મહારાષ્ટ્રમાં દેશની પહેલી અનુસૂચિત જાતિ સમાજની બેંક શરૂ થઈ

ડૉ.આંબેડકરના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. નામથી દેશની પ્રથમ અનુસૂચિત જાતિની બેંક શરૂ કરી છે.
bank

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર એક સ્વપ્નદ્રષ્ટા અર્થશાસ્ત્રી હતા જેમણે ભારતની નાણાકીય સંસ્થાઓનો પાયો નાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રખ્યાત પુસ્તક ‘ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી’ (૧૯૨૩) એ ભારતીય રિઝર્વ બેંક (૧ એપ્રિલ ૧૯૩૫) ની સ્થાપનાનો પાયો નાખ્યો, જેણે આગળ જતા દેશની નાણાકીય નીતિઓને આકાર આપ્યો હતો.

મહાનાયક ડો.આંબેડકરના વિચારોથી પ્રેરિત થઈને તેમના પ્રપૌત્ર રાજરત્ન આંબેડકર, જેઓ બૌદ્ધ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બેંગકોકમાં વર્લ્ડ ફેલોશિપ ઓફ બૌદ્ધિસ્ટના સચિવ પણ છે, તેમણે ‘ડૉ. ભીમરાવ રામજી આંબેડકર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’ (Dr. Bhimrao Ramji Ambedkar Multi State Co-operative Credit Society Limited) ની સ્થાપના કરી છે – જે દેશની પહેલી અનુસૂચિત જાતિ અને બૌદ્ધ સહકારી ક્રેડિટ મંચ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણમાં તેની પહેલી શાખા શરૂ કરવામાં આવી છે. આગામી બે વર્ષમાં તેને સહકારી બેંકમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય છે, એ પછી આગામી પાંચ વર્ષમાં તે સંપૂર્ણ રાષ્ટ્રીયકૃત બેંક બનવા તરફ આગળ વધશે.

રાષ્ટ્રીય બેંકોમાં ભેદભાવ સામે આર્થિક સશક્તિકરણ

આ બેંક શરૂ કરવાની જરૂર કેમ પડી તે વિશે વાત કરતા રાજરત્ન આંબેડકરે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ દલિત અને બૌદ્ધ સમાજોમાં આર્થિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. આ સંસ્થા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં બ્રાહ્મણવાદી બેંકોના વિકલ્પ તરીકે ઉભરી આવનારી પ્રથમ બૌદ્ધ બેંક હશે.

તેમણે કહ્યું, “બાબાસાહેબે કહ્યું હતું કે ભારતનો ઇતિહાસ બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણવાદ વચ્ચેના સંઘર્ષ સિવાય બીજું કંઈ નથી. રાષ્ટ્રીયકૃત બેંકો બ્રાહ્મણવાદી, મનુવાદી સિદ્ધાંતો પર કામ કરે છે. તેઓ આપણા લોકો પાસેથી થાપણો સ્વીકારવા માટે ઉત્સુક હોય છે, પરંતુ જ્યારે લોન આપવાની વાત આવે છે ત્યારે તેઓ આપણને જાતભાતના બહાના બતાવે છે. દલિત સમાજના ઘણા લોકોએ મુખ્ય પ્રવાહની બેંકો દ્વારા એજ્યુકેશન કે હોમ લોન માટેની તેમની અરજીઓ નકારવામાં આવી હોવાના અનુભવો શેર કર્યા છે. આ એક વાસ્તવિક અને ગંભીર સમસ્યા છે જેના ઉકેલની જરૂર હતી અને આ એ દિશામાં એક પગલું છે.”

2023 માં બાબા સાહેબના પુસ્તક ‘ધ પ્રોબ્લેમ ઓફ રૂપી’ ના શતાબ્દી વર્ષમાં દલિત બૌદ્ધ બેંકિંગ સિસ્ટમની વિભાવનાનો જન્મ થયો હતો. સાચી આર્થિક સ્વતંત્રતા વાસ્તવિક સશક્તિકરણ તરફ દોરી જાય છે, જેણે આ સ્વપ્નદ્રષ્ટા બેંકિંગ પહેલનો પાયો નાખ્યો છે.

મહારાષ્ટ્ર બાદ કર્ણાટક અને પછી અન્ય રાજ્યોમાં શાખાો ખૂલશે

રાજરત્ન આંબેડકરે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહકારી ક્રેડિટ સોસાયટીની શાખાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પછીના તબક્કામાં તેને અન્ય રાજ્યોમાં પણ વિસ્તારવામાં આવશે.

આ પણ વાંચો: બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું

તેમણે વધુમાં કહ્યું કે બાબાસાહેબની વિચારધારા પર આધારિત અન્ય ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ અસ્તિત્વમાં છે, પરંતુ આ બેંકની અન્ય રાજ્યોમાં હાજરી અને બૌદ્ધ સિદ્ધાંતો તેને અલગ તારવે છે. દરેક રાજ્યની રાજધાનીમાં ઓછામાં ઓછી એક શાખા ખોલવાની યોજના છે, જ્યારે મહારાષ્ટ્રમાં દરેક જિલ્લામાં એક શાખા ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં આ કાર્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી મર્યાદિત રહેશે, પરંતુ આગામી તબક્કામાં એટલે કે ૨૦૨૫-૨૦૨૬માં અન્ય રાજ્યોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. ફક્ત બે વર્ષમાં, આ ખ્યાલને જબરદસ્ત સમર્થન મળ્યું છે, છેલ્લા કેટલાક મહિનામાં જ 50,000 થી વધુ લોકો શેરધારકો બન્યા છે.

રાજરત્ન આંબેડકરે જણાવ્યું હતું કે, “અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અમારી થાણે શાખામાં નવ કર્મચારીઓની સમર્પિત ટીમની ભરતી કરી છે. અમે હાલમાં એકાઉન્ટ સ્ટેટમેન્ટ, શેરહોલ્ડિંગ સર્ટિફિકેટ અને પાસબુક જારી કરી રહ્યા છીએ. મને મારી પાસબુક બે દિવસ પહેલા જ મળી છે.”

આ પણ વાંચો: …અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!

indias first sc bank

આ બેંક ફક્ત દલિતો અને બૌદ્ધો માટે જ હશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં, રાજરત્ન આંબેડકરે સ્પષ્ટતા કરી કે હાલમાં જનરલ કેટેગરીના ઘણા લોકોએ પણ શેર ખરીદ્યા છે, સંસ્થામાં ખાતું ખોલાવવા પર કોઈને પણ પ્રતિબંધ નથી પરંતુ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બહુજન સમાજને આર્થિક સશક્તિકરણના માર્ગ પર લઈ જવાનો છે. તેના માટે જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેથી ST/SC/OBC સમાજ સહિતના બહુજન સમાજને એક એવી બેંકિંગ સંસ્થામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય જે બૌદ્ધ સિદ્ધાંતો પર કામ કરે છે, નહીં કે SBI, Axis Bank અને HDFC જેવી અન્ય રાષ્ટ્રીય બેંકોમાં પ્રચલિત બ્રાહ્મણવાદી નીતિઓ પર.

ભારતની પહેલી રાષ્ટ્રીયકૃત બૌદ્ધ બેંક

રાજરત્ન આંબેડકર તેને ભારતની પ્રથમ રાષ્ટ્રીયકૃત અનુસૂચિત જાતિ (SC) બૌદ્ધ બેંક તરીકે જુએ છે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનો છે.

તેમણે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ બૌદ્ધ મહારાષ્ટ્રમાં છે. જોકે, તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ઘણા દલિતો અનામતનો લાભ ગુમાવવાના ડરે ખુલીને પોતાને બૌદ્ધ તરીકે ઓળખાવતા અચકાય છે. જોકે મોટી સંખ્યામાં દલિતો બૌદ્ધ ધર્મ પાળે છે, તેઓ ઘણીવાર તેમની ધાર્મિક પસંદગી જાહેર કરતા નથી. પરિણામે, ભારતમાં બૌદ્ધોની સત્તાવાર સંખ્યા ઓછી છે. હાલમાં, અમારો અંદાજ છે કે ભારતની વસ્તીના ફક્ત 0.6% લોકો જ બૌદ્ધ તરીકે ઓળખાય છે.

ખાતાધારક બનવા માટે શું કરવું પડશે?

‘ડૉ.’ ‘ભીમરાવ રામજી આંબેડકર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’ માં શેરહોલ્ડર/ખાતા ધારક બનવા માટે, વ્યક્તિએ ₹2,610 જમા કરાવવા પડશે જેમાં શેરની કિંમત, નોંધણી ફી અને અરજી ફીનો સમાવેશ થાય છે. શેરધારક તરીકે નોંધણી કરાવ્યા પછી ખાતાધારક રિકરિંગ ડિપોઝિટ (RD) અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓમાં રોકાણ કરી શકે છે અને સહકારી મંડળી દ્વારા આપવામાં આવતી તમામ લોન સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ પહેલ માત્ર એક નાણાકીય સંસ્થા નથી પરંતુ આર્થિક સમાવેશ અને આત્મનિર્ભરતા તરફ એક ક્રાંતિકારી પગલું છે, જે સુનિશ્ચિત કરે છે કે બહુજન સમાજ તેમના આર્થિક ભવિષ્ય પર નિયંત્રણ પ્રાપ્ત કરે.

આ ઉપરાંત, ‘વર્લ્ડ બૌદ્ધ યુનિવર્સિટી’ ની યોજના છે, જે બૌદ્ધ શિક્ષણ અને વૈશ્વિક નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા માટે ₹700 કરોડનો એક અલગ પ્રોજેક્ટ છે.

કોણ છે રાજરત્ન આંબેડકર?

રાજરત્ન આંબેડકર એક ઉચ્ચ શિક્ષિત વ્યાવસાયિક છે જેઓ કોર્પોરેટ કરિયરમાંથી બૌદ્ધ ધર્મ અને સામાજિક સુધારાને સમર્પિત જીવન તરફ વળ્યા છે. તેઓ બહુજન મહાનાયક ડો. બાબાસાહેબ આંબેડકરના ભાઈ આનંદરાવના પ્રપૌત્ર, મુકુંદરાવ આંબેડકર (બાબાસાહેબના ભત્રીજા) ના પૌત્ર અને અશોક આંબેડકરના પુત્ર છે.

આ પણ વાંચોઃ OBC યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર Dalit યુવકના પરિવાર પર હુમલો

Rajaratna Ambedkar

તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ (2003), ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા – દેહરાદૂન યુનિવર્સિટી (2008) માંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા, ICFAI યુનિવર્સિટી (2008) માંથી એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ અને MBA (2010) નું શિક્ષણ મેળવ્યું છે. અગાઉ તેક મોટી કંપનીમાં ઉચ્ચ કોર્પોરેટ પદ પર હતા. પરંતુ તેમાં તેમને પોતાના કામને લઈને સંતોષ નહોતો મળતો. આખરે તેમણે ધમ્મ અને બહુજન સમાજના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો: APP ધવન જયસ્વાલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

3.2 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x