જાન પર હુમલો: લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં પોતાને સર્વોપરી માનતા જાતિવાદી લુખ્ખા તત્વો કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરીને દલિતોના લગ્ન પ્રસંગો, વરઘોડા અને જાન પર હુમલો કરી રહ્યાં છે. પાલનપુરના ગાદલવાડામાં દલિત વરરાજાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છતાં કાંકરિચાળો થયો હતો. એ પછી ગઈકાલે યુપીમાં જાતિવાદી તત્વો વરરાજા ઘોડી પર બેઠા તો ઘોડી જ ઉપાડીને લઈ ગયા હતા. આ સિવાય બીજી એવી અનેક નાનીમોટી ઘટનાઓ ઘટે છે, જે પોલીસ ફરિયાદ ન થવાને કારણે મીડિયામાં પ્રકાશિત થતી નથી અને એ રીતે લોકોની નજરમાં આવતી નથી.
પોલીસે ગંભીરતા ન દાખવી અને હુમલો થયો
આ બધી ઘટનાઓ વચ્ચે જાતિવાદીના એપીસેન્ટર તરીકે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશમાં પોલીસની ભયંકર બેદરકારી સામે આવી છે. અહીં એક દલિત દીકરીના લગ્ન પ્રસંગે જાતિવાદી તત્વો હુમલો કરશે તેવી બીકના કારણે તેના પિતાએ પોલીસમાં અરજી કરીને રક્ષણ માંગ્યું હતું. પણ સવર્ણોની બહુમતી ધરાવતા પોલીસ ખાતાએ તેને ગંભીરતાથી લીધી નહોતી. આખરે જે થવાનું હતું એજ થયું અને જાતિવાદી લુખ્ખાઓએ દલિત દીકરીના લગ્નમાં હુમલો કરી દીધો હતો. જેમાં અનેક જાનૈયા ઘાયલ થઈ ગયા હતા.
સીએમ યોગી આદિત્યનાથની જાતિના લોકો બેખૌફ
મામલો ઉત્તરપ્રદેશના બુલંદશહેરનો છે. અહીં જાતિવાદી ઠાકુરોએ એક દલિત પરિવારની દીકરીના લગ્ન દરમિયાન ડી.જે. વગાડવાને લઈને હોબાળો મચાવી જાન પર હુમલો કર્યો હતો. લુખ્ખા તત્વો કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ લાકડીઓ અને ડંડા લઈને જાનૈયાઓ પર તૂટી પડ્યા હતા. જેમાં અનેક મહિલાઓ અને યુવકો પણ ઘાયલ થઈ ગયા હતા.
આ પણ વાંચો: 200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી
ઘટનાની જાણ થતા બોલીવૂડની ફિલ્મોની જેમ પોલીસ અંતે આવી પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી માત્ર કહેવા પુરતી કાર્યવાહી કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારથી ઠાકુર જાતિના યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યાં છે ત્યારથી આ જાતિના લોકો બેફામ થઈ ચૂક્યા છે. ગમે તેવા ગંભીર ગુનામાં પણ ઠાકુરોનું પોલીસ કંઈ બગાડી શક્તિ નથી.
અનેક મહિલાઓ, જાનૈયા ઘાયલ થયા
બુલંદશહેરના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત પરિવારની દીકરીના લગ્નમાં ઠાકુર સમાજના લોકોએ હોબાળો મચાવ્યો હતો. ધરમાવલી ગામમાં લગ્નની જાન નીકળી રહી હતી ત્યારે ઠાકુર સમાજના કેટલાક લુખ્ખા તત્વોએ દાદાગીરી કરીને લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણી સ્ત્રીઓ અને પુરુષો ઘાયલ થયા હતા.
પોલીસ ન આવી એટલે જાતિવાદીઓની હિંમત ખૂલી
આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, દલિત દીકરીના પરિવારે સવારે જ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જેમાં ઠાકુર જાતિના લોકો હુમલો કરશે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. જેના કારણે જાતિવાદી તત્વોની હિંમત ખૂલી ગઈ હતી અને તેમણે નક્કી કર્યા મુજબ હુમલો કરી લગ્ન જેવા ખુશીના પ્રસંગને ભયમાં ફેરવી નાખ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ સીઓ સિટી સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કન્યાના પિતાના પોલીસ પર આરોપ
તમામ ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. દલિત કન્યાના પિતાનો આરોપ છે કે પોલીસે સમયસર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી. જેના કારણે જ આ ઘટના બની છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પોલીસ દળ ગોઠવી દેવામાં આવ્યું છે. જો કે, તે ઘોડા છૂટ્યાં પછી તબેલાના તાળાં મારવા જેવો ઘાટ છે. ઘટના બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવટ બાદ ટોળું શાંત થયું હતું. પોલીસે આ મામલે કાર્યવાહીની ખાતરી આપી છે. પણ યુપીની કાયદો વ્યવસ્થાને જાણતા દલિતોને ખ્યાલ છે કે, હવે આ મામલે આરોપીઓને કશું થવાનું નથી.
આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા મોટી ટ્રેપમાં ફસાઈ