Mahabodhi Mukti Andolan : ભગવાન બુદ્ધને જ્યાં બુદ્ધત્વ પ્રાપ્ત થયું હતું તે સ્થળ મહાબોધિ બોધિગયાને મનુવાદીઓના સકંજામાંથી મુક્ત કરાવી બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે આંદોલન (Mahabodhi Mukti Andolan)ચાલી રહ્યું છે ત્યારે તેના સમર્થનમાં હવે ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મીઓ અને આંબેડકરવાદીઓ રસ્તા પર આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પોરબંદર સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં બૌદ્ધ સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હવે બોટાદમાં પણ બૌદ્ધ ધર્મીઓ બોધિગયા આંદોલનના સમર્થનમાં બહાર આવ્યા છે.
ગઈકાલે તા. ૦૫/૦૩/૨૦૨૫ ના રોજ ભારતીય બૌદ્ધ મહાસભા, સમતા બુદ્ધ વિહાર બોટાદ, બૌદ્ધ સમાજ ઉપાસક ઉપાસિકા સંઘ બોટાદ દ્વારા સભા યોજી ત્યારબાદ ખર રોડથી કલેક્ટર કચેરી સુધી શાંતિ પ્રિય પદયાત્રા કાઢવામાં આવી હતી અને બોધિગયા મુક્તિ આંદોલનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું
ઉલ્લેખનીય છે કે, તથાગત ગૌતમ બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળ બિહારના બોધિગયા ખાતે આવેલું છે, જે સમગ્ર વિશ્વના બુદ્ધિસ્ટ લોકોના પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ ગણાતા મહાબોધિ મહાવિહાર પર મનુવાદીઓએ અજગર ભરડો લઈ લીધો છે અને બૌદ્ધોને તેના મેનેજમેન્ટમાંથી રીતસરના બહાર કરી દીધાં છે. હિંદુત્વવાદી સત્તાના ટેકાથી બોધિગયાના મેનેજમેન્ટમાં રહેલા લોકો તેને હિંદુ સ્થાપત્ય જાહેર કરવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. કેટલાક લોકો તેને રામ સાથે જોડીને બોધિગયાનું હિંદુત્વકરણ કરવા ઈન્ટરવ્યૂ આપી રહ્યાં છે. આ બધાં કારણોસર બોધિગયાની અસલ ઓળખ ખતરામાં આવી ગઈ છે. જેના કારણે હવે બૌદ્ધ ધર્મીઓ બોધિગયાનો વહીવટ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે મેદાને પડ્યા છે અને આંદોલન કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ બોધગયા મુક્તિ આંદોલન તીવ્ર બન્યું, ભિક્ષુઓ રસ્તા પર ઉતર્યા
બી.ટી. એક્ટ ૧૯૪૯ રદ કરીને મહાવિહારનો કબ્જો બૌદ્ધોને સોંપવા માટે બોટાદ જિલ્લા કલેકટર સમક્ષ બોટાદ બૌદ્ધ સમાજ દ્વારા માંગ કરાઈ છે અને જિલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા આયોગના અધ્યક્ષને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ તકે બૌદ્ધ સમાજના ધર્મગુરુ ભંતે પથિક શ્રેષ્ઠી તેમજ સમતા બુદ્ધ વિહારના વ્યવસ્થાપક બોધિરાજ બૌદ્ધ, પ્રતિભા બૌદ્ધ, સુમેધ તથાગત, પ્રભુભાઈ બૌદ્ધ, જયાબેન બૌદ્ધ, વિઠ્ઠલભાઈ મૌર્ય, જયેશ બૌદ્ધ, લક્ષ્મીબેન બથવાર, ભરતભાઇ સરલ મોરી, જેરામભાઈ સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Bodhi Gaya માં બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન, અનેકની તબિયત લથડી