New CJI Justice BR Gavai: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના મંગળવારે છ મહિનાનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થયા. તેમના સ્થાને જસ્ટિસ બીઆર ગવઈ(Justice BR Gavai) બુધવારે નવા CJI તરીકે શપથ લેશે. જસ્ટિસ ગવઈ દલિત સમાજમાંથી આવતા દેશના માત્ર બીજા મુખ્ય ન્યાયાધીશ છે.
૨૪ નવેમ્બર ૧૯૬૦ના રોજ જન્મેલા જસ્ટિસ ભૂષણ ગવઈ(Justice BR Gavai) ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમના પિતા રામકૃષ્ણ સૂર્યભાન ગવઈ (૧૯૨૯-૨૦૧૫) જેમને તેમના અનુયાયીઓ અને પ્રશંસકો “દાદાસાહેબ” તરીકે ઓળખતા હતા, તેઓ એક પ્રખ્યાત આંબેડકરવાદી નેતા અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા- RPI (ગવઈ) ના સ્થાપક હતા. અમરાવતીન લોકસભાના સાંસદ રહેલા રામકૃષ્ણ ગવઈએ 2006 થી 2011 દરમિયાન બિહાર, સિક્કિમ અને કેરળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તામાં હતી.
નાનપણથી જ સમાજસેવાના બીજ રોપાયા
જસ્ટિસ બી.આર. ગવઈ બાળપણથી જ સમાજ સેવાના વાતાવરણમાં ઘડાયેલા હતા. નાનપણમાં તેમના પિતા સામાજિક કાર્યોને કારણે લાંબા સમય સુધી ઘરથી દૂર રહેતા હોવાથી તેમની માતાને ડર હતો કે તેમના બાળકો પણ રાજકારણીઓના બાળકોની જેમ ભટકી જશે. તેમની માતા, કમલતાઈએ સંપૂર્ણ જવાબદારી લીધી અને નાનકડા ગવઈને ઘરકામમાં મદદ કરવાની ટેવ પાડી – રસોઈ, વાસણ ધોવા, ભોજન પીરસવાનું, ખેતરોમાં કામ કરવાનું અને મોડી રાત્રે બોરવેલમાંથી પાણી કાઢવાનું શીખવ્યું.
આ પણ વાંચો: એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં
કહે છે, પરિવારમાં સૌથી મોટા હોવાથી તે પહેલેથી જ એક પરિપક્વ બાળક હતા. ૧૯૭૧ ના બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં, સૈનિકો તેમના નાના ઘરમાં ભોજન લેતા હતા અને તે સમયે પણ નાનકડા ભૂષણ તેમની માતાને મદદ કરતા હતા.
ઝૂંપડપટ્ટીથી સુપ્રીમ કોર્ટ સુધીની સફર
જસ્ટિસ ગવઈએ તેમનું બાળપણ અમરાવતીની ફ્રીઝરપુરા ઝૂંપડપટ્ટીમાં વિતાવ્યું હતું, જ્યાં તેમણે ધોરણ 7 સુધી મ્યુનિસિપલ મરાઠી શાળામાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈ, નાગપુર અને અમરાવતીમાં શિક્ષણ મેળવ્યું. અમરાવતી સ્થિત ઉદ્યોગપતિ રૂપચંદ ખંડેલવાલ, જે તેમના પાડોશી અને સહાધ્યાયી હતા તેઓ કહે છે કે તે સમયે તેમની પાસે એક નાની ઝૂંપડી હતી, જે બાદમાં સુધારીને પરિવારે વેચી દેવી પડી હતી.
સરકારી પ્રતિનિધિત્વની શરૂઆત
બી.કોમ પૂર્ણ કર્યા પછી ભૂષણ ગવઈએ અમરાવતી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો અને 1985 માં 25 વર્ષની ઉંમરે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. મુંબઈ અને અમરાવતીમાં શરૂઆતના કાર્યકાળ પછી તેઓ નાગપુર ગયા, જ્યાં બોમ્બે હાઈકોર્ટની બેન્ચ છે. ત્યાં તેમણે સરકારનું પ્રતિનિધિત્વ વધારાના સરકારી વકીલ (ફોજદારી કેસોમાં) અને બાદમાં સરકારી વકીલ (દિવાની કેસોમાં) તરીકે કર્યું.
આ પણ વાંચો: જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત – જસ્ટિસ પ્રસન્ના
સ્વતંત્ર વિચારધારા ધરાવતા વકીલ તરીકે તેમણે સરકારી વકીલની ભૂમિકા એ શરતે સ્વીકારી હતી કે તેઓ પોતાની ટીમની પસંદગી જાતે કરશે. તેમના પસંદ કરાયેલા બે સહાયક વકીલો જસ્ટિસ ભારતી ડાંગરે અને અનિલ એસ. કિલોર આગળ જતા બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા.
ન્યાયાધીશના પદ પર નિયુક્તિની સફર
2001 માં જસ્ટિસ ગવઈને હાઇકોર્ટમાં ન્યાયાધીશ બનવાની ઓફર મળી પરંતુ આ પ્રક્રિયામાં બે વર્ષથી વધુ સમય લાગ્યો. આ વિલંબથી હતાશ થઈને તેઓ પોતાની સહમતિ પાછી ખેંચી લેવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તેમના પિતાએ તેમને આમ ન કરવાની સલાહ આપી. આખરે તેઓ 2003 માં બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ બન્યા અને 2005 માં તેમને કાયમી નિમણૂક મળી. 2015 માં, તેમણે તેમના બીમાર પિતાની સંભાળ રાખવા માટે મુંબઈથી નાગપુર બેન્ચમાં ટ્રાન્સફરની માંગ કરી. જુલાઈ 2015 માં તેમના પિતાનું અવસાન થયું.
એક વર્ષ સુધી કાર વેચી ટુ વ્હિલર પર કોર્ટમાં ગયા
અમરાવતી અને નાગપુર બારના વકીલો જસ્ટિસ ગવઈના લોકો સાથેના જોડાણની પ્રશંસા કરે છે. જસ્ટિસ નીતિન ડબલ્યુ. સામ્બ્રે કહે છે કે, તેઓ સામાન્ય માણસની સમસ્યાઓ સમજે છે. પૈસા તેમના માટે પ્રાથમિકતા નહોતા. જ્યારે તેઓ વકીલ હતા ત્યારે પણ તેમનું ૫૦-૬૦% કામ મફત રહેતું હતું. એકવાર, જ્યારે તેમની પાસે ઘર ખરીદવા માટે પૈસા ખૂટ્યાં ત્યારે તેમણે પોતાની કાર વેચી દીધી અને એક વર્ષ સુધી ટુ-વ્હીલર પર કોર્ટમાં ગયા હતા.
CJI તરીકે કાર્યકાળ પડકારજનક રહેશે
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકેના છ મહિનાના ટૂંકા કાર્યકાળમાં જસ્ટિસ ગવઈને ગંભીર પડકારોનો સામનો કરવો પડશે. આજે દેશના ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાઈકોર્ટના બે ન્યાયાધીશો – અલ્હાબાદના ન્યાયાધીશ શેખર યાદવ (વીએચપીના કાર્યક્રમમાં દેશ બહુમતીના નિર્ણય પર ચાલશે કહેનાર) અને દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ યશવંત વર્મા (આગ લાગ્યા બાદ તેમના ઘરમાંથી કરોડોની બિનહિસાબી રોકડ મળી આવી હતી) સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ થઈ શકે છે.
CJI તરીકે જસ્ટિસ બી.આર. ગવઈ 15 મેના રોજ વક્ફ કાયદામાં કરવામાં આવેલા વિવાદાસ્પદ સુધારાઓને પડકારતા એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી કરશે. ખુદ જસ્ટિસ ગવઈ સામે દેશનો એસસી-એસટી સમાજ નારાજ છે, કેમ કે તેમણે એસસી-એસટી અનામતમાં ક્રિમીલેયર દાખલ કરવાનો અને તેમાં પેટા વર્ગીકરણ કરવાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જોતા દેશના બીજા દલિત મુખ્ય ન્યાયધીશ તરીકે જસ્ટિસ બી.આર.ગવઈનો કાર્યકાળ પડકારજનક રહેશે.
આ પણ વાંચો: દલિતવાસ પર હુમલામાં 27 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ