SC-ST Act News: એક બાજુ દુનિયા આખી વર્ષ 2025ને વિદાય આપી જશ્નમાં મશગૂલ હતી. બીજી તરફ ભારતમાં એક ગામમાં જાતિવાદી તત્વો દ્વારા એક દલિત પરિવાર પર બર્બર હુમલો કરવામાં આવી રહ્યો હતો. મામલો પશ્ચિમ બંગાળના હુગલીનો છે. અહીં એક દલિત પરિવાર પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો અને બળાત્કારની ધમકી આપવામાં આવી.
આરોપીઓએ દલિત પરિવારને “તારી ચામડી ઉતારીને તેના જૂતા બનાવીશ” તેવી ધમકી આપી હતી. હવે આ મામલે NCSC એ પોલીસ અધિક્ષક પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એક અઠવાડિયા પછી આખરે FIR નોંધવામાં આવી હોવા છતાં, પીડિત પરિવારનો આરોપ છે કે પોલીસે ઘરની મહિલાઓ પર બળાત્કાર કરવાની ધમકી આપનારા ઉચ્ચ જાતિના આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચો: અમદાવાદના કુબેરનગરમાં 150 SC-OBC પરિવારોનો આશરો છીનવાયો!
ફરિયાદી બિરેન્દ્ર દાસે, પોલીસની કામગીરી પ્રત્યે હતાશા વ્યક્ત કરતા કહ્યું કે, “મને ખબર નથી કે પોલીસ શું કરી રહી છે. અમને ફક્ત ન્યાય જોઈએ છે. આરોપીઓએ મારી પુત્રી, પત્ની અને પુત્રને નિર્દયતાથી માર માર્યો છે. મારા 15 વર્ષના પુત્ર અયાન દાસને ઘરની બહાર ખેંચી કાઢ્યો અને લાત અને મુક્કા માર્યા, જેના કારણે ગંભીર આંતરિક ઇજાઓ થઈ અને લોહી નીકળ્યું હતું.

બાળકોની રમત હિંસામાં ફેરવાઈ ગઈ
પીડિત પરિવારના વકીલના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા, દલિત સમાજનો એક સગીર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ઝઘડો થયો હતો. એ પછી કેટલાક લોકો તેના ઘરમાં ઘૂસી ગયા અને પરિવારના સભ્યોને માર મારવાનું શરૂ કર્યું હતું. અમે ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.”
દબાણ બાદ જ FIR નોંધાઈ
આ ઘટના 31 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી, પરંતુ જ્યારે બિરેન્દ્ર દાસ એકલા બાલાગઢ પોલીસ સ્ટેશન ગયા, ત્યારે તેઓએ શરૂઆતમાં FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર જનરલ ડાયરીમાં નોંધ કરી હતી.
આ પણ વાંચો: ‘રોટલી કેમ અડ્યો?’ કહી 6 સવર્ણોએ દલિતનું માથું ફોડી નાખ્યું
પીડિતના વકીલે જણાવ્યું હતું કે, “શરૂઆતમાં, પીડિતના પિતા ફરિયાદ નોંધાવવા માટે એકલા પોલીસ પાસે ગયા હતા, પરંતુ પોલીસે FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ, અમે તેમની સાથે ગયા અને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી. હવે, FIR નોંધવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે હુમલાના છ દિવસ પછી 6 જાન્યુઆરી, 2026 ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, આરોપીઓની ઓળખ રિન્ટુ કુંડુ, શુક્લા કુંડુ, અનિમા કુંડુ, રોબિન કુંડુ, જયંત કુંડુ અને રૂપાલી કુંડુ તરીકે કરવામાં આવી છે. આરોપીઓ દાસના ઘરમાં ઘૂસી ગયા હતા અને અપમાનજનક શબ્દો બોલવા લાગ્યા હતા. એવો આરોપ છે કે ટોળાએ તેમના પર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: બૌદ્ધ ભિખ્ખુઓની હજારો કિ.મી.ની પદયાત્રામાં ‘કૂતરું’ આકર્ષણનું કેન્દ્ર બન્યું
આરોપીઓએ જાહેરમાં દાસની પત્ની, ડાલી દાસ અને તેમની અપંગ પુત્રી, મંગલી દાસ પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી. પરિવાર કહે છે કે આરોપીઓ હજુ પણ હિંસાની ધમકીઓ આપતા હોવાથી તેઓ હવે ઘર છોડતા ડરે છે.
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે અધિકારીઓને સમન્સ પાઠવ્યું
આ મામલે પોલીસની ગંભીર બેદરકારીની નોંધ લેતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ 7 જાન્યુઆરી, 2026 ના રોજ એક નોટિસ જારી કરી. આયોગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક (હુગલી ગ્રામીણ) ને સાત દિવસની અંદર “કાર્યવાહીનો અહેવાલ” રજૂ કરવાનો નિર્દેશ આપ્યો અને ચેતવણી આપી કે જો અધિકારીઓ તેનું પાલન નહીં કરે, તો તેમને સમન્સ પાઠવવામાં આવશે. ભારતીય દંડ સંહિતા (IPC) અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગંભીર આરોપો હોવા છતાં, આરોપીઓ ફરાર છે, જેના કારણે દલિત પરિવાર તેમના પોતાના ગામમાં ભયમાં જીવી રહ્યો છે.
આ પણ વાંચો: ભારતમાં બંધુઆ મજૂરોમાં 100 ટકા SC, ST અને OBC










