ગઈકાલે ગુરુ પૂર્ણિમા ગઈ. દેશભરમાં હિંદુઓએ મહાભારતના કથિત રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ ઉજવ્યો અને એ બહાને બ્રાહ્મણોએ પોતે સર્વોચ્ચ છે તે માન્યતાને વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કર્યો. અભણ લોકોએ ઈતિહાસ જાણ્યા વિના ગુરુઓની પૂજા કરી યથાશક્તિ ભેટ ચઢાવી.
જો કે, દેશના દલિતો, આદિવાસીઓ, ઓબીસીએ વેદ વ્યાસે કથિત રીતે લખેલી મહાભારતનો એકલવ્ય વાળો પ્રસંગ કાયમ યાદ રાખવો રહ્યો. જેમાં દ્રોણ તેનો અંગૂઠો માંગી લે છે. દ્રોણાચાર્યોની આ જાતિવાદી માનસિકતા આજના ભારતમાં પણ યથાવત રહી છે અને તેની સાબિતી આ કિસ્સો છે.

ઘટના મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાની છે. અહીંના કોલારસ તાલુકાના ઉકાવાળ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક 8 વર્ષના માસૂમ દલિત બાળકને તેના બ્રાહ્મણ શિક્ષકે નિર્દયતાપૂર્વક માર માર્યો. આ માસૂમ દલિત બાળકને વર્ગખંડમાં ભણતી વખતે સખત તરસ લાગી હતી અને તેણે શિક્ષકની પાણીની બોટલમાંથી પાણી પી લીધું હતું. આ નાનકડી વાતથી ઉશ્કેરાઈને બ્રાહ્મણ શિક્ષકે બાળકને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો અને જાતિસૂચક ગાળો આપીને તેનું અપમાન કર્યું હતું.
આ પણ વાંચો: કચ્છ બ્લાસ્ટના 4 મૃતકોના પરિવારોને રૂ. 1.09 કરોડ વળતર ચૂકવાયું
મળતી માહિતી મુજબ, ધોરણ 4 માં અભ્યાસ કરતો આ 8 વર્ષનો માસૂમ બાળક દરરોજની જેમ ઉત્સાહપૂર્વક શાળાએ ભણવા માટે ગયો હતો. વર્ગખંડમાં અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન બાળકને તરસ લાગી હતી. બાળક નિર્દોષતાથી ક્લાસરૂમમાં મુકેલી શિક્ષક લોકેશ શર્માની પાણીની બોટલ પાસે ગયો અને તેમાંથી પાણી પી લીધું હતું. પરંતુ, એક બામણ શિક્ષકથી આ બાબત સહન ન થઈ અને તેણે માસૂમ બાળક પર પોતાનો રાક્ષસી ગુસ્સો ઠાલવી દીધો હતો.
નિર્દોષ દલિત બાળકને બ્રાહ્મણ શિક્ષકે લાકડીઓથી ફટકાર્યો
પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપી શિક્ષક લોકેશ શર્માએ ઉશ્કેરાઈને બાળકને ધમકાવતા કહ્યું હતું કે, “તારી મારી બોટલને સ્પર્શ કરવાની હિંમત કેમ થઈ?” આટલું કહીને આવેશમાં આવેલા શિક્ષકે માસૂમ બાળક પર લાકડીઓથી હુમલો કરી દીધો હતો અને તેને બેરહમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા શિક્ષકે તેને અછૂત ગણાવીને અસહ્ય જાતિસૂચક શબ્દો અને ગાળો પણ આપી હતી.

આ અચાનક થયેલા ઘાતકી હુમલા અને અપમાનથી 8 વર્ષનો બાળક માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. શાળા પૂરી થયા બાદ તે અત્યંત ડરેલો અને સંકોચાયેલો બાળક રડતો રડતો પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરના સભ્યોએ જ્યારે બાળકને સતત રડતો જોયો ત્યારે પૂછપરછ કરી હતી, જેના જવાબમાં માસૂમે પોતાની સાથે શાળામાં બનેલી સમગ્ર આપવીતી પરિવારજનોને જણાવી હતી. 8 વર્ષના બાળક પર થયેલા આ પ્રકારના અત્યાચાર અને જાતિવાદી વર્તનની વાત સાંભળીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ પણ વાંચો: સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!
ઘટનાની ગંભીરતાને જોઈને પરિવારે તુરંત જ એકજૂથ થઈને પોલીસ મથકે પહોંચી આરોપી શિક્ષક સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો
પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ તેજ કરી
પીડિત પરિવારની લેખિત ફરિયાદ અને બાળકની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોલારસ પોલીસ સ્ટેશન ક્ષેત્રની લુકવાસા ચોકી પોલીસે તુરંત જ એક્શન લીધા છે. પોલીસે આરોપી શિક્ષક લોકેશ શર્મા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 296(A) અને 115(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, આ ઘટનામાં જાતિવાદી માનસિકતા અને અત્યાચાર સ્પષ્ટપણે જોવા મળતો હોવાથી મામલાની ગંભીરતા સમજીને પોલીસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ એટલે કે SC/ST Act ની વિવિધ કડક ધારા હેઠળ પણ FIR દાખલ કરી છે.
પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, શાળામાં બનેલી આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. કાયદાકીય તપાસ અને પુરાવાના આધારે આરોપી શિક્ષક સામે વિલંબ કર્યા વિના કડકમાં કડક પગલાં લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકે.
આ પણ વાંચો: આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વકીલ દંપતીનો સામાજિક બહિષ્કાર કરાયો












