બોધગયા મુક્તિ આંદોલન તીવ્ર બન્યું, ભિક્ષુઓ રસ્તા પર ઉતર્યા

બોધિગયાને બ્રાહ્મણવાદની પકડમાંથી છોડાવવા માટે છેડાયેલું બોધિગયા મુક્તિ આંદોલન સરકારના દમન બાદ વધુ તીવ્ર બન્યું છે અને દેશ-દુનિયાભરમાંથી આવેલા ભિક્ષુઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.
bodh gaya liberation movement

તથાગત ગૌતમ બુદ્ધને જે સ્થળે ગ્નાન પ્રાપ્ત થયું હતું તે બોધિગયા છેલ્લા કેટલાક દિવસોથી દેશ અને દુનિયાભરમાં વસતા બુદ્ધિષ્ઠોનું ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું છે. મહાબોધિ મહાવિહારનું સંચાલન બૌદ્ધ સમાજને બદલે મનુવાદીઓના હાથમાં છે અને તેઓ વારંવાર બુદ્ધને મનુવાદી ઈશ્વરમાં પલોટવા માટેની ચેષ્ટાઓ કરતા હોવાથી આ મુદ્દો ગરમાયો છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ લાંબા સમયથી માગણી કરી રહ્યા છે કે આ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળનું સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધોને સોંપવામાં આવે. તેના માટે બૌદ્ધ સમાજ છેલ્લા ઘણાં દિવસોથી બિહાર સ્થિત બોધિયગામાં ભૂખ હડતાળ પર બેઠો છે. જેનાથી અકળાયેલી બિહાર સરકારે મધરાતે આંદોલનકારીઓને ત્યાંથી હટાવી દીધા હતા. જો કે હવે આંદોલન વધુ તેજ બન્યું છે.

મહાબોધિ મંદિરનો સંપૂર્ણ વહીવટ બૌદ્ધોને સોંપવા આંદોલન

મહાબોધિ મહાવિહાર મંદિરનું સંચાલન સંપૂર્ણપણે બૌદ્ધ સમાજને સોંપવાની માંગણી સાથે બૌદ્ધ સાધુઓ દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી હતી અને બૌદ્ધ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 28 ફેબ્રુઆરી 2025 ના રોજ દેશભરના જિલ્લા મથકો પર મેમોરેન્ડમ આપવામાં આવ્યા હતા. એ પછી, 6 માર્ચે વિરોધ પ્રદર્શન અને 12 માર્ચે રેલીનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અંતે, બોધગયામાં લાખો લોકોની એક વિશાળ રેલી કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વિરોધ માત્ર ધાર્મિક મુદ્દો નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને બચાવવા માટેની લડાઈ છે.

ભૂખ હડતાળ પર બેઠેલા સાધુઓનું કહેવું છે કે તેમની માંગણીઓ એ જ છે જે પ્લેકાર્ડમાં તેઓ દર્શાવી રહ્યાં છે. સરકાર સાથે વાતચીત થઈ છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. 28 ફેબ્રુઆરીની સવારે વહીવટીતંત્રે ભૂખ હડતાળ પર બેઠેલા બૌદ્ધ ભિક્ષુઓને ત્યાંથી બળજબરીથી ઉઠાવીને દૂર કરી દીધા હતા અને તેમને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સાધુઓનું કહેવું છે કે ભૂખ હડતાળ હજુ પૂરી થઈ નથી, વિરોધ પ્રદર્શન માટે બીજી જગ્યા નક્કી કરવામાં આવી રહી છે.

બોધગયા મંદિર અને ૧૯૪૯નો ટેમ્પલ એક્ટ

ભગવાન બુદ્ધને લગભગ અઢી હજાર વર્ષ પહેલાં બોધગયામાં પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ મહત્વપૂર્ણ સ્થળ પર સ્થિત મંદિરને મહાબોધિ મંદિર કહેવામાં આવે છે, જે બૌદ્ધ ધર્મના સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે. મહાબોધિ સંકુલનું નિર્માણ સૌપ્રથમ સમ્રાટ અશોક દ્વારા ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં કરવામાં આવ્યું હતું. ઇતિહાસના પુસ્તકો અનુસાર, હાલનું મંદિર 5મી અને 6ઠ્ઠી સદીની વચ્ચે બનાવવામાં આવ્યું હતું અને તે ગુપ્ત કાળના છેલ્લા તબક્કાનું એક મહત્વપૂર્ણ મંદિર છે. ૨૦૦૨ માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

સંચાલન અને મંદિર અધિનિયમ શું છે?

મહાબોધિ મંદિરની જાળવણી બોધગયા મંદિર વ્યવસ્થાપન સમિતિની જવાબદારી છે. પરંતુ તે પહેલાં આપણે ૧૯૪૯ના બોધગયા મંદિર અધિનિયમ (BTA) ને સમજાવવાની જરૂર છે. આ કાયદાના આધારે બોધગયા મંદિર વ્યવસ્થાપન સમિતિ (BTMC) ની રચના કરવામાં આવી હતી. બોધગયા મંદિર અધિનિયમ અને બોધગયા મંદિર વ્યવસ્થાપન સમિતિ (BTMC) એ બંને મહાબોધિ મંદિરના સંચાલન સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, જે મંદિરના કાર્યોનું સંચાલન કરે છે. આ સમિતિ મહાબોધિ મંદિરના વહીવટ અને જાળવણી માટે જવાબદાર છે. આ સમિતિમાં નવ સભ્યો છે, જેમાંથી કેટલાક હિન્દુ છે અને કેટલાક બૌદ્ધ છે. આ ઉપરાંત, સમિતિના અધ્યક્ષ ગયા જિલ્લાના કલેક્ટર છે.

બૌદ્ધ સમાજ શા માટે સંચાલનની માંગ કરી રહ્યો છે?

આંદોલનકારી બૌદ્ધ સમાજનું કહેવું છે કે, બોધિગયાનું સમગ્ર સંચાલન બૌદ્ધોને સોંપી દેવું જોઈએ. જો હિંદુ મંદિરોનું સંચાલન હિંદુઓ દ્વારા થતું હોય, મુસ્લિમ દરગાહનું સંચાલન મુસ્લિમ સમાજ કરતો હોય અન્ય સમાજ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોનું સંચાલન પણ જે તે સમાજ કરતો હોય તો બૌદ્ધોને બોધિગયાનું સંચાલન સોંપવા સરકારને શું વાંધો છે.

આંદોલનકારી બૌદ્ધોને સૌથી મોટો વાંધો સંચાલકો પૈકી કેટલાક દ્વારા બુદ્ધને વારંવાર મનુવાદી હિંદુ ધર્મ સાથે જોડવાનો કરવામાં આવતો પ્રયાસ છે. યુટ્યુબ પર એવા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બોધિગયા ટેમ્પલ કમિટી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા લોકો તેને હિંદુ દેવી-દેવતાઓ સાથે જોડી રહ્યાં હોય. બૌદ્ધ ધર્મીઓને આ બાબતે સખત વાંધો છે અને તેમનું માનવું છે કે, આવું કરીને હિંદુત્વવાદીઓના ઈશારે બુદ્ધને મનુવાદી ઈશ્વરી શક્તિનો હિસ્સો બનાવી દેવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. તેથી બોધિગયા અને બુદ્ધના અસલી વારસાને બચાવવા માટે જરૂરી છે કે તેનો સંપૂર્ણ વહીવટ બૌદ્ધ ધર્મના લોકો પાસે હોય.

આ પણ વાંચો: હિન્દીએ અવધી, બુંદેલી સહિત 25 ભાષાઓનો નાશ કર્યો: MK Stalin

4.4 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x