બોલીવૂડની ફિલ્મોમાં હીરો દલિત કે OBC કેમ નથી હોતો?

લાંબા સમય બાદ Phule ફિલ્મ આવી છે જેના હીરો OBC છે. સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં દલિત-OBC હીરોનો રિવાજ નથી. તમને ખબર છે શું કામ આવું છે?
dalit obc hero

અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ Phule 19મી સદીના મહાન સમાજ સુધારકો જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સામાજિક સંઘર્ષની વાત રજૂ કરે છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી અને પત્રલેખાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. મરાઠી સમાજના ફૂલે દંપતી ઓબીસી સમાજમાંથી આવતા હતા અને તેમણે સમાજના વંચિત વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઘણા મહાન કાર્યો કર્યા હતા. તેમણે દલિતોના ઉત્થાન માટે શિક્ષણને સૌથી મહત્વપૂર્ણ શસ્ત્ર બનાવ્યું હતું. આમ, ફૂલે એક એવી ફિલ્મ છે જેનો હીરો ઉચ્ચ જાતિનો નથી. જો આપણે નજીકથી અવલોકન કરીએ તો, ખ્યાલ આવશે કે બોલીવૂડની મોટાભાગની મુખ્યધારાની ફિલ્મોમાં સામાન્ય રીતે હીરો દલિત કે ઓબીસી સમાજનો નથી હોતો. આવી કેટલીક અપવાદરૂપ ફિલ્મો છે, તેની પણ અહીં ચર્ચા કરીશું.

સામાન્ય રીતે તમે મુખ્યધારાની કોઈપણ બોલીવૂડ ફિલ્મ જોશો તો તમને તેમાં હીરોના નામની પાછળ રાઠોડ, ચૌહાણ, પાંડે, શર્મા, સિંહ, ચતુર્વેદી, વર્મા, સિંઘાનિયા, કપૂર, ખન્ના, શ્રીવાસ્તવ, મલ્હોત્રા, વાજપેયી, ઠાકુર, લાલા, રાય સાહેબ અથવા રાયચંદ જેવી અટકો જોવા મળશે. આ સંદર્ભમાં, ફૂલે એક અલગ મિજાજની ફિલ્મ બની જાય છે. જોકે, આ ફિલ્મ પ્રોડક્શન, દિગ્દર્શન અને અભિનયની કસોટી પર કેટલી ખરી ઉતરી છે તે જોવા માટે થિયેટરમાં જવું જરૂરી છે. આ ફિલ્મને કેટલા દર્શકો મળે છે તે જોવું રસપ્રદ રહેશે, પણ એમાં કોઈ શંકા નથી કે ફુલેએ મુખ્યધારાની ફિલ્મોમાં ચાલતા જાતિવાદને બરાબરની ટક્કર આપી છે.

આ પણ વાંચો: સેન્સર બોર્ડ ‘Phule’ ફિલ્મના મૂળ હેતુને મારી નાખવા માંગે છે?

નોંધનીય બાબત એ છે કે દેશની ચૂંટણીની રાજનીતિ હોય કે સત્તાની રાજનીતિ, દરેકમાં દલિત-ઓબીસી એક ગંભીર મુદ્દો છે. વાસ્તવિક જીવનમાં પણ ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો, પટકથા લેખકો અથવા ટેકનિશિયનો વિવિધ જાતિ અને ધર્મના લોકો હોય છે, પરંતુ જ્યારે કોઈ વાર્તાને ફિલ્મી પડદે ઉતારવાની વાત આવે છે ત્યારે તેનો મુખ્ય હીરો ભાગ્યે જ દલિત અથવા OBC વર્ગનો હોય છે. હા કેટલાક સાઈડ કેરેક્ટર્સ જરૂર આ વર્ગના હોય છે. સવાલ એ છે કે આખરે આવું કેમ થાય છે? સિનેમાના પડદા પર દેખાડવામાં આવતી વાર્તાઓના હીરો હંમેશા કથિત ઉચ્ચ જાતિના જ કેમ હોય છે? એ આધારે ફૂલેએ ફરી એકવાર ફિલ્મ ઉદ્યોગને એક નવો ચીલો ચાતરી આપ્યો છે.

જો કે, અગાઉ આવી ઘણી ફિલ્મો બની છે જેના હીરો દલિત અથવા ઓબીસી વર્ગના રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા ખૂબ ઓછી છે. અનુભવ સિંહાની ફિલ્મ ‘ભીડ’નો નાયક નાયક એક હાંસિયામાં ધકેલાઈ ગયેલી સમાજની વ્યક્તિ હતો, જે મસાન ફિલ્મના દલિત હીરોની જેમ એક ઉચ્ચ જાતિની છોકરીના પ્રેમમાં પડે છે.

આ પણ વાંચો: મારી માં મને કહેતી, “તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો..”

‘ફુલે’ ફિલ્મની જેમ બાયોપિક કેટેગરીમાં વર્ષ 2015 માં ‘માંઝી ધ માઉન્ટેન મેન’ અને 2022 માં ‘ઝુંડ’ જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના હીરોને મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા હતા. કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘માંઝી’ દશરથ માંઝીના જીવન પર આધારિત હતી, જેમણે પોતાની પત્નીના પ્રેમ માટે પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો. ‘ઝુંડ’ વિજય બરસેની વાર્તા હતી, જેમણે નાગપુરની ઝૂંપડપટ્ટીના બાળકો માટે સ્લમ સોકર નામની સંસ્થા બનાવીને ફૂટબોલ ટીમ બનાવી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીએ દશરથ માઝીની ભૂમિકા ભજવી હતી જ્યારે ‘ઝુંડ’માં બિજય બરસેની ભૂમિકા અમિતાભ બચ્ચને ભજવી હતી. ‘ઝુંડ’નું નિર્દેશન નાગરાજ મંજુલેએ કર્યું હતું. આ સંદર્ભમાં, જગ મુંધરાની ‘બવંડર’ અને શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ને ક્યાંથી ભૂલાય?

પરંતુ આપણે મુખ્યધારાની ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ જે સામાન્ય રીતે બોક્સ ઓફિસ પર તેમની જંગી વ્યાપારી સફળતા માટે જાણીતી છે. જો આપણે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણને ૧૯૭૦માં તપન સિંહાના નિર્દેશનમાં બનેલી દિલીપકુમાર અભિનીત ‘સગીના મહતો’, ૧૯૭૩માં આવેલી નૂતન અને અમિતાભ બચ્ચન અભિનીત ‘સૌદાગર’ અને ૧૯૮૪માં રાજેશ ખન્ના અભિનીત ‘આજ કા એમએલએ રામ અવતારની યાદ આવે છે. આ દ્રષ્ટિકોણથી આ બંને ફિલ્મો અપવાદ છે. ફિલ્મ ‘આજ કા MLA રામ અવતાર’માં રાજેશ ખન્નાએ ભજવેલું રામ અવતારનું પાત્ર વાળંદ જાતિનું છે. તેવી જ રીતે, 2009 માં પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘બિલ્લુ’માં ઇરફાન ખાનનું પાત્ર ફરી એકવાર વાળંદ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: ‘રાહુલ ગાંધીના હાથમાં બંધારણ, બગલમાં છરી છે’- પી.એલ.રાઠોડ

હવે ચાલો જાણીએ કે આ પાછળનું કારણ શું છે? એક સમય હતો જ્યારે ફિલ્મોમાં દલિત-ઓબીસી હીરોની ગેરહાજરીનું કારણ સવર્ણ જાતિના દર્શકોની બહુમતી સાથે જોડાયેલું હતું. ધારણા એવી હતી કે, પૈસા ખર્ચીને ટિકિટ ખરીદનારા મોટાભાગના દર્શકો શ્રીમંત અને સવર્ણ જાતિના હોય છે, તેથી સામાજિક રીતે નીચલા વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હીરો ધરાવતી ફિલ્મો બિઝનેસ નહીં કરી શકે. આ સિવાય ફિલ્મલાઈનમાં રહેલા મોટાભાગના લોકો પણ આ જ કથિત સવર્ણ જાતિમાંથી આવતા હોવાથી તેઓ પોતાની જ જ્ઞાતિ-જાતિની વાતોને ફિલ્મી પડદે લાવતા રહ્યા હતા. ધીરેધીરે આ આખી સિસ્ટમ એટલી હદે જાતિવાદી બની ગઈ કે ચોક્કસ જાતિના લોકો સિવાયની વ્યક્તિ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવાનું લગભગ અશક્ય બની ગયું. આજે પણ તમે મુખ્યધારાની બોલીવૂડ ફિલ્મોની અટક પર નજર નાખશો તો તમને સમજાઈ જશે કે, કહેવાતું સેક્યુલર બોલીવૂડ ખરેખર કેટલું સેક્યુલર છે.

દિલીપ કુમાર અને રાજેશ ખન્નાના કાળમાં પૈસો માત્ર સવર્ણ જાતિઓ પાસે હતો, કેમ કે, ગામડાઓની ખેતીની જમીનથી લઈને શહેરોના ધંધા-રોજગાર સહિતનું બધું તેમના નિયંત્રણમાં હતું. પણ ધીરેધીરે સમય બદલાયો, દલિત-ઓબીસી વર્ગના લોકો પણ ફૂલે, આંબેડકરે ચીંધેલા રસ્તે શિક્ષિત થયા અને આર્થિક-સામાજિક રીતે સદ્ધર થયા. તેથી સવર્ણોની જેમ આ વર્ગના લોકો પણ થિયેટરોની ટિકિટ ખરીદતા થયા. આજના સમયમાં દલિત-આદિવાસી-ઓબીસી સમાજ પહેલાની સરખામણીમાં પૈસા ખર્ચીને ફિલ્મો જોવા માટે ટિકિટ ખરીદી શકવા વધુ સક્ષમ છે.

તેમ છતાં બોલીવૂડમાં સ્થાપિત થઈ ચૂકેલા સવર્ણ નિર્માતાઓ, લેખકો, અભિનેતા સહિતના લોકો મનુવાદી માનસિકતાથી ગ્રસ્ત હોઈ તેઓ દલિત-ઓબીસી હીરો આધારિત ફિલ્મોની કલ્પના પણ કરી શકતા નથી. તેઓ હજુ પણ પોતાની જાતિના લોકો આસપાસની જ ફિલ્મો બનાવે છે. તેમના મતે નાયક એટલે માત્ર પોતાની જાતિની જ વ્યક્તિ. આવી સંકુચિત માનસિકતા ધરાવતા લોકોને કારણે કળાનું આ મજબૂત માધ્યમ ચોક્કસ જાતિના લોકોની મોનોપોલી બનીને રહી ગયું છે, જ્યાં દલિત-ઓબીસી હીરોની કાલ્પનિક વાર્તાને પણ સ્થાન નથી. આટલું વાંચ્યા-સમજ્યા પછી તમને સમજાઈ ગયું હશે કે, બોલીવૂડની મોટાભાગની મુખ્યધારાની ફિલ્મોમાં દલિત-OBC હીરો કેમ નથી હોતા.

આ પણ વાંચો: અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
3 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પેઈન્ટર પીટીભાઈ
પેઈન્ટર પીટીભાઈ
1 month ago

આપના મતે વાત બરાબર છે પણ…
ગુજરાતી ફિલ્મ માં આ વાત બંધ નથી બેસતી
અહી નરેશ કનોડિયા એ એક દલિત હોવા છતાં ધૂમ મચાવેલી.. એ પણ ત્યારે બધાં કલાકાર બ્રામણ હતાં.
અને હવે તો હીરો, ગાયક ઘણાં બધાં દલિત છે…
બોલિવૂડમાં પણ એક દિવસ આવશે…

Bharat Devmani
Bharat Devmani
1 month ago

આપની વાતમાં સંપૂર્ણ સત્ય નથી. નરેશ કનોડિયા હોય કે પછી વિક્રમ ઠાકોર હોય દલિતો અને પછાત વર્ગો એ જ તેમને વધાવ્યા છે. સિંગલ થિયેટરની ફિલ્મોમાં ગામડાઓમાં મોટાભાગે દલિતો અને પછાત વર્ગો એ તેમની ફિલ્મોને ફાઉસફુલ કરી છે. કહેવાતી અર્બન ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયાની કે વિક્રમ ઠાકોરની ફિલ્મો ચાલી નહોતી કારણકે તેમાં વધુ પૈસા ખર્ચીને આવનારા પ્રેક્ષકો કહેવાતી સવર્ણ જાતિઓના હોય છે. એટલે જ મલ્હાર ઠાકર શહેરોમાં ચાલે છે વિક્રમ ઠાકોર નહીં. રહી વાત મહેશ-નરેશ કનોડિયાની તો તેમણે ભાજપ જોઇન કર્યું એ પછી સવર્ણ મીડિયાએ તેમ ના ઇન્ટરવ્યૂ લેવા માંડ્યા અને પબ્લિસિટી આપી. બેશક આ બંને ભાઇઓ ઉમદા કલાકારો હતા પણ કહેવાતા સવર્ણોમાં અંદરખાને જરાયે પ્રેમ નહોતો તે હકીકત છે.

બાબુ સોલંકી
બાબુ સોલંકી
1 day ago
Reply to  Bharat Devmani

હિન્દી,ગુજરાતી અનેક ફિલ્મોમાં તથા સિરિયલોમા એસ.સી.ના અનેક કલાકારો છે.પૂરતી જાણકારી વિના બ્રાહ્મક વાતો ફેલાવવી યોગ્ય નથી…

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
3
0
Would love your thoughts, please comment.x
()
x