ભારત 26 જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાક (Republic Day) બન્યું. રાજાઓની સત્તા નાબૂદ કરવામાં આવી પરંતુ આજે 76માં પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હી ખાતે થયેલી ઉજવણીમાં કેરળના એક એવા આદિવાસી રાજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમની પાસે ખરેખર કોઈ રાજ્ય જ નથી. વાત છે કેરળના Raman Rajamannan ની છે. તેઓ આદિવાસી સમાજના રાજા છે. આશ્ચર્યની વાત એ છે કે તેઓ એક એવા રાજા છે જેમની પાસે કો ઈ રાજ્ય નથી. એટલું જ નહીં, તેમની પાસે કોઈ મહેલ કે પોતાનું કોઈ વાહન પણ નથી. તેઓ એક સાદા ઘરમાં રહે છે અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાજાનું નામ છે, રાજમનન.
Read Also: 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?

કેરળના આદિવાસી રાજા રમણ રાજમનને (Raman Rajamannan) તેમની પત્ની બિનુમોલ સાથે 26 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. કેરળ સરકારમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગના મંત્રી ઓ.આર. કેલુએ આ માહિતી આપી છે.
રમણ રાજમનન એક રાજા છે. તેઓ રાજાની જેમ એક મુગટ પણ પહેરે છે, જેને ‘થલાપાવ’ કહેવામાં આવે છે. પણ તેમનું કોઈ રાજ્ય નથી. તેઓ એક સાદા ઘરમાં રહે છે. 39 વર્ષના રમન રાજમનનને આજથી લગભગ 12 વર્ષ પહેલાં આર્યન રાજમનનના મૃત્યુ પછી મન્નન જાતિના રાજા બનાવવામાં આવ્યા હતા. તેઓ અર્થશાસ્ત્રમાં સ્નાતક છે અને ઇડુક્કી જિલ્લામાં એક નાની આદિવાસી વસાહત કોઝિમાલામાં રહે છે.
તેમની પાસે કોઈ મહેલ કે શાહી સવારી નથી. તે પોતાના સમાજના સભ્યો પાસેથી કર પણ વસૂલતા નથી. જોકે, ખાસ તહેવારો દરમિયાન તેઓ પોતાના તરફથી યોગદાન આપે છે. રમન એક સામાન્ય ખેડૂતની જેમ જીવે છે અને સાદા કોંક્રિટના ઘરમાં રહે છે. તેઓ પોતાના પરિવાર સાથે ગામમાં એક મંદિર પણ ચલાવે છે.
ચાર ઉપરાજાઓ અને 50 સભ્યોની મંત્રી પરિષદ
નાગરિક સમાજમાં રાજાને કોઈ અધિકારો કે ફરજો નથી. પરંતુ તે ચાર ઉપ-રાજા (ડેપ્યુટીઓ) એક ઇલૈયારાજા (રાજકુમાર) અને 50 સભ્યોની મંત્રી પરિષદની મદદથી સમાજના કામકાજનું ધ્યાન રાખે છે. મંત્રી પરિષદને કાની તરીકે ઓળખવામાં આવે છે.
આ કાઉન્સિલ વર્ષમાં ત્રણથી ચાર વખત મળે છે અને મન્નાન સમાજની આંતરિક બાબતોની ચર્ચા કરે છે. ચાર નાયબ રાજાઓ ચાર અલગ અલગ સ્થળોએ તૈનાત છે. મન્નાન સમાજની કુલ ૪૬ વસાહતો છે. દરેક વસાહતમાં ૧૩ સભ્યોની સમિતિ હોય છે, જે સ્થાનિક બાબતોનું ધ્યાન રાખે છે. રાજા રમણ આ સમગ્ર વહીવટી વ્યવસ્થામાં ટોચ પર છે.

મન્નાન આદિવાસી સમાજનો સંઘર્ષ
આજે મન્નાન આદિવાસી સમાજની સંખ્યા લગભગ 3 હજાર છે અને તે ઇડુક્કી જિલ્લાની 46 વસાહતોમાં ફેલાયેલો છે. આ સમાજનું મૂળ તમિલનાડુ હોવાનું માનવામાં આવે છે. ચોલ અને પાંડ્યા રાજાઓ વચ્ચેના લોહિયાળ સંઘર્ષ દરમિયાન તેમના પૂર્વજોને ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી. તેમને ઇડુક્કીના ગાઢ જંગલોમાં સલામત સ્થાન મળ્યું. જ્યાં તેમણે પોતાનું નાનું રાજ્ય સ્થાપ્યું.
મહિલાઓ થકી વંશ અને વારસો ઓળખાય છે.
મન્નાન આદિવાસી સમાજમાં લગભગ 36 પેટાજાતિઓ છે. પહેલા તેઓ જંગલમાં રહેતા હતા. પરંતુ આજે આ સમુદાયના મોટાભાગના લોકો ખેડૂત અથવા દૈનિક મજૂર તરીકે કામ કરે છે. કેટલાક લોકો સરકારી નોકરીમાં પણ છે. તેમાંથી મોટાભાગના લોકો વન વિભાગમાં ચોકીદાર તરીકે કામ કરે છે. આ સમાજના બાળકો હવે નિયમિતપણે શાળાએ જાય છે. અને તેમના સમાજની બહાર લગ્ન સામાન્ય બની ગયા છે. મન્નાન સમાજ માતૃસત્તાક પ્રણાલીને અનુસરે છે. સમાજમાં વંશ અને વારસો પરિવારની સ્ત્રીઓ થકી ઓળખાય છે.
Read Also: કુશીયારીની Green Army : ધોકે નારી નહીં, નર પાંસરા…