દેશભરમાં જ્યારે હોળી અને ધુળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હતી, ત્યારે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં એક ગંભીર ઘટના બની હતી. અહીંના સિમ્ભાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના સિખેડા ગામના નયાબસા મજરેમાં દલિત સમાજની એક સગીર બાળકી સાથે કરવામાં આવેલી આભડછેટ અને અભદ્રતાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિવાદ એટલો વકર્યો કે યાદવ અને દલિત સમાજના લોકો આમને-સામને આવી ગયા હતા, જેમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભારે પથ્થરમારો તેમજ લાકડીઓ ઉછળી હતી.
મામલો શું હતો?
ઘટનાની મળતી માહિતી મુજબ, હોળીના દિવસે દલિત સમાજની એક સગીર બાળકી તેના ઘરનો જરૂરી સામાન લેવા માટે ગામમાં જ આવેલી યાદવ સમાજના એક વ્યક્તિની કરિયાણાની દુકાને પહોંચી હતી. એ દરમિયાન દુકાનદારે બાળકી પ્રત્યે અત્યંત હીન માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. આરોપ છે કે દુકાનદારે બાળકી દલિત હોવાના કારણે તેને સામાન આપવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો.
આટલું જ નહીં, આભડછેટની ભાવના રાખીને દુકાનદારે બાળકી સાથે અત્યંત અભદ્ર વર્તન કર્યું, તેને માનસિક રીતે અપમાનિત કરી અને જાતિસૂચક અપશબ્દો કહ્યા. બાળકી જ્યારે રડતી રડતી ઘરે પહોંચી અને તેણે તેના પરિવારજનોને આ સમગ્ર આપવીતી સંભળાવી, ત્યારે દલિત સમાજ રોષે ભરાયો હતો.

આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’
દલિતો યાદવ દુકાનદાર પાસે પહોંચ્યા અને મામલો બિચક્યો
ન્યાયની માંગ સાથે અને દુકાનદારની આવી હરકતનો વિરોધ કરવા જ્યારે દલિત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો દુકાનદાર પાસે પહોંચ્યા, ત્યારે મામલો શાંત પાડવાને બદલે બીજી બાજુના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. જોતજોતામાં ગામમાં તણાવ વધી ગયો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ શાબ્દિક વિવાદે લોહિયાળ વળાંક લીધો અને બંને તરફથી પથ્થરમારો શરૂ થયો હતો.

ગામની સાંકડી ગલીઓમાં પથ્થરોનો વરસાદ થયો હતો અને ત્યારબાદ લાકડી-ડંડા વડે ખૂની ખેલ ખેલાયો હતો. આ હિંસામાં બે નિર્દોષ સગીર બાળકો સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે. પથ્થરમારાને કારણે ગામમાં ભાગદોડ મચી ગઈ હતી અને મહિલાઓ તેમજ બાળકો ભયના માર્યા ઘરોમાં કેદ થઈ ગયા હતા.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને સાવરકર વચ્ચે કેવો સંબંધ હતો?
પોલીસે ગામમાં ચોકી પહેરો ગોઠવી દીધો
ઘટનાની ગંભીરતાને જોતા સિમ્ભાવલી પોલીસ સ્ટેશનનો મોટો કાફલો વધારાની કુમક સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લાઠીચાર્જની ચીમકી આપીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગામમાં ફરીથી હિંસા ન ભડકે અને પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટે હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પીએસી (PAC) તૈનાત કરી દેવામાં આવી છે.
એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા અરજી કરાઈ
દલિત સમાજ દ્વારા આ મામલે પોલીસમાં દુકાનદાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને છેડતી તેમજ મારપીટની કલમો હેઠળ લેખિત ફરિયાદ આપવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને હિંસા આચરનારા તેમજ શાંતિ ડહોળનારા તોફાની તત્વોની ધરપકડ કરવા માટે દરોડા પાડવાની કામગીરી તેજ કરી છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીની પર શિક્ષકે 20 દિવસ સુધી રેપ કરી ગર્ભપાત કરાવ્યો










