રાજકોટના વિંછીયામાં યોજાયેલા કોળી ઠાકોર મહાસંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલન વખતે પટેલો પર થયેલા કેસો પરત ખેંચવાના મામલે સરકારને બરાબરને આડે હાથ લીધી હતી. સંમેલનમાં કોળી ઠાકોર સમાજના આગેવાનોએ સીધો જ સવાલ કર્યો હતો કે, ગુજરાતના પટેલ મુખ્યમંત્રીએ પટેલ સમાજના લોકો પર થયેલા કેસો પાછા ખેંચી લીધી હતા તે રીતે બીજા સમાજના લોકો પર થયેલા કેસો ક્યારે પાછા ખેંચશે. ગુજરાતના મુખ્યમંત્રીને માત્ર તેમના સમાજને રાજી કરવામાં રસ છે, પણ દલિત, ક્ષત્રિય, કોળી, ઠાકોર સહિતના અન્ય સમાજોનો શું વાંક? શા માટે આ સમાજના લોકો પર થયેલા કેસો સરકાર પાછા ખેંચતી નથી.
ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન વખતે પાટીદાર યુવાઓ સામે કરાયેલાં કેસો હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવ્યાં છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં કરાયેલાં 167 કેસ પણ પરત ખેંચવામાં આવ્યાં છે. પાટીદારોના એક પછી એક કેસો પાછા ખેંચાતાં અન્ય સમાજના લોકો વિફર્યા છે. અને તેમના પર થયેલા કેસો પણ સરકાર આ જ રીતે પાછા ખેંચે તેવી માંગ તીવ્ર બની છે. આ કેસ પાછા ખેંચવાની માંગ સાથે કોળી-ઠાકોરોએ મેદાનમાં ઉતરવા મજબુર થવુ પડ્યું છે. વિંછીયામાં કોળી-ઠાકોર સમાજે મહાસંમેલન યોજી કેસો પાછા ખેંચવા માંગ કરી છે. આગામી દિવસોમાં કેસો પાછા ખેચવાના મુદ્દે સરકાર સામે આંદોલન થઇ શકે છે.
આ પણ વાંચોઃ ગોધરામાં 17 વર્ષની OBC સગીરા-સગીરની ઝાડ સાથે લટકતી લાશ મળી
અનામતની માંગ સાથે ગુજરાતમાં પાટીદારોએ આંદોલન કર્યુ હતું તે વખતે પાટીદાર સમાજના લોકો સામે કરાયેલાં રાજદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર પાછા ખેંચવામાં આવી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે અને તેઓ તેમના સમાજના લોકોને રાજી કરી રહ્યાં છે તેવું સ્પષ્ટ દેખાય છે. પણ સરકારની આ તુષ્ટિકરણની નીતિને કારણે દલિતો, ક્ષત્રિયો, કોળી-ઠાકોર સમાજ સરકારથી નારાજ છે.
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું કહેવુ છે કે, ‘ઉનાકાંડમાં દલિતો સામે કેસ થયા છે. ભાનુભાઇ વણકર આત્મવિલોપન કેસમાં કેસો થયાં છે. વડગામ મત વિસ્તારમાં સીએએ-એનઆરસીના મુદ્દે લધુમતીઓ સામે કેસો થયાં છે. કેવડિયા કોલોનીમાં જમીન સંપાદન મુદ્દે આદિવાસીઓ સામે કેસો થયાં છે. એમનું શું? મુખ્યમંત્રી આ બધાય પોલીસ ક્યારે પાછાં ખેચશે. જો સરકાર આ દિશામાં તુરંત પગલાં નહીં ભરે તો, આંદોલન કરીશું’
આ જ વાત કોંગ્રેસના અન્ય નેતાઓ અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોરે પણ આ સંમેલનમાં કરી હતી.
આ પણ વાંચોઃ Telangana caste survey : 46.25 ટકા OBC છતાં રાજકારણમાં સવર્ણોનું વર્ચસ્વ
કોળી મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરએ શું કહ્યું?
.
.#kolisamaj #sanad #geniben #genibenthakor #thakor #Vinchhiya #kunvarjibavaliya #jayeshthakor #gujratinews #jasdan #rajkot #viralnews pic.twitter.com/0kRTWsTnso— Bs9_tv_news (@Bs9Tv6776) March 9, 2025
એવો પણ આક્ષેપ કરાયો છે કે, મુખ્યમંત્રીએ માત્ર તેમના સમાજના લોકોને રાજી કર્યા છે પરંતુ દલિતો, ક્ષત્રિયો, કોળી- ઠાકોરો પ્રત્યે મુખ્યમંત્રી કેમ સહાનુભૂતિ દર્શાવી નહી તે સમજાતુ નથી. મંત્રી કુવરજી બાવળિયાના મત વિસ્તારમાં રવિવારે કોળી-ઠાકોરોએ પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ સાથે મહાસંમેલન યોજ્યુ હતું.
રજૂઆત કર્યા પછી પણ સરકારના પેટનું પાણી હાલતુ નથી એટલે જ કોળી-ઠાકોરો મેદાને પડ્યાં છે. પદ્માવતી ફિલ્મના વિરોધમાં થયેલાં વિરોધ પ્રદર્શન વખતે ક્ષત્રિયો સામે પણ કેસો થયાં છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય સરકાર ક્ષત્રિયોનું સાંભળતી નથી. આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્પષ્ટ રીતે પાટીદાર તુષ્ટિકરણની નીતિ અપનાવાઈ રહી હોવાનું અને કોળી-ઠાકોર સમાજને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આ મહાસમંલેનમાં સૂર ઉઠ્યો હતો. જોવાનું એ રહેશે કે, આ મહાસંમેલનમાં આ સમાજે ઉઠાવેલી માગણીઓને સરકાર કેટલી ગંભીરતાથી લે છે.
આ પણ વાંચોઃ ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી