રાજનીતિમાં કેમ ઘરડાં જ ગાડાં વાળે, યુવાનો કેમ નહીં?

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ ,છતાં રાજનીતિમાં પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.
politics

ચંદુ મહેરિયા

રિપબ્લિકન પાર્ટીના એંસી વરસના ડોનાલ્ડ ટ્રમ્પે આ વરસના આરંભે જ અમેરિકી પ્રેસિડન્ટની ધુરા સંભાળી છે. તેમના પુરોગામી પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બાઈડેન બ્યાંસી વરસના હતા. વિશ્વના ત્રીજા ક્રમની જનઆબાદીના દેશ અમેરિકામાં અઢારથી ચોવીસ વરસની યુવા વસ્તી કુલ વસ્તીમાં ૩૬ ટકા છે. પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી અને જગત જમાદાર દેશ અમેરિકાનું નેતૃત્વ ઘરડાઠચ્ચ રાજનેતાઓના હાથમાં છે.

અમેરિકાએ ૧૯૭૧ના છવ્વીસમા બંધારણ સુધારાથી મતદાન માટેની વય ઘટાડીને અઢાર વરસની કરી છે. જોકે ભારતની જેમ અમેરિકામાં યુવા કે નવા મતદારોમાં મતદાન માટે કોઈ ઉમંગ નહોતો. ૧૯૯૬માં દર દસે સાત યુવા પ્રેસિડન્ટ ઈલેકશનમાં વોટિંગ કરતા ન હોવાનું જણાયું હતું. આ વલણ ૨૦૦૮માં બરાક ઓબામાના ઈલેકશન વખતે બદલાયું હતું. હવે કૂલ યુવા મતદારમાંથી પચાસ ટકા કરતાં વધુ યુવાઓ મતદાન કરે છે ખરા પણ પ્રેસિડન્ટ તરીકે તો ઘરડા જ ચૂંટાય છે.

દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી આફ્રિકામાં છે. ઉપસહારા આફ્રિકામાં તો ત્રીસ વરસથી ઓછી ઉમરના યુવાનોની વસ્તી સિત્તેર ટકા છે. પરંતુ આફ્રિકાના ભાગ્યે જ કોઈ દેશનું સુકાન યુવાનોના હાથમાં છે.

ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વરસના છે. તેઓ યુવાનો જેવી ઉર્જા અને તરવરાટ તથા ન ટાયર્ડ, ન રિટાયર્ડનું વલણ ધરાવતા હોવાનું કહેવાય છે. જોકે રાજનીતિમાંથી નિવૃતિની ખુદ તેમણે બાંધેલી ૭૫ વરસની વયે પહોંચવામાં છે.

આ પણ વાંચો: સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?

ભારત પણ યુવા વસ્તીનો દેશ છે. ૨૦૧૧માં ભારતમાં ત્રીસ કે તેથી નીચેની વયની યુવા વસ્તી ૫૦ ટકા હતી. પરંતુ તેનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ અને ભાગીદારી તેની વસ્તી કરતાં અનેકગણું ઓછું હતું. ૧૯૫૨ થી ૫૭ની પહેલી લોકસભાના સમય ગાળામાં ૨૫ થી ૪૦ની વય ધરાવતી વસ્તી દેશમાં ૨૨.૨૫ હતી. આ જ ઉમરના લોકસભા સભ્યો ૩૦.૩૦ ટકા હતા. હાલની અઢારમી લોકસભા વખતે ૧૯૫૨ની ૨૨.૨૫ ટકાની યુવા વસ્તીમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે અને તે વધીને ૨૫.૭૬ ટકા થઈ છે. પરંતુ લોકસભામાં યુવા સાંસદોનું પ્રમાણ પહેલી લોકસભામાં જે ૩૦.૩૦ ટકા હતું તેને બદલે હાલની લોકસભામાં ૧૦.૬૮ ટકા જ રહ્યું છે. તેનો અર્થ એ થાય કે દેશમાં યુવા આબાદી ત્રણ ટકાના દરે વધી છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ત્રણ ગણું ઘટ્યું છે. વળી પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ વરસ હતી, આજે અઢારમી લોકસભામાં ૫૫.૬ વરસ છે. પ્રથમ લોકસભામાં માંડ ૧૯ ટકા લોકસભ્યો ૫૫ વરસથી વધુ વયના હતા. વર્તમાન અઢારમી લોકસભામાં ૫૧ ટકા લોકસભા સભ્યો ૫૫ વરસ કે તેથી વધુ વયના છે. એટલે લોકસભામાં યુવાઓને બદલે વૃધ્ધો વધી રહ્યા છે.

૧૮૯૬માં જન્મેલા મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડાપ્રધાન બન્યા ત્યારે ૮૧ વરસના હતા. રાજીવ ગાંધી માત્ર ૪૦ વરસની વયે આ પદે વિરાજ્યા હતા. જવાહરલાલ નહેરુ ૫૮ અને ઈન્દિરા ગાંધી ૪૯ વરસની ઉમરે વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપાઈ પહેલીવાર તેર દિવસના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની વય ૭૨ વરસ હતી. એમ.ઓ. એચ. ફારુક સૌથી નાની ઉમરે મુખ્યમંત્રી પદે પહોંચ્યા હતા. ૨૯ વરસની વયે ૧૯૬૭માં તેઓ પુડુચેરીના ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રફુલ મહંતા ૩૪ વરસે અસમના અને શરદ પવાર ૩૮ વરસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ચૂકયા હતા.

ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ દેશના ૬૭ ટકા રાજ્યોના મુખ્યમંત્રીઓ સિત્તેર કે તેથી વધુ વરસની ઊમરના હતા. કર્ણાટક, કેરળ અને બિહારના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં મોટી ઉમરના રાજનેતાઓ મુખ્યમંત્રીની કમાન સંભાળે છે. અરૂણાચલના મુખ્યમંત્રી ૪૪, મેઘાલયના ૪૫, ઉત્તરાખંડ અને ઝારખંડના ૪૮-૪૮, તથા પંજાબના મુખ્યમંત્રી ૫૦ વરસના, પ્રમાણમાં નાની વયના, છે. મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને હરિયાણામાં ભાજપે તેની નવી હરોળના, પ્રમાણમાં મધ્ય વયના, નેતાઓને મુખ્યપ્રધાનો બનાવ્યા છે અને અગાઉના ઘરડા નેતાઓને કેન્દ્રના પ્રધાન મંડળમાં કે બીજે સ્થાન આપ્યું છે.

આ પણ વાંચો: 65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં

દેશમાં યુવા ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ મેઘાલયમાં છે. મેઘાલય વિધાનસભામાં ૨૮ ટકા ધારાસભ્યો ૨૫ થી ૪૦ વયજૂથના છે. ૨૬ અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં ૪૧ વરસથી વધુ ઉમરના ધારાસભ્યો ૮૦ ટકા છે. ૪૦ વરસથી ઓછી વયના ધારાસભ્યો દેશમાં ૧૯ ટકા જ છે. દેશના કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં તો યુવા ધારાસભ્યોનું પ્રમાણ સાવ જ અલ્પ છે. નાગાલેન્ડમાં ૩ ટકા અને તમિલનાડુમાં ૬ ટકા જ ધારાસભ્યો યુવા એટલે કે ૪૦ થી ઓછી ઉમરના છે.

રાજકીય પક્ષો સરકારની જેમ સંગઠનના પદોમાં પણ જુવાનિયાઓને બદલે બુઝુર્ગોને આગળ કરે છે. કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં સત્તાનશીન ભારતીય જનતા પક્ષના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા ૬૪ વરસના છે તો વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ૮૨ વર્ષના છે. વળી યોગ્ય રાજનેતાઓનો દુકાળ હોય તેમ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને નડ્ડા મોદી મંત્રી મંડળમાં કેબિનેટ મિનિસ્ટર છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયના તો છે જ. પરંતુ યુવાનોને પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.

જ્યારે યુવા પ્રતિનિધિત્વની ચર્ચા કરીએ ત્યારે યુવાનોમાં ઉમરના પ્રમાણમાં વધુ સારા વિચારો અને જોમ જુસ્સો હશે તેવું અપેક્ષિત હોય છે. પરંતુ તેવું હકીકતમાં બને છે ખરું? એક્યાસી વરસના મોરારજી દેસાઈનો વડાપ્રધાનનો કાર્યકાળ અને ચાળીસના રાજીવ ગાંધીના કાર્યકાળની તુલના કરીએ ત્યારે કોણે દેશહિતના, લોકહિતના દીર્ઘદ્રષ્ટિના કામો કર્યા, વધુ સારો વહીવટ કર્યો અને કાયદા ઘડ્યા તે ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. વળી એ મૂલ્યાંકન વખતે તેમની વયની સાથે તેમના સંજોગો અને રાજકીય સ્થિતિ પણ ધ્યાનમાં લેવી રહી. કોઈ નાની વયે વડાપ્રધાન, મુખ્ય મંત્રી, સાંસદ કે ધારાસભ્ય બની જાય એટલે ભયો ભયો એવું ના હોય.

પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને નવા વિચારો તેમની પાસે જ હોય છે. તે અને માત્ર તે જ સાચું નથી. ૧૮૬૯માં જન્મેલા મોહનદાસ ગાંધી ૧૯૧૫માં ભારતમાં આવ્યા ત્યારે ૪૬ વરસના હતા. ૪૬ વરસે ભારતમાં તેમનું જાહેર જીવન શરૂ થાય છે અને વિશ્વતખતે એક મૌલિક વિચારક તથા આંદોલનકાર તરીકે અમીટ છાપ છોડી જાય છે. તે ઉદાહરણ પરથી ના માત્ર ઘરડાં ગાડા વાળે છે કે ન માત્ર યુવાનો. વય તેની રીતે કામ જરૂર કરતી હશે પણ તે જ એક માત્ર માપદંડ ના હોઈ શકે.

યુવા અને વયસ્ક , નવ જુવાન અને બુઝુર્ગ બંને જો સાથે મળીને, સમન્વય સાધીને આગળ વધે તો ન માત્ર રાજનીતિમાં, કુટુંબ, વ્યવસાય, સમાજ અને સંસાર એમ બધા ક્ષેત્રોમાં સારા પરિણામો આણી શકે છે. તે માટે વડીલોએ તેમના અનુભવના ગાણા ગાવાના બંધ કરવા પડશે. યુવાનોને બિનઅનુભવી ગણી પોતાની વડીલશાહી તેમના પર થોપવી બંધ કરવી પડશે. તો યુવાનોએ પણ તેમની પાસે શિખવાની ધખના રાખવી જોઈશે. ચાળીસ વરસના રાજીવ ગાંધીએ એકવીસમી સદીના ભારતનું સ્વપ્ન જોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો એક્યાસીના મોરારજીભાઈએ લોકશાહીનું પુન:સ્થાપન કર્યું. એમ બેઉ તેમની રીતે મહત્વના છે. બુઝુર્ગોના અનુભવ અને યુવાનોમાં રહેલી અસીમ શક્તિનો સમન્વય, બેઉનું મિલન અને હરીફાઈ કે મુકાબલાના ભાવને બદલે જનહિત હૈયે વસે તો ઉમ્ર ક્યા ચીજ હૈ?

maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્થી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x