કેન્દ્ર સરકારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ભારતીય ભાષા સમિતિના અધ્યક્ષ ચામૂ કૃષ્ણ શાસ્ત્રી અંગે RTI હેઠળ માંગવામાં આવેલી માહિતીનો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે. સરકારે ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની શૈક્ષણિક લાયકાત અને બાયોડેટા અંગેની માહિતી શેર કરવાનો પણ ઇનકાર કર્યો છે. સવાલ એ છે કે એક જાહેર હોદ્દા પર કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે તો તેની લાયકાત અંગે એવું શું છે જે સરકાર છુપાવવા માંગે છે.
ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ, સમાચારપત્ર દ્વારા દાખલ કરાયેલી એક RTI ના જવાબમાં શિક્ષણ મંત્રાલય ન તો ચામૂ કૃષ્ણ શાસ્ત્રીનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ જાહેર કરી શક્યું છે, ન એ સ્પષ્ટ કરી શક્યું છે કે તેમનો પગાર કયા આધારે નક્કી કરવામાં આવ્યો છે.
ચામૂ કૃષ્ણ શાસ્ત્રીને આ પદ પર વર્ષ 2021 માં નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણીતું છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલી સંસ્થા સંસ્કૃત ભારતીના સભ્ય છે, જે બાળકો માટે સંસ્કૃત શિબિર જેવા કાર્યક્રમો દ્વારા ભાષાને પ્રોત્સાહન આપે છે. ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાના પગલાં સૂચવવા માટે નવેમ્બર 2021 માં ભારતીય ભાષા સમિતિની રચના કરવામાં આવી હતી અને ચામૂ તેના અધ્યક્ષ છે.
આ પણ વાંચો: સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે
જ્યારે પહેલી RTI ના જવાબમાં જરૂરી માહિતી આપવામાં ન આવી ત્યારે ધ ટેલિગ્રાફે તેની સામે અપીલ દાખલ કરી હતી. આ અપીલના જવાબમાં, 20 માર્ચે પ્રથમ અપીલ અધિકારી સુમન દીક્ષિતે કહ્યું કે માંગવામાં આવેલી માહિતી ઉપલબ્ધ નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે રેકોર્ડમાં જે માહિતી ઉપલબ્ધ છે તે આપી દેવામાં આવી છે.
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે ડિસેમ્બર 2023 થી ચામૂ કૃષ્ણ શાસ્ત્રીને દર મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર મળી રહ્યો છે. જે કોઈપણ કેન્દ્રીય યુનિવર્સિટીના કુલપતિના પગાર કરતાં વધુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરએસએસ સાથે જોડાયેલા હોવાના કારણે તેમને સંઘ અને ભાજપની કૃપાથી આ પદ પર નિયુક્તિ મળી છે. તેમની શૈક્ષણિક લાયકાત અને આ પદ પર તેમની નિમણૂકના પગાર ધોરણોને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં ‘દલિત મુખ્યમંત્રી’ ની માંગણીએ જોર પકડ્યું