીને મોજ કરતા ભૂઈમાના ત્રાસથી લોકોને રાહત થઈ હતી.
તે દરમ્યાન પડોશમાં રહેતી મહિલાએ મોટેમોટેથી બોલી ભુઈના કારસ્તાન ખોલી નાખ્યા. વ્યાજ વટાવનો ધંધો, રવિવારે-મંગળવારે જોવે છે, વિધિની વસ્તુ આંગણામાં ફેંકે છે, હેરાન પરેશાનની હકિકત બધા વચ્ચે મુકી દીધી. લતાવાસીઓ ભેગા થઈ ગયા. એકપણ રહીશે ભુઈની તરફદારી કરી ન હતી. પોલીસ વાનમાં ભુઈને પોલીસ સ્ટેશને પહોંચાડી દીધા હતા.
આ પણ વાંચોઃ ગાદલવાડામાં પોલીસ સુરક્ષા વચ્ચે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો