ગુજરાતમાં બૌદ્ધ સંસ્કૃતિના વારસાને અને પ્રાચીન પરંપરાઓને પુનર્જીવિત કરવાના એક પ્રયાસરૂપે મહેસાણા શહેર ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રવિવારે 26/7/26ના રોજ મહેસાણા સ્થિત સિદ્ધાર્થ વિદ્યાલય ખાતે ગુજરાત બૌદ્ધ સંઘ અને સુજાતા બુદ્ધ વિહારના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત પૂજ્ય બૌદ્ધ ભિક્ખુ સંઘ માટે વસ્સાસાટિકા (વસ્ત્ર) દાન મહાપર્વ ધામધૂમથી યોજાયો હતો. આ વિશેષ પ્રસંગે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ મોટી સંખ્યામાં પૂજ્ય ભિક્ખુ સંઘ પધાર્યો હતો.
અનરાધાર વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અદ્દભૂત ઉત્સાહ
છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવા છતાં, બૌદ્ધ ઉપાસકો અને ઉપાસિકાઓના શ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ કમી આવી ન હતી. મહેસાણા, ગાંધીનગર, કલોલ, માણસા, અમદાવાદ, હારીજ, ઊંઝા, રાજકોટ સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી ઉપાસકો આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બૌદ્ધ પરંપરા મુજબ વર્ષાવાસ શરૂ થતાં પૂર્વે ભિક્ખુ સંઘને આપવાના થતા વિશેષ વસ્ત્ર એટલે કે વસ્સાસાટિકાનું દાન અહીં પધારેલા શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બોટાદમાં બુદ્ધ જયંતિ નિમિત્તે ભવ્ય ધમ્મ પદયાત્રા યોજાઈ
ભિક્ખુ સંઘે વ્યક્ત કરી લાગણી અને આશા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેટલાક પૂજ્ય ભિક્ખુઓએ ભાવુક બનીને જણાવ્યું હતું કે, તેમના ભિક્ખુ જીવનના ઈતિહાસમાં ગુજરાતની ધરતી પરથી આ પ્રકારે વસ્સાસાટિકાનું દાન પ્રાપ્ત કરવાની આ કદાચ સૌપ્રથમ અને અવિસ્મરણીય ઘટના છે. આ પ્રકારના આયોજનો દર્શાવે છે કે ગુજરાતના બૌદ્ધ ઉપાસકો પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે અત્યંત ઉત્સુક છે. સમારોહમાં હાજર જુદા જુદા શહેરોના વક્તાઓએ સંસ્કૃતિના જતન અને દાનભાવનાના મહત્વ પર પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?
આર્થિક દાન અને ભવિષ્યના કાર્યક્રમોનું આયોજન
બૌદ્ધ સંસ્કૃતિના આધારસમા દાનના મહિમાને વધુ દ્રઢ બનાવતા ઉપાસકો દ્વારા પૂજ્ય ભિક્ખુ સંઘ અને સુજાતા બુદ્ધ વિહારની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે જરૂરી આર્થિક દાન પણ સમર્પિત કરવામાં આવ્યું હતું. વળી, ભવિષ્યમાં પણ ચીવરદાન જેવા મહાપર્વને ગુજરાતના કોઈ મોટા શહેરમાં વધુ ભવ્ય રીતે ઉજવવાની આશા અને સંકલ્પ અહીં વ્યક્ત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર મહાપર્વને અનરાધાર વરસાદ વચ્ચે પણ સફળ બનાવવા માટે સુજાતા બુદ્ધ વિહારની સમર્પિત ટીમના સભ્યો હર્ષદ કુમાર (પિન્ટુ), મિલિંદ બૌદ્ધ, પરેશ બૌદ્ધ, કવિતાબેન, મનિષ પોન્ટિંગ, તુષારચંદ્ર તેમજ બીપીનચંદ્ર જેવા ઉપાસકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં 11 વર્ષના બાળકે 10 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા













