ડૉ.આંબેડકરે ‘મનુસ્મૃતિ’ને મહિલાઓ માટે ક્રૂર ગ્રંથ કેમ કહ્યો હતો?

બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ કેમ સળગાવી? વાંચો, સ્ત્રી સ્વતંત્રતા, અધિકારો અને મનુસ્મૃતિના વિવાદાસ્પદ શ્લોકોનું ઊંડું વિશ્લેષણ કરતો આ લેખ.
Manusmriti

ભારતીય ઇતિહાસ અને ધર્મશાસ્ત્રોમાં ‘મનુસ્મૃતિ’ એક એવો ગ્રંથ રહ્યો છે જે હંમેશા વિવાદોના કેન્દ્રમાં રહ્યો છે. ખાસ કરીને દલિતો અને સ્ત્રીઓના અધિકારોના સંદર્ભમાં આ ગ્રંથ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર જાતિવાદ અને ભેદભાવના પ્રખર વિરોધી હતા. તેમણે 25 ડિસેમ્બર 1927ના રોજ સાર્વજનિક રીતે મનુસ્મૃતિનું દહન કરીને હિન્દુ ધર્મના આચરણના આ નિયમો સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બાબા સાહેબના મતે, મનુસ્મૃતિ માત્ર શૂદ્રોના જ વિરોધમાં નથી, પરંતુ તે સ્ત્રીઓને શૂદ્રો કરતા પણ નીચેનો દરજ્જો આપે છે.

બાબા સાહેબનો વિરોધ અને ઐતિહાસિક સંદર્ભ

બાબા સાહેબે મનુસ્મૃતિનો અભ્યાસ કર્યા બાદ તારણ કાઢ્યું હતું કે આ ગ્રંથ મુજબ મહિલાઓ માત્ર ભોગ-વિલાસ અને વંશ વધારવાનું સાધન માત્ર છે. તેમને ન તો અવાજ ઉઠાવવાનો અધિકાર છે, ન તો મુક્તપણે જીવવાની આઝાદી. આજના આધુનિક યુગમાં પણ જ્યારે સ્ત્રીઓના વિકાસ આડે સામાજિક અવરોધો આવે છે, ત્યારે તેની પાછળ ક્યાંક ને ક્યાંક મનુસ્મૃતિની રૂઢિચુસ્ત વિચારધારા જવાબદાર હોવાનું માનવામાં આવે છે. બાબા સાહેબનું માનવું હતું કે જ્યાં સુધી સ્ત્રીઓ આ માનસિક બેડીઓમાંથી મુક્ત નહીં થાય, ત્યાં સુધી સાચો સામાજિક વિકાસ અશક્ય છે.

આ પણ વાંચો: બ્રાહ્મણ જજે મનુસ્મૃતિનો શ્લોક ટાંકી આરોપીઓને સજા સંભળાવી

આખી જિંદગી પિતા, પતિ અને પુત્રના સંરક્ષણમાં રહેવું

મનુસ્મૃતિના પાંચમાં અધ્યાયના 148માં શ્લોકમાં સ્ત્રીની સ્વતંત્રતા વિશે અત્યંત વિવાદાસ્પદ વાત કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે કન્યાએ ક્યારેય સ્વતંત્ર રીતે વિચારવાની જરૂર નથી. બાળપણમાં તેણે પિતાના સંરક્ષણમાં, યુવાનીમાં પતિના અને પતિના મૃત્યુ બાદ પુત્રના આશ્રય હેઠળ રહેવું જોઈએ. અર્થાત, સ્ત્રીનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે નહીં. તે હંમેશા કોઈ ને કોઈ પુરુષની દયા પર નિર્ભર રહેવી જોઈએ. આ વિચારધારા સ્ત્રીને એક વ્યક્તિ તરીકે નહીં, પણ એક આશ્રિત તરીકે જુએ છે.

શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર

મનુસ્મૃતિમાં સ્ત્રીઓને પણ શૂદ્રોની જેમ શિક્ષણના અધિકારથી વંચિત રાખવાની હિમાયત કરવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ હતું કે જો સ્ત્રીઓ શિક્ષિત થશે તો તેઓ રૂઢિચુસ્ત પરંપરાઓની બેડીઓ તોડશે અને પોતાના હક માટે લડશે. પુરુષ પ્રધાન સમાજને આ બાબત ક્યારેય મંજૂર નહોતી. સ્ત્રીઓને માત્ર પુરુષોની સેવા માટે જ સર્જાઈ હોવાનું ઠસાવી દેવામાં આવ્યું હતું, અને એવી માન્યતા ફેલાવવામાં આવી હતી કે પુરુષની સેવામાં જ સ્ત્રીનું કલ્યાણ અને સ્વર્ગ રહેલું છે.

આ પણ વાંચો: મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

સ્ત્રીના ચરિત્ર પર આક્ષેપ અને ‘સેવિકા’નો દરજ્જો

મનુસ્મૃતિના 15મા નિયમ મુજબ સ્ત્રીઓને સ્વભાવિક રીતે જ ચંચળ અને ‘હૃદયહીન’ ગણાવવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યે દગાબાજ હોઈ શકે છે, તેથી તેમને હંમેશા કડક દેખરેખ હેઠળ રાખવી જોઈએ. આ ગ્રંથમાં સ્ત્રીને એક તરફ સેવિકા ગણાવવામાં આવી છે અને બીજી તરફ તેને અવિશ્વાસુ કહીને તેની આઝાદી છીનવી લેવાની વાત કરવામાં આવી છે. રજસ્વલા અવસ્થામાં સ્ત્રીને અપવિત્ર કહીને તેની સામે ન જોવાનો ઉપદેશ પણ આ ગ્રંથમાં જોવા મળે છે, જે સ્ત્રીના કુદરતી શારીરિક ધર્મને પણ નીચ ગણે છે.

લગ્ન અને ઓળખના માપદંડો

મનુસ્મૃતિ અનુસાર, જે સ્ત્રીને ભાઈ ન હોય અથવા જેના પિતાના નામની ખબર ન હોય તેવી સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ. આનો અર્થ એ થયો કે સ્ત્રીની ઓળખ માત્ર તેની સાથે જોડાયેલા પુરુષથી જ થઈ શકે છે. તેની પોતાની કોઈ વંશાવળી કે ગરિમા સ્વીકારવામાં આવતી નથી.

પૂજનીય હોવાનો ભ્રમ પેદા કરવામાં આવ્યો

જોકે, મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયના ૫૬માં શ્લોકમાં એક જાણીતી પંક્તિ છે: ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ। યત્રૈતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલાઃ ક્રિયાઃ।।’ (અર્થાત: જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.)

આ પણ વાંચો: દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી

પરંતુ, બાબા સાહેબ અને આધુનિક વિચારકો આ શ્લોકને માત્ર એક ‘ભ્રમ’ માને છે. તેમના મતે, મનુસ્મૃતિમાં સ્ત્રી ત્યારે જ પૂજનીય છે જ્યારે તે પુરુષોએ બનાવેલા નિયમોનું પાલન કરે. જો તે પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે, તો તેને સન્માન મળતું નથી. આ સન્માન હકીકતમાં સ્ત્રીને મર્યાદાના દાયરામાં બાંધી રાખવાની એક ચાલ છે.

હિન્દુ કોડ બિલ અને ડૉ.આંબેડકરનું વિઝન

જ્યારે 1949માં બાબા સાહેબ હિન્દુ કોડ બિલ લાવ્યા, ત્યારે તેમણે મનુસ્મૃતિમાં રહેલી કેટલીક બાબતો (જેમ કે મિલકતનો અધિકાર) નો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓને કાયદાકીય રીતે મજબૂત બનાવવાનો હતો. તેઓ માનતા હતા કે જો સ્ત્રીઓને તક મળે તો તેઓ પુરુષો કરતા પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. તેમને પૂજાની નહીં, પણ સમાનતા અને સત્તાની જરૂર હતી.

મનુસ્મૃતિમાં સ્ત્રીઓને સન્માનિત હોવાનો જે દરજ્જો આપવામાં આવ્યો છે, તેના દાયરા એટલા સાંકડા છે કે તેમાં સ્ત્રીનું શોષણ સરળતાથી થઈ શકે. આજના આધુનિક સમાજમાં શું કોઈ સ્ત્રી માત્ર પુરુષના આશ્રય હેઠળ રહીને પોતાને સન્માનિત અનુભવી શકે? આ એક મોટો પ્રશ્ન છે. બાબા સાહેબે જે જ્યોત પ્રગટાવી હતી, તે સ્ત્રીઓને તેમના સાચા માનવાધિકારો અને સમાનતા અપાવવા માટે હતી.

આ પણ વાંચો: મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x