કોઈ વિદ્વાને કહ્યું હતું કે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બંધારણીય રીતે ગમે તેટલી મજબૂત હોય તો પણ તેનો અમલ કરનારા નબળાં હશે તો ન્યાયની અપેક્ષા ધૂંધળી બની જાય છે. આ ભય ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના કેસોમાં અનેકવાર સાચી પડતી આપણે જોઈએ છે. જાતિવાદથી ખદબદતા આ દેશમાં ન્યાયતંત્ર પર મોટાભાગે વર્ચસ્વ ધરાવતી જાતિઓનો દબદબો જોવા મળે છે. પરિણામે એસસી, એસટી, ઓબીસી કે લઘુમતી સમાજની
કોઈ વ્યક્તિ પર જ્યારે પણ અત્યાચાર થાય છે ત્યારે એક કોમન ફરિયાદ એ ઉઠતી રહે છે કે, પોલીસ તેમની ફરિયાદ જ નથી લઈ રહી. જો તમારી આજુબાજુમાં પણ આવું બનતું હોય જણાય તો નીચે મુજબનાં પગલાં લઈ શકો છો.
આ પણ વાંચો: આઝાદીમાં મુસ્લિમો: ‘જય હિંદ’થી ‘સારે જહાઁ સે અચ્છા’ સુધી..
1. ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરો:
એફઆઈઆર નોંધવા માટે પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ (SHO)નો સંપર્ક કરો. જો એસએચઓ પણ એફઆઈઆર (FIR) નોંધતા નથી અથવા એફઆઈઆર નોંધવામાં આનાકાની કરે છે, તો પછી તમારા જિલ્લા/શહેરના પોલીસ અધિક્ષક (SP)/પોલીસ કમિશનર (CP) અથવા ડીઆઈજી (DIG) / આઈજી (IG) ને લેખિત ફરિયાદ આપો.
2. ઓનલાઇન FIR નોંધાવો:
ઘણા રાજ્યોમાં ઓનલાઈન FIR નોંધાવવાની સુવિધા છે. તેથી, સંબંધિત રાજ્યની પોલીસ વેબસાઇટની મુલાકાત લો અને ઓનલાઈન ફરિયાદ નોંધાવો. ઉપરાંત, કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રી કાર્યાલયે ફરિયાદો નોંધાવવા માટે એક પોર્ટલ પણ બનાવ્યું છે (જેમ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જનસુનવાઈ પોર્ટલ). તમે ઉપરોક્ત પોર્ટલ પર પોલીસ દ્વારા FIR નોંધવામાં ન આવવાની ફરિયાદ પણ કરી શકો છો.
3. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અરજી કરો:
જો પોલીસ FIR નોંધતી નથી, તો તમે તમારા વકીલ દ્વારા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અરજી સબમિટ કરી શકો છો અને માનનીય કોર્ટને FIR નોંધવા માટે વિનંતી કરી શકો છો. ધ્યાનમાં રહે કે મેજિસ્ટ્રેટ પોલીસને FIR નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપી શકે છે.
4. માનવ અધિકાર આયોગ અથવા લોકાયુક્તને ફરિયાદ:
જો મામલો ગંભીર હોય અને પોલીસ પક્ષપાતી વલણ અપનાવી રહી હોય, તો તમે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) અથવા લોકાયુક્તમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.
5. હાઈકોર્ટમાં અરજી દાખલ કરો:
જો કોઈ ઉકેલ કામ ન કરે, તો તમે હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી શકો છો, જેથી પોલીસને FIR નોંધવાનો આદેશ આપી શકાય.
6. મીડિયા અને સોશિયલ મીડિયાની મદદ લો:
ઘણી વખત જ્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે, ત્યારે પોલીસ એક્શનમાં આવે છે અને FIR નોંધે છે. એટલે આજના જમાનામાં મીડિયા અને સોશિયલ મીડિયા પણ એક કારગત નીવડી શકે.
લેખક: હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને સ્વતંત્ર પત્રકાર છે.)
આ પણ વાંચો: Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા