ઉત્તર પ્રદેશના આગ્રાના ચકચારી પનવારીકાંડમાં આગ્રાની SC/ST કોર્ટે 35 આરોપીઓને 5 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપીઓએ હથિયારો સાથે દલિતવાસ પર હુમલો કરી અનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. જાટ સમાજના લુખ્ખા તત્વોએ દલિત મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત જે કોઈને મળે તેને માર માર્યો હતો. ગુનેગારોએ એવો આતંક મચાવ્યો હતો કે દલિતો ઘર છોડીને ભાગી ગયા હતા. તત્કાલીન SHO ઓમવીર સિંહે 24 જૂન 1990 ના રોજ કેસ નોંધ્યો હતો. કોર્ટમાં 78 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 27 લોકો મૃત્યુ પામ્યા છે. એક આરોપીને કોર્ટ દ્વારા પહેલાથી જ સગીર જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટે 15 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે 35 લોકોને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
ઘટના શું હતી?
આ કેસ એક દલિત દીકરીના લગ્નની જાન નીકળવાને લઈને શરૂ થયો હતો. 21 જૂન 1990ના રોજ પનવારી ગામના દલિત સમાજમાંથી આવતા ભરત સિંહ કર્દમની બહેન મુંદ્રાના લગ્ન હતા. આગ્રાના નગલા ગામેથી જાન આવવાની હતી. પરંતુ ગામના જાટ સમાજના લુખ્ખા તત્વોએ દલિત વરરાજાને પોતાના ઘર સામેથી ઘોડી પર ચઢીને નીકળવા દેવાનો ઈનકાર કર્યો હતો. જેને લઈને જાટવો અને જાટો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. આ રમખાણની આગ આસપાસના જિલ્લાઓમાં પણ ફેલાઈ ગઈ અને ભરતપુર અને તેની આસપાસના વિસ્તારમાંથી જાટ સમાજના લોકોએ જાટવોના મહોલ્લા-વસાહતો પર હુમલો કરી દીધો હતો. જેમાં જાટવોને મોટું નુકસાન થયું હતું. અનેક જાટવોએ ઘર છોડી દેવા પડ્યા હતા.
આ પણ વાંચો: એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ
બપોરે એક વાગ્યે હુમલો થયો હતો
24 જૂન 1990 ના રોજ અકોલાના કાગરોલ પોલીસ સ્ટેશનના ઉદર ગામમાં જાટવોની વસાહત હતી. જેના પર માથાભારે જાટોએ અચાનક હુમલો કર્યો હતો. ધનૌલીના રહેવાસી રાજકુમારે કહ્યું કે આ ઘટના યાદ કરતા મારા રૂંવાડા ઉભા થઈ જાય છે. બપોરનો એક વાગ્યાનો સમય હતો. લોકો પોતાના ઘરમાં ટીવી સિરિયલો જોઈ રહ્યા હતા અને જાટોએ હુમલો કર્યો. ઘરોને આગ ચાંપી દેવામાં આવી. ઘરમાં રાખેલી વસ્તુઓ તોડી નાખવામાં આવી. કિંમતી વસ્તુઓ લૂંટી લેવામાં આવી. દલિતોને લાકડીઓ અને હથિયારોથી માર મારવામાં આવ્યો. લોકોએ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. ડરથી આખી વસાહત ખાલી થઈ ગઈ હતી.
દલિતોને ઘર છોડાવી દેનારાઓને માત્ર 5 વર્ષની સજા થઈ
આ કેસમાં SC/ST કોર્ટના ન્યાયાધીશ પુષ્કર ઉપાધ્યાયે ૨૮ મેના રોજ ૩૫ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને આજે ૩૦ મેના રોજ સજા જાહેર કરવામાં આવી હતી. સવારે કોર્ટ ખુલતાની સાથે જ ન્યાયાધીશે ૩૫ લોકોને ૫ વર્ષની કેદની સજા અને વિવિધ કેસોમાં ૨૬ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા સાંભળ્યા બાદ દોષિતોના પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.
Agra Panwari Kand : चर्चित पनवारी कांड में बड़ा फैसला, 35 दोषियों को मिली सजा। UP News। Agra Justice#agranews #panwarikand #upnews #agrajustice pic.twitter.com/Cf4BgfnoXe
— डाइनामाइट न्यूज़ हिंदी (@DNHindi) May 30, 2025
જાટ સમાજના લોકો હાઈકોર્ટમાં અપીલ કરશે
આજ સવારથી SC/ST કોર્ટની બહાર મોટી સંખ્યામાં જાટ સમુદાયના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, કોઈને પણ કોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સાવચેતીના ભાગરૂપે પોલીસ ફોર્સ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. સજા જાહેર થતાં જ જાટ સમાજના લોકોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. કોર્ટના નિર્ણય બાદ પોલીસે ભીડને હાંકી કાઢી હતી. ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં જેલમાં જઈ રહ્યા છે. આ અંગે એક આરોપીના ભાઈએ કહ્યું કે હવે તેઓ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. કોર્ટે કોઈ પુરાવા અને સાક્ષીઓ વિના ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો: સવર્ણોએ 6 કલાક સુધી દલિત યુવકની અંતિમવિધિ ન થવા દીધી