થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઠાકોર સમાજના એકપણ કલાકારોને ન બોલાવવામાં આવતા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. વિક્રમ ઠાકોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આ મામલે ઠાકોર સમાજની બાકબાદી કરવામાં આવતા ભેદભાવનો આક્ષેપ કરતા હોય તેમ જણાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગે ભાજપના સાંસ્કૃતિક સેલ સાથે જોડાયેલા ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે.
– કલાકારોને ‘આમંત્રણ’ વિવાદમાં વિક્રમ ઠાકોર નારાજ!
– વિધાનસભામાં આમંત્રણ ન મળતાં વિક્રમ ઠાકોર વિફર્યા
– ઠાકોર-ક્ષત્રિય કલાકારોને જ આમંત્રણ કેમ નહીંઃ વિક્રમ ઠાકોર #VikramThakor #EmotionalMoment #GujaratiCinema #TrueEmotions #HeartTouching #GujaratFirst pic.twitter.com/WJ5SO86Akq— Gujarat First (@GujaratFirst) March 13, 2025
વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. સરકારને હું બસ એટલી જ વિનંતી કરવા માંગું છું કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, તમે અમારા કલાકારોનું આટલું સન્માન કર્યું તેના માટે હું અભિનંદન પાઠવું છું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યાં છો.’
વિક્રમ ઠાકોરની નારજગી પર રાજભા ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. રાજભાએ જણાવ્યું કે, ‘કલાકારોનો કોઈ સમાજ હોતો નથી. તમામ કલાકારો એક જ હોય છે. આ બાબતે કોઈ વિવાદ ન થવો જોઈએ.’
બીજી તરફ વિક્રમ ઠાકરોની નારાજગી પર ભાજપના સાંસ્કૃતિક સેલે પણ સ્પષ્ટતા કરીને કહ્યું છે કે ‘આ કોઈ સરકારનો કાર્યક્રમ નહોતો અને વ્યક્તિગત સબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.’ આ મામલામાં અસલી કારણ ભલે ગમે તે હોય, પરંતુ વિધાનસભાની કાર્યવાહીમાં ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવાતા આ સમાજ અને તેના કલાકારો સાથે ભેદભાવ થઈ રહ્યો હોવાના આક્ષેપોને હવા ચોક્કસ મળી છે.
આ પણ વાંચો: ભીમ આર્મીએ 15 દિવસ બાદ મથુરાની બંને દીકરીઓના લગ્ન કરાવ્યા