અમરેલી: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામના અનુસૂચિત જાતિના યુવાન મહેશ પ્રેમજીભાઈ રાઠોડની હત્યાના બનાવને બે દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ન્યાયિક પ્રક્રિયામાં કોઈ નક્કર પ્રગતિ ન જણાતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે જમવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે જ્ઞાતિવાદી હિંસાનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મહેશ રાઠોડનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે, બનાવના 48 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાના કારણે પીડિત પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું નક્કી કર્યું છે.
નજીવી બાબતે મહેશ રાઠોડની હત્યા કરી દેવાઈ
ઘટનાની વિગત મુજબ, ગોપાલગ્રામનો આશાસ્પદ યુવાન મહેશ રાઠોડ જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે હતો ત્યારે ભોજન લેવા બાબતે આરોપીઓ સાથે તેની નજીવી બોલાચાલી થઈ હતી. આ વિવાદે ત્યારે ઉગ્ર સ્વરૂપ લીધું જ્યારે આરોપીઓએ મહેશને તેની જ્ઞાતિના આધારે અપમાનિત કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ જાતિસૂચક અપશબ્દો બોલી મહેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ઘાતક હતો કે ગંભીર ઇજાઓને કારણે મહેશનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો: દેશમાં ડિગ્રીધારી બેરોજગારોનો વિસ્ફોટ: 67% ગ્રેજ્યુએટ યુવાનો પાસે કામ નથી!
પોલીસની ઢીલી નીતિને કારણે ન્યાયમાં વિલંબ
પરિવાર અને સમાજના અગ્રણીઓનો આરોપ છે કે આ કેસમાં પોલીસની ભૂમિકા શરૂઆતથી જ શંકાસ્પદ રહી છે. હત્યાના બે દિવસ પછી પણ જો FIRમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 103 (હત્યા) સહિતની કડક કલમો અને SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ ઉમેરવામાં વિલંબ થતો હોય, તો તે પીડિત પરિવારને ન્યાય કેવી રીતે મળશે?
આ પણ વાંચો: કેમ તમિલનાડુમાં રાજકીય પક્ષો બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ નથી આપતા?
આરોપીઓની તાત્કાલિક ધરપકડ ન થવી એ કાયદાની અમલવારી પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકે છે. પીડિત પક્ષની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી પોલીસ આ મામલે કડક વલણ અપનાવીને આરોપીઓને જેલના સળિયા પાછળ નહીં ધકેલે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસ ઉપવાસ છાવણીમાં ફેરવાયું
હાલમાં મહેશ રાઠોડના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પૂર્ણ કરી તેને ભાવનગર ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ, અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનો દ્વારા અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આંદોલનકારીઓએ “ન્યાય વગર શાંતિ નહીં” ના નારા સાથે પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. સમાજની માંગણી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવે અને કેસ ચલાવવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે. જો પ્રાથમિક તપાસમાં પોલીસ અધિકારીઓની કોઈ બેદરકારી જણાય તો તેમની સામે પણ કડક ખાતાકીય કાર્યવાહીની માંગણી બુલંદ બની છે.
માનવ અધિકાર પંચ સુધી લડતની ચીમકી
અમરેલીના આ બનાવના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. દલિત અધિકાર કાર્યકરો અને જાગૃત નાગરિકોએ રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કોઈ નક્કર ઉકેલ નહીં આવે તો આ આંદોલનને રાજ્યવ્યાપી બનાવવામાં આવશે. આ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને અન્ય બંધારણીય મંચો સુધી લડત લઈ જવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે. અત્યારે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર દબાણમાં છે, પરંતુ પીડિત પરિવાર પોતાની પાંચ મુખ્ય માંગણીઓ પર મક્કમ છે. જ્યાં સુધી કાગળ પરની કાર્યવાહી વાસ્તવિક ધરપકડમાં નહીં બદલાય, ત્યાં સુધી ગોપાલગ્રામના આ યુવાનના અંતિમ સંસ્કાર નહીં થાય તેવો મક્કમ નિર્ધાર પરિવારે વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: અમરેલીમાં કેન્ટીનમાં ભોજન એઠું મૂકવા બદલ દલિત યુવકની હત્યા!












